Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

માસ્ક ન પહેરવા બદલ દોઢ વર્ષમાં વસૂલાયો ૨૯૪ કરોડનો દંડ : ૪૧.૬૦ લાખ દંડિત

કોવિડ-૧૯ના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રીથી ફરીથી હાથ ધરાશે માસ્ક ડ્રાઇવ : કોરોના મહામારીની બે લહેર જોયા બાદ પણ લોકો નથી કેળવી રહ્યા માસ્ક પહેરવાની આદત

નવી દિલ્હી તા. ૬ : કોવિડ-૧૯ની બે ભયાનક લહેર જોયા બાદ પણ, ગુજરાતીઓ સતત માસ્કના નિયમને અવગણી રહ્યા છે, જે માસ્ક વગર રસ્તા પરથી પકડાયેલા લોકો પાસેથી વસૂલવામાં આવેલા દંડના આંકડા પરથી સ્પષ્ટ થાય છે.

ગુજરાત પોલીસના આંકડાઓ પ્રમાણે, પોલીસે ૨૪ જૂન, ૨૦૨૦થી ૨ ડિસેમ્બર, ૨૦૨૧ દરમિયાન ૪૧.૬૦ લાખ લોકો પાસેથી માસ્ક ન પહેરવા બદલ ૨૯૪ કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.

તેનો અર્થ એ છે કે, કોરોનાના સમયગાળામાં નિયમનો ભંગ કરનારાઓએ નિયમિત આશરે ૫૬ લાખ રૂપિયાનો દંડ ચૂકવ્યો હતો. આ રકમ અદ્યતન કોવિડ હોસ્પિટલ બનાવવા અને શહેરમાં ચાર ફલાયઓવર બનાવવા માટે રોકાણ કરવામાં આવેલા નાણાંનો અડધો ભાગ છે.

જો ૧૩ કરોડ રૂપિયાના ખર્ચે ૨ હજાર લિટર પ્રતિ મિનિટની ક્ષમતા ધરાવતો ઓકિસજનનો પ્લાન ઉભો કરવામાં આવે તો આવા ઓછામાં ઓછા ૨૨ પ્લાન્ટ બનાવી શકાય છે.

માહિતી અનુસાર, ગુજરાતી પોલીસે ૨૪ જૂન, ૨૦૨૦ અને ૨૩ જૂન, ૨૦૨૧ની વચ્ચે નિયમનો ભંગ કરનારા ૩૬.૮૦ લાખ લોકો પાસેથી ૨૪૭ કરોડ રૂપિયાની વસૂલાત કરી હતી. જૂનથી નવેમ્બર એમ પાંચ મહિનામાં, રાજય પોલીસે માસ્ક નિયમના ભંગમાં ૪૭ કરોડ રૂપિયાનો દંડ લીધો હતો.

'એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, રાજયમાં કોવિડ-૧૯ના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થતાં અમે માસ્ક ડ્રાઈવને તીવ્ર બનાવીશું'.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે 'અમે દોઢ વર્ષમાં માસ્ક નહીં પહેરવા બદલ ૪૧.૬૦ લાખ લોકોને દંડિત કર્યા હતા. તેમણે ૨૯૪ કરોડ રૂપિયાનો દંડ ભર્યો હતો. તેનો અર્થ એ છે કે, અમે નિયમિત લગભગ ૮ હજાર લોકોને દંડ ફટકાર્યો હતો.'

'માસ્ક ન પહેરવા બદલ પોલીસને ૧ હજારનો દંડ ચૂકવવાના બદલે લોકોએ સમજવું જોઈએ કે, માસ્કનો નિયમ માત્ર તેમની સુરક્ષા માટે જ છે. તેથી, તેઓ આ રકમથી ઓછામાં ઓછા વ્યવસ્થિત માસ્ક ખરીદી શકે છે'.

અન્ય એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, રાજયમાં બે ભયંકર લહેર જોયા બાદ પણ લોકોએ માસ્ક પહેરવાની આદત કેળવી નથી. હેલ્મેટની જેમ લોકો જયારે પોલીસને જુએ છે ત્યારે માસ્ક પહેરે છે અને બાદમાં હટાવી દે છે અથવા નીચે કરી દે છે, તેમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.

(10:31 am IST)