Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

હરિયાણાના પૂર્વ ધારાસભ્ય અને સગા સસરા સહિત ૮ને મોતને ઘાટ ઉતારી દેનાર આરોપી અમરેલી જીલ્લામાં સાધુ બનીને રહેતોઃ રિમાન્ડની તજવીજ

આશરો આપનારાની પોલીસ તંત્ર ઝીણવટભરી તપાસ કરશે

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧૦ :. હરિયાણાના હિસારના બરવાલાના પૂર્વ ધારાસભ્ય રેલુરામ તેની પત્નિ સહિત પરિવારના ૮ સભ્યોને મોતને ઘાટ ઉતારી દઈને રાજુલાના છતડીયામાં સાધુ બનીને ઓમ આનંદગીરી નામથી રહેનાર શખ્સને પોલીસે ઝડપી પાડયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સરહાનપુરના વતની સંજીવ એટલે કે છતડીયા આશ્રમમાં ઓમાનંદગીરી નામે જાણીતો આ હત્યારો ૧૯૯૭માં સ્પોર્ટસ મીટમાં ભાગ લેવા માટે લખનઉ ગયો હતો અને ત્યાં હરીયાણા હિસ્સાર શહેરની વતની સોનીયા નામની યુવતી સાથે તેની મુલાકાત થઈ હતી તે ત્યાંના તત્કાલીન ધારાસભ્ય રેલુરામ પુનીયાની પુત્રી હતી અને તે પોતાની માતા કૃષ્ણ સાથે આવી હતી ત્યાં બન્નેની મુલાકાત પ્રેમમાં ફેરવાઈ અને બન્નેએ લગ્ન કર્યા હતા. સંજીવના જણાવ્યા અનુસાર તેની પત્નિ સોનીયાના પીયર પક્ષ એટલે કે ધારાસભ્ય રેલુરામ પુનીયાને ત્યાં કંકાશ ચાલી રહ્યો હતો તે કારણે ૨૪ ઓગષ્ટ ૨૦૦૧માં સોનીયા અને સંજીવએ મળીને રેલુરામ પુનીયા, સાસુ કૃષ્ણા, સાળો સુશીલ, સાળાની પત્નિ શંકુતલા તેની પુત્રી પ્રિયંકા, ચાર વર્ષના પૌત્ર લૌકેશ, અઢી વર્ષની પૌત્રી શિવાની અને દોઢ મહિનાની પ્રિતી મળી આઠ પરિવારજનોની હત્યા કરી નાખી હતી. આ મામલામાં હિસ્સારના ઉકલાના પોલીસ સ્ટેશનમાં આર્મસ એકટ અને હત્યાનો ગુનો દાખલ થયો હતો. જેમાં સંજીવ અને તેની પત્ની સોનીયા ઉપરાંત તેના માતા-પિતા, ભાઈ, બે મામા, મામાનો છોકરો અને બે કાકાને પોલીસે ૨૦૦૧માં પકડયા હતા અને ૩૧ મે ૨૦૦૪ના હિસ્સારની કોર્ટે સોનીયા અને સંજીવને ફાંસીની સજા ફટકારી હતી.

પંજાબ અને હરીયાણા હાઈકોર્ટમાં સંજીવ અને સોનીયા તરફથી મુકતી અરજી દાખલ કરી હતી. જો કે મામલો સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો અને સુપ્રિમ કોર્ટે ફાંસીની સજાને આજીવન કેદમાં તબદીલ કરી હતી. સંજીવન કહેવા અનુસાર તેમણે આ સજા અંબાલા યમુનાનગર, કુરૂક્ષેત્ર, ઈજ્જાર, રોહતક અને ફરીદાબાદમાં કાટી જિલ્લા અંબાલામાં રહેતા કેદીઓ સાથે મળીને અંબાલા જેલમાં વર્ષ ૨૦૧૮મા જેલમાં સુરંગ બનાવવા કોશિષ કરી હતી. જો કે તેને સફળતા મળી ન હતી ત્યાર બાદ તેને કુરૂક્ષેત્ર જેલમાં સીફટ કરવામાં આવેલ ત્યાંથી વર્ષ ૨૦૧૮મા યમુનાનગરના ચંગનોલીના ફર્ઝી પેરોલ પર આવેલ પરંતુ પેરોલ પરથી ફરી જેલમાં હાજર ન થઈને ફરાર થઈ જતા કેસ પણ દાખલ કરવામાં આવેલ છે.

પેરોલમાં ફરાર સંજીવને મેરઠથી પકડવામાં આવેલ છે તે પોતાનું બદલાવી ઓમાનંદગીરી ઉર્ફે ઓમકારના નામથી સાધુ બની ગુજરાત, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં રહીને પોલીસને ગુમરાહ કરી રહ્યો હતો રેલુરામ પુનીયા હત્યાકાંડમાં સંજીવ અને તેની પત્નિ સોનીયાને ફાંસીની સજા થઈ હતી તે આરોપી ઝડપાઈ જતા પોલીસે પુછપરછ હાથ ધર્યાનું અંબાલાના એમપીએફ ડીએસપી શ્રી કુલભુષણે જણાવ્યુ હતું. પોલીસે અમરેલી જીલ્લામાં આશરો આપનારા લોકોની જીણવટભરી પૂછપરછ હાથ ધરશે.

રાજુલાના છતડીયા આશ્રમમાં રણીધણી થઈને પેરોલ પરથી ભાગેલ સંજીવ સ્વામી ઓમઆનંદગીરીના નામથી સાધુ બની રહેતો હતો અને નવાઈની બાબત એ છે કે આ આશ્રમમાં તેમણે રાષ્ટ્ર સેવાના કાર્યક્રમો રાજકીય આગેવાનો, પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજ્યા હતા પરંતુ કોઈને તેની ઉપર શંકા ગઈ ન હતી પરંતુ અંબાલાની પોેલીસ  ટુકડીએ તેમની ટુકડીએ તેમને પકડી પાડતા તેનો પર્દાફાશ થયો હતો. આ ઘટના અંગે અમરેલી એસપી શ્રી નિર્લિપ્ત રાયએ જણાવ્યુ છે કે આ સાધુ રાજુલા વિસ્તારમાં આવેલ આશ્રમમાં આશરો લઈને રહેતો અને અમરેલી પોલીસ દ્વારા આ સાધુને આશરો આપનાર તેમજ તેને મદદ કરનારની ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવેલ છે તથા આ બાબત જાણકારી-માહિતી આપવા માંગતા વ્યકિતએ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, અમરેલી ખાતે રૂબરૂ મળીને માહિતી આપી શકશે અને માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.

(12:50 pm IST)