Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ઝટકો! અમુક ગ્રાહકો બેંકમાં Current Account નહીં ખોલાવી શકે

કરજ અનુશાસન માટે ઉપરોકત પગલું ભરવું જરૂરી છે

 મુંબઈ,તા.૭ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગુરુવારે બેંકોને જે ગ્રાહકોએ કેશ લોન લીધી છે કે ઓવરડ્રાફ્ટની સુવિધા લીધેલી છે તેમના માટે ચાલુ ખાતા ખોલાવવા પર રોક લગાવી દીધી છે. RBIએ ભારપૂર્વક કહ્યું કે આ મામલે અનુશાસનની જરૂર છે. એક નોટિફિકેશનમાં આરબીઆઈએ કહ્યું કે નવા ચાલુ ખાતા ખોલવાની સરખામણીમાં તમામ લેવડદેવડ કેશ લોન કે ઓવરડ્રાફ્ટ ખાતા દ્વારા થવી જોઈએ.

જો કે આરબીઆઈએ એ ન જણાવ્યું કે આ પગલાં પાછળનું કારણ શું છે. નોંધનીય છે કે ૪૦૦૦ કરોડ રૂપિયાથી વધુના પીએમસી સહકારી બેંક કૌભાંડ કેસમાં અનેક ખાતા ખોલાયા હોવાની જાણકારી મળી હતી. અધિકારીઓનું કહેવું છે કે આ વ્યવસ્થા સાથે જો ફ્રોડ થતું હતું, ગડબડી થતી હતી તેના પર હવે અંકૂશ લાગશે. તેનાથી હવે જમાકર્તાઓના ધનનું સંરક્ષણ થઈ શકશે.

રિઝર્વ બેંકના ગવર્નર શકિતકાંત દાસે ગુરુવારે કહ્યું કે કરજ અનુશાસન માટે ઉપરોકત પગલું ભરવું જરૂરી છે. તેમણે કહ્યું કે કરજદારો દ્વારા અનેક ખાતાના ઉપયોગને લઈને ચિંતા વ્યકત કરાઈ રહી છે. જેને જોતા અનેક બેંકો પાસેથી લોનની સુવિધા લેનારા કરજદારો દ્વારા આવા ખાતા ખોલવા અંગે અગમચેતના પગલાં લેવા જરૂરી છે.

આરબીઆઈના જણાવ્યાં મુજબ ચાલુ ખાતા ખોલવાને લઈને બેંકોએ અનુશાસન રાખવાની જરૂર છે. કોઈ પણ બેંક એવા ગ્રાહકોના ચાલુ ખાતા ખોલી નહીં શકે જેમણે બેંકો પાસેથી લોન કે ઓવરડ્રાફ્ટ તરીકે કરજ સુવિધા લીધી છે. આ ગ્રાહકોના તમામ લેવડદેવડ CC/OD દ્વારા થઈ શકે છે.

(11:10 am IST)