Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

સંરક્ષણમંત્રી સંસદમાં આજે માહિતી આપશે

કન્નુરમાં હેલિકોપ્ટર ક્રેશ થયું

નવી દિલ્હી, તા.૮ : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ગુરૂવારે સંસદમાં હેલિકોપ્ટર દુર્ઘટના સાથે સંકળાયેલી જાણકારી આપશે. તમિલનાડુના કુન્નૂર ખાતે બુધવારે બપોરના સમયે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતને લઈને જઈ રહેલું સેનાનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. દુર્ઘટના સમયે સીડીએસ બિપિન રાવત ઉપરાંત તેમના પત્ની અને સેનાના અન્ય અધિકારીઓ પણ તેમાં ઉપસ્થિત હતા. હેલિકોપ્ટરમાં કુલ ૧૪ લોકો સવાર હતા અને દુર્ઘટના બાદ તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને દુર્ઘટના સાથે સંકળાયેલી જાણકારી આપવામાં આવી હતી. આ દુર્ઘટનામાં ૧૧ લોકોના મૃત્યુ થયા હોવાની પૃષ્ટિ થઈ છે.  રાજનાથ સિંહે સીડીએસ બિપિન રાવતના દિલ્હી સ્થિત આવાસની મુલાકાત લીધી હતી. દુર્ઘટના બાદ બિપિન રાવતના જિલ્લા પૌડી ગઢવાલના ધારી મંદિર ખાતે પૂજા-અર્ચના શરૂ થઈ ગઈ હતી અને લોકોએ સીડીએસના સારા સ્વાસ્થ્ય માટે કામના કરી હતી.

દુર્ઘટનાનો ભોગ બન્યું તે એમઆઈ-૧૭વી-૫ હેલિકોપ્ટર ખૂબ ખાસ હતું જે સૈન્યના ઉપયોગ માટે ખૂબ ઉન્નત ગણાય છે. તેનો ઉપયોગ ટ્રુપ અને આર્મ્સ ટ્રાન્સપોર્ટ, ફાયર સપોર્ટ, એસ્કોર્ટ, પેટ્રોલિંગ અને સર્ચ એન્ડ રેસ્ક્યુ (એસએઆર) મિશન માટે પણ કરવામાં આવે છે. ભારતમાં અનેક વીવીઆઈપી તેનો ઉપયોગ કરે છે. આ દુર્ઘટના બાદ તેના કારણો જાણવા માટે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. 

 

(7:55 pm IST)