Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

'પોતાની મરજીથી અલગ ધર્મના વ્યકિત સાથે લગ્ન કર્યા હોય તો ધર્માંતરણનો ગુનો કેવી રીતે ગણાય ?'

જો લગ્ન બળજબરી, ધાકધમકી કે લોભલાલચથી ના થયા હોય તો તેને ધર્મપરિવર્તનની વ્યાખ્યામાં મૂકી શકાય નહીં તેવી હાઇકોર્ટે ટકોર કરી છે : પુખ્ત વયના લોકોના મરજીથી લગ્ન ગુનો નથી : લવ જેહાદના કાયદાને પડકારતી રિટ પિટિશનમાં હાઈકોર્ટે સરકાર, એડવોકેટ જનરલને નોટિસ પાઠવી છે : હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથે સરકારને સુનાવણી દરમિયાન કેટલાક તીખા સવાલો કર્યા હતા : આ કેસની વધુ સુનાવણી ૧૭મી ઓગસ્ટ પર મુલતવી રાખવામાં આવી છે

નવી દિલ્હી તા. ૬ : 'લવ જેહાદ' ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજિયન એમેન્ડમેન્ટ એકટ ૨૦૨૧ની કાયદેસરતા અને બંધારણીયતાને પડકારતી રિટની સુનાવણીમાં ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે સરકાર અને એડવોકેટ જનરલને નોટિસ પાઠવીને સ્પષ્ટતા કરવાનો આદેશ કર્યો છે કે, બે જુદા જુદા ધર્મના પુખ્તવયના લોકો સ્વેચ્છાએ લગ્ન કરે તો તેને લવ જેહાદના કાયદા હેઠળ ધર્મપરિવર્તનનો ગુનો કઈ રીતે ગણી શકાય? હાઈકોર્ટે સુનાવણીમાં એવી પણ ટકોર કરી હતી કે, 'જો લગ્ન બળજબરી, ધાકધમકી કે લોભલાલચ આપીને ધર્માંતરણ કરવાના આશય માત્રથી જ કરવામાં આવ્યા છે તો એ કાયદા હેઠળ ગુનાની વ્યાખ્યામાં આવે છે. પરંતુ બે પુખ્તવયના વ્યકિતઓ પોતાની મરજીથી લગ્ન કરે તો તેને ગુનો ગણવો જોઈએ નહીં.' સાથે જ હાઈકોર્ટે એવો પણ સવાલ કર્યો હતો કે, બે જુદા જુદા ધર્મના લોકો લગ્ન કરે તો તમે કોઈની પણ ફરિયાદના આધારે તેને જેલમાં પુરીને પછી તપાસ કરશો કે લગ્ન કરવા માટે કોઈ લાલચ કે બળજબરી કરવામાં આવી હતી?

હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથે સરકારને સુનાવણી દરમિયાન કેટલાક તીખા સવાલો કર્યા હતા અને પૂછ્યું હતું કે, 'પ્રસ્તુત કાયદા અંતર્ગત સરકાર બે પુખ્તોએ સ્વેચ્છાએ કરેલા લગ્નને ગુનાની વ્યાખ્યામાં કઈ રીતે લાવી શકે, સરકાર આ મુદ્દે કહેવા શું માગે છે? લગ્ન બળજબરી કે લોભલાલચ આપીને ધર્માંતરણ માટે કરાવામાં આવે તો ગુનો બને એ બરાબર છે, પરંતુ સરકાર કહે છે કે કોઈ વિધર્મી યુગલ સ્વેચ્છાએ લગ્ન કરે તો એ ધર્માંતરણનો ગુનો બને?' જસ્ટિસ બિરેન વૈષ્ણવે સવાલ કર્યો હતો કે, 'શું બે જુદા જુદા ધર્મના લોકો લગ્ન કરી લે તો તમે એમને જેલમાં પૂરી દીધા બાદ તપાસ કરશો કે લગ્ન કરવા લાલચ આપી હતી કે બળજબરી કરી હતી? એટલે પહેલા જેલમાં જવું પડશે અને ત્યારબાદ લગ્ન કઈ રીતે કર્યા તેની તપાસ થશે!'

મુખ્ય સરકારી વકીલ મનીષા લવકુમારે દલીલ કરી હતી કે, 'જ્યાં સુધી ધર્મપરિવર્તન નહીં કરે ત્યાં સુધી લગ્ન નહીં થાય તેવી બળજબરીપૂર્વકની શરતોને આધારે થતાં ધર્માંતરણને રોકવાનો આ કાયદાનો આશય છે. લગ્નના નામે જે ધર્માંતરણ કરાવામાં આવે છે એને રોકવાનો સરકારનો આશય છે.' ચીફ જસ્ટિસે ટકોર કરી હતી કે, 'બે ધર્મના પુખ્ત લોકો લગ્ન કરે ત્યારબાદ એ તો લગ્ન કરનાર દંપતી નક્કી કરશે કે તેમણે કયા ધર્મનું પાલન કરવું છે.'

અરજદાર તરફથી સિનિયર એડવોકેટ મિહિર જોષીએ રજૂઆત કરી હતી કે, 'આ કાયદામાં કરવામાં આવેલા સુધારા સદંતર ગેરબંધારણીય છે અને આર્ટિકલ-૨૧નો સીધેસીધો ભંગ કરે છે. લગ્ન તો દરેક વ્યકિતનો મૂળભૂત અધિકાર છે. તેને ધર્માંતરણના કાયદા હેઠળ ગુનાની વ્યાખ્યામાં સરકાર લઈ આવી છે. જે આશ્યર્યજનક છે. કોઈનું ધર્માંતરણ કરાવવું એ મૂળભૂત અધિકાર નથી પરંતુ સરકારે લવ જેહાદના કાયદામાં લગ્નને પણ ગુનામાં આવરી લઈ નિજતા અને મૂળભૂત અધિકારનો ભંગ કર્યો છે. બળજબરી, લોભલાલચ કે પછી ધાકધમકીથી ધર્માંતરણ કરવું એ ૨૦૦૩થી અમલમાં આવેલા કાયદાની જોગવાઈઓ મુજબ ગુનો છે, ગેરકાયદેસર છે અને ખોટું છે એ અમે સ્વીકારીએ છીએ. પરંતુ આ ગેરકાયદે અને ખોટી પ્રવૃત્ત્િ।થી લગ્નએ પણ કઈ રીતે ગુનાની વ્યાખ્યામાં આવરી શકાય.' આ કેસની વધુ સુનાવણી ૧૭મી ઓગસ્ટ પર મુલતવી રાખવામાં આવી છે.

લવ જેહાદ અંતર્ગત ગુજરાત ધર્મ સ્વાતંત્ર્યના કાયદામાં સુધારા સાથે એવી જોગવાઈ કરવામાં આવી છે કે, માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરાયેલા લગ્ન ફેમિલી કોર્ટ અથના અન્ય સંબંધિત ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવશે. કોઈપણ વ્યકિત છળકપટ કે બળજબરીથી અથવા કોઈપણ પ્રકારના લોભ-લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવી શકશે નહીં. આ કાયદા હેઠળનો ગુનો બને તો દોષીને ચારથી સાત વર્ષની કેદ ઉપરાંત ૩ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરાઈ છે. લગ્ન કરાવનાર સંસ્થા કે સંગઠનો સામે પણ કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવશે અને આવી સંસ્થાના સંચાલકો સામે પણ ૩થી ૧૦ વર્ષની સજા અને પાંચ લાખ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. અન્ય ધર્મની મહિલા સાથે બળજબરીથી ધર્મ પરિવર્તન કરાશે તો તે ગુનો ગણાશે. આવા કિસ્સામાં મહિલા સાથે લોહીના સંબંધ ધરાવતી કોઈપણ વ્યકિત ફરિયાદી બનીને ફરિયાદ કરી શકે છે.

(11:10 am IST)