Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

તાન્ઝાનિયાથી દિલ્હી પરત આવેલો વ્યક્તિ પોઝિટિવ

દિલ્હીમાં મળ્યો ઓમિક્રોનનો કેસ : વિદેશથી આવ્યા હોય તેવા ૧૭ લોકો કોરોનાથી સંક્રમિત મળ્યા છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે

નવી દિલ્હી, તા.૫ : દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટનો પાંચમો કેસ સામે આવી ચુક્યો છે. રવિવારે દિલ્હીમાં તેનાથી સંક્રમિત પ્રથમ કેસની પુષ્ટિ થઈ છે. સંક્રમિત વ્યક્તિ આફ્રિકી દેશ તાન્ઝાનિયાથી પરત ફર્યો હતો.

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યુ- દિલ્હીમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ સામે આવ્યો છે. દર્દી એલએનજેપી હોસ્પિટલમાં દાખલ હતો અને તે હાલમાં તાન્ઝાનિયાથી પરત ફર્યો હતો. અત્યાર સુધી ૧૭ લોકો (વિદેશથી આવ્યા) કોરોનાથી સંક્રમિત મળ્યા છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.

આ દેશમાં ઓમિક્રોનનો કુલ પાંચમો કેસ છે. પહેલા કર્ણાટકમાં બે કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ શનિવારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનો એક-એક કેસ સામે આવ્યો હતો. ત્રીજો કેસ ગુજરાતના જામનગરમાં મળ્યો હતો જ્યારે ચોથો મહારાષ્ટ્રના ડોંબિવલીમાં. આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઓમિક્રોન વેરિએન્ટને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રી મોદીને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ કરવાની વિનંતી કરી હતી.

કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોન (મ્.૧.૧.૫૨૯) સૌથી પહેલા દક્ષિણ આફ્રિકામાં સામે આવ્યો હતો. ૨૫ નવેમ્બરે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને તેના વિશે જાણકારી આપવામાં આવી હતી. ડબ્લ્યૂએચઓ પ્રમાણે ઓમિક્રોનના પ્રથમ કેસની પુષ્ટિ આ વર્ષે ૯ નવેમ્બરે લેવાયેલા સેમ્પલમાં થઈ હતી.  ૨૬ નવેમ્બરે વિશ્વ આરોગ્ય સંસ્થાએ નવા વિરેએન્ટ મ્.૧.૧.૫૨૯ ને ઓમિક્રોન નામ આપ્યું અને તેને 'વેરિએન્ટ ઓફ કન્સર્ન' એટલે કે ચિંતાવાળો વેરિએન્ટ ગણાવ્યો હતો.

કોરોનાનો નવો વિરેએન્ટ સામે આવ્યા બાદ તમામ દેશોએ આફ્રિકી દેશો પર યાત્રા પ્રતિબંધ લગાવી દીધા છે. ભારત સહિત અત્યાર સુધી ૩૮ દેશોમાં ઓમિક્રોનના સંક્રમણની પુષ્ટિ થઈ ચુકી છે.

(12:00 am IST)