Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

કોરોનાની ૬ વેકસીન ત્રીજા ચરણમાં પરંતુ સફળતાની ગેરંટી હાલ નહીંવત : WHO

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું કહેવું છે કે એ વાતની કોઇ ગેરંટી નથી કે આ તમામ વેકસીન સફળ રહેશે

વોશિંગટન તા. ૭ : કોરોના વાયરસએ દુનિયાભરમાં કોહરામ મચાવી રાખ્યો છે. અત્યાર સુધી આ ખતરનાક વાયરસથી ૭ લાખથી વધુ લોકો જીવ ગુમાવી ચૂકયા છે, જયારે સમગ્ર દુનિયામાં ૧ કરોડ ૮૦ લાખ લોકો આ બીમારીના ઝપેટમાં આવી ચૂકયા છે. એવામાં સૌની નજર કોરોનાની વેકસીન  પર ટકેલી છે. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ કહ્યું છે કે દુનિયાભરમાં ૬ વેકસીનનું કામ ત્રીજા ચરણમાં પહોંચી ગયું છે. પરંતુ WHOનું એવું પણ કહેવું છે કે હાલ એ વાતની કોઈ ગેરંટી નથી કે આ તમામ વેકસીન સફળ રહેશે.

૧. WHOનું કહેવું છે કે હાલમાં દુનિયાભરમાં ૬ વેકસીનના ત્રીજા ચરણના ટ્રાયલ ચાલી રહ્યા છે. તેમાંથી ૩ વેકસીન ચીનની છે.

૨. દુનિયાભરમાં હાલ ૧૬૫ વેકસીન પર કામ ચાલી રહ્યું છે. જેના અલગ-અલગ ચરણના ટ્રાયલ ચાલી રહ્યા છે. WHO મુજબ હાલમાં ૨૬ વેકસીન એવી છે જેના કિલનિકલ ટ્રાયલ ચાલી રહ્યા છે.

૩. WHO મુજબ ચરણ ૩માં મોટી સંખ્યામાં લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યા છે. અહીં એ જાણવામાં આવે છે કે આ વેકસીન લાંબા સમય સુધી અને વધુમાં વધુ લોકો પર કામ કરી રહી છે કે નહીં. હાલ એ વાતની ગેરંટી નથી કે ત્રીજા ચરણમાં તે સફળ રહેશે જ.

૪. ચીનમાં જે ત્રણ વેકસીનનું કામ ત્રીજા ચરણમાં પહોંચી ગયું છે તે છે- સિનોવૈક, વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોલોજિકલ પ્રોડકટ, સિનોફૈરમ/બીજિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોલોજિકલ પ્રોડકટ

૫. અમેરિકાની મોડરના કંપનીએ કોરોના વેકસીન પર સૌથી પહેલા કામ શરૂ કર્યું. અત્યાર સુધીના રિપોર્ટ મુજબ, પહેલા બે ચરણના કિલનિકલ ટ્રાયલથી સારા પરિણામ સામે આવ્યા છે. આ વેકસીનનો મુશ્કેલ અને ત્રીજો પડાવ ૨૭ જુલાઈથી શરૂ થઈ ગઈ છે.

૬. ઓકસફર્ડ યુનિવર્સિટીની વેકસીનથી સમગ્ર દુનિયાને ઘણી વધુ આશા છે. તેના કિલનિકલ ટ્રાયલ અલગ-અલગ દેશોમાં ચાલી રહ્યા છે. ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ પણ ઓકસફર્ડના આ પ્રોજેકટમાં પાર્ટનર છે.

૭. ભારતની બે વેકસીન- ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલાએ હ્યૂમન ટ્રાયલની શરૂઆત કરી દીધી છે. ભારત બાયોટેક કંપનીએ આ પહેલા પોલિયો, રેબીઝ, ચિકનગુનિયા, જાપાની ઇનસેલ્ફાઇટિસ, રાટાવાયરસ અને ઝીકા વાયરસ માટે પણ વેકસીન બનાવી છે.

(11:16 am IST)