Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

નવા કૃષિ કાયદા કોઈને જકડતા નથી, બધા માટે વૈકલ્પિક વ્યવસ્થા છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખેડૂતોને સંદેશ : સરકારે જૂની મંડળી સિસ્ટમને યથાવત રાખી અને આ બજેટમાં મંડળીઓને આધુનિક બનાવવા માટે વ્યવસ્થા કરાઈ, એમએસપી ઉપર આશ્વાસન આપ્યું

નવી દિલ્હી, તા. ૧૦ : લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર આંદોલનકારી ખેડૂતોને સંદેશ આપ્યો હતો. વડાપ્રધાને કહ્યું હતું કે, નવા કૃષિ કાયદાઓ કોઇને પણ જકડતા નથી, તમામ માટે વૈકલ્પિક વ્યવસ્થા હાજર છે. એટલે કે ઇચ્છાનુસાર વિકલ્પ પસંદ કરી શકે છે. સરકારે જૂની મંડળી સિસ્ટમને યથાવત રાખી છે અને આ બજેટમાં મંડળીઓને આધુનિક બનાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી. પીએમ મોદીએ એમએસપી પર પણ આશ્વાસન આપ્યું હતું.

પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાનો સાધતા કહ્યું કે વિપક્ષે કૃષિ કાયદાઓને બ્લેક લો કહેતા તેના કલર પર ચર્ચા કરી પરંતુ તેના કન્ટેન્ટ પર ચર્ચા કરી હોત તો પરિણામ સારુ આવતું. આંદોલનકારી ખેડૂતોને સંદેશ પાઠવતા પીએમ મોદીએ કહ્યું હતું કે આંદોલન કરી રહેલા તમામ ખેડૂતોની ભાવનાઓની સદન આદર કરે છે અને આ માટે જ સરકાર સતત આદરભાવથી વાત કરી રહી છે. સતત વાતચીત ચાલી રહી છે. ખેડૂતોની શંકાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે, કંઇ ખોટ હોય તો એ બદલવા માટે તૈયાર છીએ.

પીએમ મોદીએ કૃષિ સુધારાઓ પર જોર આપતાં કહ્યું હતું કે જ્યાં સુધી ખેતીને આધુનિક નહીં બનાવીએ ત્યાં સુધી એગ્રીકલ્ચર સેક્ટર મજબૂત નહીં બની શકે. ખેડૂત આંદોલન પર તેમણે કહ્યું હતું કે સુધારાઓનો શરુમાં વિરોધ થાય છે પરંતુ સત્ય સામે આવતા લોકોમાં સમજ પણ આવે છે. જોકે આ દરમિયાન સદનમાં ભારે કોંગ્રેસ દ્વારા ભારે હંગામો કરવામાં આવ્યો હતો અને તેના સભ્યો સદનથી વોકઆઉટ પણ કરી જતાં પીએમ મોદીએ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે એવા આરોપ પણ લગાવ્યા હતા કે કોંગ્રેસનું વલણ રાજ્યસભા અને લોકસભામાં અલગ-અલગ હોય છે. વડાપ્રધાને કોરોના મહામારીનો ઉલ્લેખ કરતા કહ્યું કે મહામારીને લીધે આવેલા સંકટ પર અનુમાન બાંધી લેવાયા હતા કે ભારત આ પડકારને કેવી રીતે ઝીલશે. પરંતુ ૧૩૦ કરોડ ભારતવાસીઓના અનુશાસન અને સમર્પણએ દેશને બચાવી રાખ્યો. કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન દેશના અર્થતંત્રને જીવંત રાખવા માટે કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણયો અને ઉઠાવેલા પગલાઓનું પણ પીએમ મોદીએ વર્ણન કર્યું હતું.

(7:24 pm IST)