Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

યુકેમાં દરરોજ આવતા કેસમાં પ્રથમ વખત ૫%નો ઘટાડો

યુકેમાં હવે જલ્‍દી ડિસ્‍ચાર્જ થઇ રહ્યા છે કોરોના દર્દીઓઃ શું કોરોનાના અંતની શરૂઆત છે ઓમિક્રોન ?

લંડન,તા. ૮ : શું આપણે ઓમિક્રોનને કોરોનાના અંતની શરૂઆત કહી શકીએ? આ કહેવું થોડું વહેલું હશે, પરંતુ ઓમિક્રોનના પ્રસાર સાથે કેટલાક સારા સમાચાર પણ સામે આવી રહ્યા છે. યુકે (UK) માં ૮૦ વર્ષથી વધુ ઉંમરના લોકો હોસ્‍પિટલમાંથી જલ્‍દી ડિસ્‍ચાર્જ થવાથી નેશનલ હેલ્‍થ સર્વિસ ને મોટી રાહત મળી છે. આંકડા દર્શાવે છે કે, ત્રીજી લહેર દરમિયાન ગત વર્ષે ૧ મેથી ૮૦ વર્ષથી વધુ લોકોના હોસ્‍પિટલમાં એડમિટ થવાનો સમય સરેરાશ ૧૧ દિવસનો હતો. ત્‍યારે હાલમાં ૧ ડિસેમ્‍બરથી જયારે ઓમિક્રોને દસ્‍તક આપી છે, ત્‍યારે હોસ્‍પિટલમાં રોકાવાનો સમય દ્યટીને અડધો થઈ ગયો છે.
આ ફક્‍ત ૮૦ વર્ષની વયના લોકો સાથે જ નથી, આવું ૫૦ થી ૬૯ વર્ષની વય જૂથમાં અને ૭૦ થી ૭૯ વર્ષની વય જૂથમાં પણ છે. સારી વાત એ છે કે ૫૦ વર્ષથી ઓછી ઉંમરના લોકો હોસ્‍પિટલમાં ૩ થી ૪ દિવસમાં સાજા થઈ જાય છે. ડિસેમ્‍બરમાં ઝડપી રિકવરી પાછળ રસી અને દવાની અસર અને ઓમિક્રોન વેરિઅન્‍ટ હોવાનું માનવામાં આવે છે. મેઈલ ઓનલાઈનના મૂલ્‍યાંકન મુજબ, કોવિડ-૧૯થી મૃત્‍યુદરમાં ૨૪ ગણો ઘટાડો થયો છે. આ દરઘટીને ૦.૧૫% પર આવી ગયો છે. આ સંબંધમાં, દક્ષિણ આફ્રિકાના આરોગ્‍ય નિષ્‍ણાતો પણ માને છે કે દર્દીઓની હોસ્‍પિટલમાં રહેવાના સમયગાળામાં ઘટાડો થયો છે. ત્‍યાં કરવામાં આવેલા એક અભ્‍યાસ અનુસાર, આ ઓમિક્રોન વેરિઅન્‍ટ અગાઉના અન્‍ય વેરિઅન્‍ટ્‍સ કરતાં ૧૦ ગણું ઓછું ઘાતક છે. યુનિવર્સિટી ઓફ ઈસ્‍ટ એન્‍જેલાના મેડિસિન પ્રોફેસર પોલ હન્‍ટર કહે છે કે, યુકેમાં વેરિઅન્‍ટ બરાબર એ જ રીતે વર્તે છે જે રીતે દક્ષિણ આફ્રિકામાં જોવા મળતું હતું.
આરોગ્‍ય વિભાગના આંકડા દર્શાવે છે કે, છેલ્લા ૨૪ કલાકમાં યુકેમાં લગભગ ૧૭૯,૭૫૬ પોઝિટિવ ટેસ્‍ટ નોંધાયા હતા, જે પાછલા અઠવાડિયા કરતા ૫% ઓછા હતા. આ દર્શાવે છે કે ઓમિક્રોન હવે સર્પાકાર નથી. એ જ રીતે, તાજેતરમાં મળી આવેલા હોસ્‍પિટલના આંકડા દર્શાવે છે કે યુકેમાં ૨ જાન્‍યુઆરીએ લગભગ ૨૦૭૮ દર્દીઓ હતા, જે એક સપ્તાહ અગાઉની સરખામણીમાં ૩% ઓછા છે, તે જ રીતે ૨૩૧ મૃત્‍યુ નોંધાયા હતા, જે તેના પહેલાના અઠવાડિયા કરતા ૩૦% ઓછા હતા. લંડન કે જયાં ઓમિક્રોને સૌથી વધુ કહેર મચાવ્‍યો હતો, ત્‍યાં પણ એક અઠવાડિયામાં હોસ્‍પિટલમાં દાખલ થનારા લોકોની સંખ્‍યામાં ૧૯ ટકાનો ઘટાડો જોવા મળ્‍યો છે. દિવસેને દિવસે સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગયા વર્ષે જાન્‍યુઆરીમાં પીક દરમિયાન જયાં દરરોજ ૯૦૦ થી વધુ લોકો હોસ્‍પિટલમાં દાખલ થઈ રહ્યા હતા, આ વર્ષે જાન્‍યુઆરીમાં તે જ આંકડો ૪૦૦ ની નજીક છે.
૬૦ વર્ષથી વધુ ઉંમરના અને નબળી રોગપ્રતિકારક શક્‍તિ ધરાવતા લોકો વિશે હજુ પણ ચિંતા છે. એ જ રીતે વધુ એક આશાની કિરણ ZOE કોવિડ લક્ષણોના અભ્‍યાસમાં જોવા મળે છે, જે દર્શાવે છે કે ૩ જાન્‍યુઆરી સુધીમાં, દરરોજ ૨૦,૮૪૭૧ લોકો કોવિડની ચપેટમાં આવતા હતા જેમાં હવે ઘટાડો થઈ રહ્યો છે અને આ ઘટાડો ૧૮ થી ૩૫ વર્ષની વયજૂથમાં જોવા મળી રહ્યો છે. જેના કારણે લંડનમાં આંકડો ઝડપથી નીચે આવી રહ્યો છે.
હવે જયારે પરિસ્‍થિતિ નિયંત્રણમાં આવી રહી છે ત્‍યારે યુકે આઈસોલેશનનો સમયગાળો દ્યટાડવા અંગે વિચારી રહ્યું છે, કારણ કે ઓમિક્રોનના કેસમાં લોકો ૭ દિવસમાં સાજા થઈ જાય છે. પરંતુ સાથે જ એ વાત પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે કે વધુને વધુ લોકોએ રસી લેવી જોઈએ અને સુરક્ષાના ધોરણો પર ધ્‍યાન આપવું જોઈએ.
યુકે સરકારના આંકડા દર્શાવે છે કે ૪ જાન્‍યુઆરી સુધીમાં ૧૭,૯૮૮ લોકોને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. આ આંકડો ગયા વર્ષના ફેબ્રુઆરી કરતાં વધુ છે, પરંતુ જાન્‍યુઆરી ૨૦૨૧માં ટોચના સમયગાળા દરમિયાન ૪૦,૦૦૦ લોકો કરતાં ઘણો ઓછો છે. કિંગ્‍સ કોલેજ, લંડનના વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે ૩ જાન્‍યુઆરી સુધીમાં ૩૩,૦૧૩ લોકો સંક્રમિત થયા હતા, જે ગત સપ્તાહે ૪૯,૩૩૧ હતા. જો કે ડેટા સાયન્‍સ કંપની ZOE માટે કામ કરતા ડો. ક્‍લેર સ્‍ટીવ્‍સ કહે છે કે, કેસોમાં ઘટાડો થયો છે, પરંતુ તેને પીક કહેવું હજુ પણ વહેલું છે. તેમનું કહેવું છે કે હવે શાળા ખોલવાના નિર્ણયથી રોગચાળો ફરીથી ફાટી નીકળવાનું જોખમ છે.
યુકેની સૌથી મોટી સિમ્‍પટમ ટ્રેકિંક એપ અનુસાર લંડનમાં એક મહિના બાદ ઓમિક્રોન સંબંધિત કેસોમાં દ્યટાડો થયો છે. સતત ચોથા દિવસે હોસ્‍પિટલોમાં એડમિશનમાં ઘટાડો જોવા મળ્‍યો છે. લક્ષણોનો અભ્‍યાસ કરનારા કિંગ્‍સ કોલેજના વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે ૩ જાન્‍યુઆરી સુધી રાજધાનીમાં દરરોજ ૩૩,૦૦૦ લોકો પોઝિટિવ જોવા મળ્‍યા હતા, જે આ અઠવાડિયા પહેલા કરતા ઓછા છે. સરકારી ડેશબોર્ડ જણાવે છે કે લંડનમાં કેસોની સંખ્‍યા સ્‍થિર થઈ રહી છે અને હવે દૈનિક કેસની સંખ્‍યા ઘટીને ૨૧,૮૫૪ થઈ ગઈ છે, જે અઠવાડિયામાં ૧૧% નો ઘટાડો દર્શાવે છે. UKHSA ના સાપ્તાહિક અહેવાલમાં જણાવવામાં આવ્‍યું છે કે જો આપણે ૨ જાન્‍યુઆરી સુધી દર અઠવાડિયે આવતા કેસોને જોઈએ તો પ્રતિ લાખ કેસ ૧૮૩૩.૯ થી ઘટીને ૧૭૨૩.૮ પર આવી ગયા છે. આંકડા દર્શાવે છે કે એક સમયે કેસ દરરોજ ૧૫% ના દરે વધી રહ્યા હતા, જેમાં હવે દરરોજ ૧ થી ૨% નો ઘટાડો થયો છે. આ એક આશાનું કિરણ છે પરંતુ સાથો સાથે એ પણ યાદ રાખવું જરૂરી છે કે આશા આપણને ફરીથી બેદરકાર ન બનાવે નહીં તો પરિસ્‍થિતિ બગડતાં વાર નહીં લાગે.

 

(10:53 am IST)