Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

દિલ્હીના સંસદ ભવનમાં સૌથી મોટો કોરોના વિસ્ફોટ

એકસાથે ૪૦૦ કર્મચારીઓ સંક્રમિત થતા ખળભળાટ : ૬-૭ જાન્યુઆરીએ સંસદમાં કામ કરનાર કર્મચારીઓ, સુરક્ષાકર્મીચારીઓનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો

નવી દિલ્હી, તા.૯ : કોરોના વાયરસે હવે દેશમાં આતંક ફેલાવવાનું શરૂ કરી દીધું છે. જેની સૌથી ખરાબ અસર દિલ્હીમાં થવા માંડી છે અને હવે સમાચાર મળી રહ્યા છે કે કોરોના સંક્રમણ સંસદ ભવન સુધી પહોંચી ચૂક્યું છે. ૬ અને ૭ જાન્યુઆરીએ સંસદમાં કામ કરનાર કર્મચારીઓ, સુરક્ષાકર્મીચારીઓનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં ૪૦૦થી વધુ લોકોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે.

દેશભરમાં કોરોનાના કેસ વાયુવેગે વધી રહ્યા છે. છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૧,૪૧,૯૮૬ નવા કેસ સામે આવ્યા છે. આ નવા કેસ નોંધાતા દેશભરમાં કુલ કેસનો આંકડો ૪,૭૨,૧૬૯ થઈ ગયો છે.

માત્ર એક દિવસ પહેલા એટલે કે શુક્રવારે કોરોના સંક્રમણના ૧,૧૭,૧૦૦ કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય વિભાગના આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા ૧૧ દિવસમાં કોરોનાના દૈનિક કેસમાં ૨૧ ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે દિલ્હીમાં કોરોનાતી ૭ લોકોના મોત થયા છે. એક દિવસમાં સંક્રમણના કેસમાં ૩ હજારનો વધારો નોંધવામાં આવ્યો છે. દિલ્હીમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૪૮૧૭૮ પર પહોંચી ગઈ છે. સંક્રમણના કેસમાં એક વાર ફરીથી મહારાષ્ટ્ર ટોપ પર છે. છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના ૪૧,૪૩૪ નવા કેસ નોંધવામાં આવ્યા છે. જ્યારે ૧૩ લોકોના મોત પણ થયા છે.  આજ કારણે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારે કડક નિયંત્રણો મૂકી દીધા છે.

 નવા અંકુશોને લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, હું ફરીથી કહેવા માંગું છું કે અમે બિનજરૂરી ભીડને ભેગી થતી રોકવા માંગીએ છીએ, પરંતુ કોઈ લોકડાઉન કરવામાં આવશે નહીં.

તેમણે જણાવ્યું હતું કે, કોઈ પણ પ્રતિબંધ ત્યાં સુધી પ્રભાવશાળી નહીં નીવડે જ્યાં સુધી આપણે જાતે સમજીને Covid પ્રોટોકોલનું પાલન નહીં કરીએ. મારી તમામ લોકોને એક વિનંતી છે કે લક્ષણો પ્રત્યે સતર્ક રહો અને જલ્દીથી મેડિકલ સલાહ લો.

 

(12:00 am IST)