Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

મહારાષ્ટ્રમાં કલમ 144 લાગુ : નિયમોના ભંગ બદલ થશે કડક કાર્યવાહી : પાંચ કે તેથી વધુ લોકો ભેગા નહીં થઇ શકે

નવી ગાઈડલાઈન અનુસાર રવિવારે બપોરે 12 વાગ્યાથી નવા કડક નિયંત્રણો લાગુ :રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ

મુંબઈ :મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકા અને નિયંત્રણો લાગુ કર્યા છે.રવિવારે બપોરે 12 વાગ્યાથી આ નવા કડક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.જેમાં રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. જ્યારે કલમ 144 સવારે 5થી 11 વાગ્યા સુધી અમલમાં છે. એટલે કે એક દિવસમાં પાંચ કે તેથી વધુ લોકો એક જગ્યાએ ભેગા થઈ શકશે નહી.

 અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની નવી માર્ગદર્શિકા જાહેર કરતા પહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં કોરોના સંબંધિત સ્થિતિનો તાગ મેળવ્યો હતો. જે બાદ તેમણે કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે શનિવારે નવા નિયંત્રણો લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો.

નવી માર્ગદર્શિકા અને કોરોના સંબંધિત કડક નિયંત્રણો હેઠળ શાળાઓ અને કોલેજો આજથી 15 ફેબ્રુઆરી સુધી બંધ રાખવામાં આવી છે. કામ વગર ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે. તેમજ મેદાન, બગીચા, પ્રવાસન સ્થળો, સ્વિમિંગ પુલ, જીમ, સ્પા, વેલનેસ સેન્ટર, બ્યુટી પાર્લર આગામી આદેશ સુધી સંપૂર્ણપણે બંધ કરી દેવા નિદર્શ કરવામાં આવ્યો છે. ઉપરાંત કિલ્લાઓ, સંગ્રહાલયો, મનોરંજન ઉદ્યાનો પણ આગામી આદેશ સુધી બંધ રહેશે.

આ નવી ગાઈડલાઈન મુજબ જાહેર સ્થળોએ મુસાફરી કરતી વખતે માસ્કનો ઉપયોગ કરવો અને ફરજિયાતપણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનુ રહેશે. CM દ્વારા નિયમોના ભંગ બદલ શિક્ષાત્મક કાર્યવાહીના પણ આદેશ આપવામાં આવ્યા છે. જેમાં કોવિડ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 50 હજાર સુધીનો દંડ અને કડક કાર્યવાહીનો નિર્દેશ કરવામાં આવ્યો છે.

આ સિવાય સરકારી કચેરીઓમાં મળવા આવનારાઓ પર પ્રતિબંધ રહેશે. જો જરૂરી હોય તો મુખ્ય કચેરીમાંથી લેખિત પરવાનગી મેળવવાની રહેશે. ખાનગી ઓફિસોમાં ઘરેથી કામ કરવાની સુવિધા ઉપલબ્ધ થશે. આ સાથે જે કર્મચારીઓએ સંપૂર્ણ રસીકરણ કરાવ્યું હોય તેમને જ કચેરીમાં કામ કરવા દેવામાં આવશે. ઉપરાંત લગ્ન સમારોહમાં ફક્ત 50 લોકોને જ આવવાની મંજૂરી આપવામાં આવી છે. તેમજ અંતિમ સંસ્કાર માટે 20 લોકોને જ છુટ આપવામાં આવી છે.

(12:00 am IST)