Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

પાકિસ્તાનમાં ફરી બેકાબૂ થઈ ભીડઃ જાહેરમાં મહિલાઓનું ચીરહરણ કરી ડંડાથી અધમૂઈ કરી નાખી

ચાર મહિલાઓ સાથે ક્રૂરતાની તમામ હદો પાર થઈઃ કેટલાક યુવકોએ મહિલાઓ સાથે મારપીટ કરી અને તેમના કપડાં પણ ફાડી નાખ્યાઃ રસ્તાની વચ્ચોવચ મહિલાઓ સાથે હેવાનીયત આચરવામાં આવી

ઈસ્લામાબાદ, તા.૮: જે સમયે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન ભીડની હિંસા પર જ્ઞાન આપી રહ્યા હતા, ચાર મહિલાઓ સાથે ક્રૂરતાની તમામ હદો ત્યારે પાર થઈ રહી હતી. ફૈસલાબાદમાં કેટલાક યુવકોએ મહિલાઓ સાથે મારપીટ કરી અને તેમના કપડાં પણ ફાડી નાખ્યા. રસ્તાની વચ્ચેવચ મહિલાઓ સાથે હેવાનીયત આચરવામાં આવી અને ઈમરાન સરકારની પોલીસને કઈ જ ખબર નહતી. આ ઘટનાનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયો સાથે દાવો કરાયો છે કે મહિલાઓ ચોરી કરતી પકડાઈ હતી. જેના બદલામાં તેમની કપડાં ઉતારી દેવાયા અને ડંડાથી પીટાઈ કરવામાં આવી. આ ઘટનાને લઈને લોકોમાં સરકાર પ્રત્યે ખુબ ગુસ્સો છે. જો કે બાજમાં પંજાબ પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હોવાની વાત કરી છે. પોલીસનું કહેવું છે કે વારદાતમાં સામેલ આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે.

આ બાજુ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનું કહેવું છે કે તેમની સરકાર ધર્મના નામ પર ભીડની હિંસાને સહન નહીં કરે અને આ માટે જવાબદાર લોકોને છોડશે નહીં. ઈમરાન ભીડ દ્વારા માર્યા ગયેલા શ્રીલંકન નાગરિક પ્રિયંતા કુમારા માટે પ્રધાનમંત્રી કાર્યાલયમાં આયોજિત એક શોકસભાને સંબોધી રહ્યા હતા. કુમારાની ગત અઠવાડિયે પંજાબ પ્રાંતના સિયાલકોટમાં ઈશનિંદના આરોપમાં ભીડે પીટાઈ કરીને હત્યા કરી હતી અને તેમના મૃતદેહને આગ લગાવી હતી.

ઈમરાન ખાને કહ્યું કે પાકિસ્તાન એકમાત્ર એવો દેશ છે જેની સ્થાપના ઈસ્લામના નામ પર થઈ હતી પરંતુ સિયાલકોટ જેવી ઘટનાઓ શરમની વાત છે. તેમણે કહ્યું કે આપણે સંપૂર્ણ રીતે અલગ દિશામાં જઈ રહ્યા છીએ અને રાષ્ટ્રએ પયગંબરના જીવનનો અભ્યાસ કરવો જોઈએ. ખાને કહ્યું કે સિયાલકોટના વેપારી સમુદાયે મૃતક શ્રીલંકન નાગરિકના પરિવાર માટે ૧ લાખ ડોલર ભેગા કર્યા છે. તેમણે કહ્યું કે પીડિત પરિવારને સરકાર પણ આર્થિક મદદ કરશે.

(10:51 am IST)