Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

કોરોનાએ રાજકોટમાં આજે વધુ ૩૦ના જીવ લીધા

શહેરમાં ૨૨, જીલ્લામાં ૪ તથા અન્ય જીલ્લામાં ૪ને કોરોના ભરખી ગયોઃ ત્રણ દિવસમાં ૮૪ના મોત : સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એક પણ મોત નથી જ્યારે અન્ય જિલ્લામાં માત્ર ૧ મૃત્યુ નોંધાયુ છે

રાજકોટ, તા. ૮ :  વૈશ્વિક મહામારી કોરોનાએ રાજકોટમાં કાળો કેર વર્તાવ્યો છે. સતત થઇ રહેલા મૃત્યુ વચ્ચે આજે એક જ રાતમાં અધધધ ૩૦ દર્દીઓનો ભોગ લેવાઇ જતાં હાહાકાર મચી ગયો છે. શહેરમાં ૨૨, જીલ્લાનાં ૪ તથા અનય જીલ્લાનાં ૪ સહિત કુલ ૩૦ દર્દીઓના મોત થયા છે. તે સાથે છેલ્લા ત્રણ દિવસમાં મૃત્યુઆંક ૮૪ થઇ ગયો છે.

તંત્ર દ્વારા જાહેર કરાયેલ સત્તાવાર યાદીમાં તા.૭ના સવારે ૮ વાગ્યાથી તા.૮સપ્ટેમ્બર સવારે ૮ વાગ્યા સુધીમાં શહેર અને ગ્રામ્યના ૨૭ તેમજ તા.૮ના સવારે ૮ વાગ્યાથી આજે તા.૯ના સવારે ૮ વાગ્યા સુધીમાં ૩૦ દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મોત થયા છે.

રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ છેલ્લા ૨૪ કલાકમાં શહેર - જિલ્લાના ૩૦ દર્દીઓએ દમ તોડી દીધા હતો. આ સાથે છેલ્લા ત્રણ જ દિવસમાં કોરોનાએ ૮૪ લોકોની જિંદગી છીનવી લીધી હતી. દરેક સરકારી તંત્રો કોરોનાને મ્હાત કરવામાં વામણા સાબિત થઇ રહ્યા છે અને બીજી તરફ લોકોના જીવ તાળવે ચોટી ગયા છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે. યુવાન અને આધેડ પણ કોરોનાને કારણે કાળનો કોળીયો બની રહ્યા છે. પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. લોકોએ જાતે જ સાવચેત રહેવું જરૂરી બન્યું છે. આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિ પણ છેલ્લા અઠવાડિયાથી કોરોનાને કઇ રીતે કાબુમાં લેવો તેની મહત્વની ચર્ચાઓ કરવા, નિર્ણયો લેવા રાજકોટના અલગ-અલગ તંત્રો સાથે બેઠકો કરી રહ્યા છે. અને તેનો ધડાધડ અમલ કરાવી રહ્યા છે. આમ છતાં રાજકોટ સિવિલમાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુનો આંક ઓછો થતો ન હોઇ લોકોમાં જબરો ફફડાટ વ્યાપી ગયો છે.

(3:12 pm IST)