Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

મૈખિક આદેશ

GST.. આવક કરતા વધુ રિફંડ નહીં

ઉચ્ચ અધિકારીઓએ ઘટક પ્રમાણે અધિકારીઓને સૂચના આપતા રિફંડ રિજેકટ કરવાના કિસ્સા વધ્યા

મુંબઇ,તા.૯ : નિયમ પ્રમાણે રિફંડ આપવાનું હોવા છતાં અધિકારીઓ દ્વારા રિફંડની અરજી નામંજૂર કરવાના કિસ્સામાં વધારો થઇ રહ્યો છે. તે માટે એવી હકીકત જાણવા મળી છે કે સ્ટેટ જીએસટીના ઘટકની આવકથી વધુ રિફંડ ચૂકવવામાં આવ્યું તો ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેને ઠપકો આપવાની સાથે તપાસ પણ કરવામાં આવતી હોય છે. તેના કારણે રિફંડની અરજી વધુ ને વધુ રદ કરવાના કિસ્સામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. તેના લીધે વેપારીઓની પરેશાની પણ વધી છે.

સ્ટેટ જીએસટીમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા એવો મૌખિક ફતવો જાહેર કરવામાં આવ્યો છે કે જે ઘટકની જેટલી આવક હોય તેના કરતાં કોઇએ પણ વધારાનું રિફંડ ચૂકવવું નહીં. જો ચૂકવવામાં આવશે તો વધુ રિફંડ ચૂકવનાર સામે કાર્યવાહી કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. તેના લીધે અધિકારીઓ દ્વારા રિકંડની અરજી મંજૂર કરવામાં નાની નાની બાબતોની પણ ખામી કાઢીને નોટિસ આપતા હોય છે, કારણ કે ઉચ્ચ અધિકારીઓનો ઠપકો સાંભળવાના બદલે વેપારીઓની રિફંડ અરજી નામંજૂર કરવામાં આવે તો વેપારીઓ જુજ જ કિસ્સામાં અપીલમાં જતો હોય છે. તેના કારણે અધિકારીઓ હવે વેપારીઓને પરેશાન કરતા થયા છે. જોકે જીએસટીના કાયદામાં કરવામાં આવેલી તમામ જોગવાઇ પ્રમાણે રિફંડ આપવાનું હોવા છતાં હવે નવો રસ્તો શોધીને રિફંડ અટકાવવામાં આવી રહ્યા હોવાની વિગતો જાણવા મળી છે.

રિકંડની ઝંઝટ દૂર કરવા માટેના પ્રયાસ થાય તો જ વેપારીઓની સમસ્યા ઉકલે

જીએસટી લાગુ થયા બાદ એક પછી એક પરેશાનીનો સામનો વેપારીઓ કરી રહ્યા છે. તેના કારણે જ વેપારીઓએ આંદોલન કરવાની ફરજ પડી હતી. જ્યારે હજુ પણ વીવર્સોને ક્રેડિટ કેરી ફોરવડની સમસ્યા યથાવત છે. જ્યારે છેલ્લા બેથી ત્રણ મહિનામાં રિફંડ ઝડપથી મંજૂર નહીં કરવાના કારણે વેપારીઓની પરેશાનીમાં વધારો થવાની સાથે સાથે વેપાર બંધ કરવાની સ્થિતિ સજાંઇ છે. કારણ કે સ્કિડ છૂટું નહીં થવાના લીધે રોકાણમાં સતત વધારો થઇ રહ્નો છે. તેની સામે વળતર ઓછું મળવાના કારણે આખરે વેપાર બંધ કરવાની નોબત પણ આવીને ઊભી રહે છે. જેથી આ સમસ્યાના નિરાકરણ માટે તાકીદે પગલાં ભરવામાં આવે તે ખુબ જ જરૂરી છે.

૧થી ૩ લાખના રિફંડ નહીં આપવાની અધિકારીઓને મોડસ ઓપરેન્ડી

વેપારીઓ દ્વારા એકથી ત્રણ લાખ રૂપિયાના રિફંડ આપવામાં નહીં આવે અથવા તો વખતો વખત અરજી કર્યા બાદ તેની અરજી નામંજુર કરવામાં આવે તો વેપારી અપીલમાં જતો જ નથી. તે માટેનું કારણ એવું છે કે વેપારી દ્વારા અપીલમાં જાય તો તેના માટે ઓછામાં ઓછો રપ હજારનો ખર્ચ કરવો પડે. તેમજ અપીલની સુનાવણી હોય ત્યારે હાજર પણ રહેવું પડતુ હોય છે. તેના લીધે વેપારી સમય બગાડીને પણ ત્યાં જવા કરતા રિફંડ જતુ કરતા હોવાની હકીકતો જાણવા મળી છે. આવા જ કારણોસર અધિકારીઓને પણ એક લાખથી લઇને ત્રણ લાખની રકમના રિફંડની અરજી વધુ ને વધુ સંખ્યામાં નામંજૂર કરવામાં આવી રહી હોવાની વિગતો જાણવા મળી છે.

(3:09 pm IST)