Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

રેડિયોએક્ટિવની ગરમીથી ગ્લેશિયર ફાટ્યું હોવાનો દાવો

રવિવારના જળપ્રલય પર અનેક થિયરી સામે આવી : ૧૯૬૫માં ચીન ઉપર નજર રાખવા ભારત-અમેરિકાએ નંદા દેવી પવર્ત સિક્રેટ ડિવાઈસ નાખવા પ્રયાસ કર્યો હતો

દહેરાદૂન/ચમોલી, તા. ૧૦ : ચમોલીના તપોવન વિસ્તારમાં ગ્લેશિયર ફાટ્યા બાદ વિનાશની આફત આવી છે. એસડીઆરએફ, એરફોર્સ અને તમામ એજન્સીઓ બચાવ કામગીરીમાં દિવસ અને રાત એક કરી છે. રવિવારે આવેલા જળપ્રલયને લઈને ઘણી બધી થિયરીઝ સામે આવી રહી છે. પર્યાવરણવિદ ઋષિગંગા વીજ પ્રોજેક્ટ અને વિકાસની દોડમાં બનાવવામાં આવી રહેલા ડેમ પર આંગળી ચીંધી રહ્યા છે. બીજી તરફ એવી દલીલ પણ કરવામાં આવી રહી છે કે આ કુદરતનો કહેર છે અને આના માટે મનુષ્ય પ્રવૃત્તિઓ જવાબદાર નથી. આ દરમિયાન તપોવનના રૈણી ગામના કેટલાક લોકો કહે છે કે, ૧૯૬૫માં એક ગુપ્ત મિશન દરમિયાન નંદા દેવી પર્વત પર રેડિયોએક્ટિવ ડિવાઈસ ખોવાઈ ગયું હતું, જેનાથી ઉત્પન્ન થતી ગરમીને કારણે ગ્લેશિયર ફાટ્યું હતું.

નંદા દેવી પર્વત સમુદ્ર સપાટીથી ૭૮૦૦ મીટરથી વધુની ઉંચાઇ પર સ્થિત છે. તે ભારતનો બીજો સૌથી ઉંચો શિખર છે. ૧૯૬૫થી આ શિખરોમાં એક રાઝ દફન છે, જે માનવો માટે વિનાશક આશંકાને વારંવાર જીવંત બનાવે છે. શીત યુદ્ધનો સમય હતો અને તે સમયે વિશ્વ બે ધ્રુવોમાં વહેંચાયેલું હતું. ભારત અને અમેરિકાએ મિશન નંદા દેવી તરીકે ૧૯૬૫માં સિક્રેટ મિશન શરૂ કર્યું હતું. આ સિક્રેટ મિશન ચીનની પરમાણુ પ્રવૃત્તિઓને રોકવા માટે શરૂ કરાયું હતું. અમેરિકાએ ચીન પર નજર રાખવા માટે ભારતની મદદ માંગી હતી. કંચનજંગા પર સિક્રેટ ડિવાઈસ સ્થાપિત કરવાની યોજના બનાવવામાં આવી હતી, અને ૨૫ હજાર ફૂટથી વધુની ઉંચાઇ પર સ્થિત નંદા દેવી પર રેડિયોએક્ટિવ ડિવાઈસ સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ૧૯૬૪માં ચીને ઝિનજિયાંગ પ્રાંતમાં પરમાણુ પરીક્ષણ કરાવ્યું. આ પછી ૧૯૬૫માં યુએસની ગુપ્તચર એજન્સી સીઆઈએ હિમાલયના શિખરોથી ચીનની પરમાણુ પ્રવૃત્તિઓ પર નજર રાખવાની યોજના બનાવી. આ માટે ભારતીય ગુપ્તચર વિભાગ (આઈબી)ની મદદથી નંદા દેવી પર્વત પર ગુપ્તચર ઉપકરણ સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પર્વત પર ૫૬ કિલોના ઉપકરણો સ્થાપિત કરવાના હતા. આ ઉપકરણોમાં ૮થી ૧૦ ફૂટ ઉંચી એન્ટેના, બે ટ્રાંસ રીસીવર સેટ્સ અને એક પરમાણુ સહાયક ઉર્જા જનરેટર (એસએનએપી સિસ્ટમ) શામેલ હતા. જનરેટરના ન્યૂક્લિયર ફ્યૂઅલમાં પ્લુટોનિયમ સાથેના કેપ્સ્યુલ્સ પણ હતા, જેને ખાસ કન્ટેનરમાં રાખવામાં આવ્યા હતા. ન્યૂક્લિયર ફ્યુઅલ જનરેટર હિરોશિમા પર ફેંકાયેલા બોમ્બના અડધા વજન હતું. ટીમે તેનું નામ ગુરુરિંગપોચે રાખ્યું છે. આ ગુપ્ત મિશન સાથે ૨૦૦ લોકોની ટીમ જોડાયેલી હતી.

ઓક્ટોબર ૧૯૬૫માં ટીમ નંદા દેવી પર્વતથી ૨૪ હજાર ફૂટની ઉંચાઇ પર સ્થિત કેમ્પ -૪ પર પહોંચી હતી. દરમિયાન અચાનક હવામાન ખૂબ ખરાબ થઈ ગયું હતું. ટીમ લીડર મનમોહન સિંહ કોહલી માટે ડૂ એન્ડ ડાઈનો સવાલ હતો. તેમણે પોતાની ટીમ અને સિક્રેટ ડિવાઈસ બંનેમાંથી એક પસંદ કરવાનું હતું. આવી સ્થિતિમાં તેમણે પોતાની ટીમના સભ્યોને પસંદ કર્યા. આખરે ટીમને મિશન છોડીને પાછા ફરવું પડ્યું. પરમાણુ સહાયક શક્તિ જનરેટર મશીનો અને પ્લુટોનિયમ કેપ્સ્યુલ્સ કેમ્પ-૪ પર જ છોડવા પડ્યા.

એક વર્ષ પછી ૧૯૬૬માં ફરી એકવાર મિશન પૂર્ણ કરવાનો પ્રયાસ થયો. મે ૧૯૬૬માં જૂની ટીમના કેટલાક સભ્યો અને એક અમેરિકન પરમાણુ નિષ્ણાત એ ઉપકરણ શોધવા માટે નંદા દેવી પર્વત પર નીકળ્યા. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે સિક્રેટ ડિવાઈસને નીચી ઉચાઇએ પણ સ્થાપિત કરી શકાય છે. ૬૮૬૧ મીટરની ઉંચાઈ પર સ્થિત માઉન્ટ નંદા કોટ પર ગુપ્તચર ઉપકરણ સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ટીમ ઉપકરણની શોધમાં નંદા દેવી પર્વતનાં કેમ્પ -૪ પર પહોંચી હતી. પરંતુ જ્યારે ત્યાં શોધ શરૂ થઈ ત્યારે ન તો ડિવાઈસ મળ્યું અને ન પ્લૂટોનિયમ કેપ્સ્યુલ્સ મળ્યા. આજ સુધી આ સિક્રેટ રેડિયોએક્ટિવ ડિવાઈસ વિશે કંઇ જાણી શકાયું નથી. નિષ્ણાતો માને છે કે પ્લુટોનિયમના આ કેપ્સ્યુલ્સ ૧૦૦ વર્ષ સુધી સક્રિય રહી શકે છે. આ રેડિયોએક્ટિવ ડિવાઈસ હજી પણ તે જ વિસ્તારમાં ક્યાંક દફન હોઈ શકે છે.

૧૯૬૫માં મિશન નંદા દેવીના ટીમ લીડર કેપ્ટન મનમોહન સિંહ કોહલી આ અભિયાનની વિરુદ્ધ હતા. તેમણે કહ્યું કે નંદા દેવી શિખર ૨૫ હજાર ફૂટથી વધુ ઉંચાઇ પર છે. તેમણે આટલી ઉંચાઇએ ખતરનાક રેડિયોએક્ટિવ સામાન લઈ જવાના ભય વિશે ચેતવણી આપી હતી. પરંતુ યુએસ ગુપ્તચર એજન્સીની ટીમ આ મિશનને આગળ વધારવા માંગતી હતી. આવી સ્થિતિમાં તેમની સલાહને અવગણવામાં આવી. આ પછી ભારત-યુએસ ટીમને ત્યાં જવું પડ્યું. ૧૪ ઓક્ટોબર ૧૯૬૫ના રોજ ટીમને બર્ફીલા તોફાનનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં ટીમના સભ્યોના જીવ જોખમમાં મુકાયા હતા. ત્યારબાદ ટીમના નેતા કોહલીએ દરેકને બેઝ કેમ્પમાં પાછા ફરવાની સૂચના આપી હતી. આ પછી, ટીમ ૧ જૂન ૧૯૬૬ના રોજ ફરીથી કેમ્પ -૪ પહોંચી, પરંતુ ખૂબ જહેમત બાદ ત્યાં કંઇ મળ્યું નહીં.

૧૯૭૭માં સીઆઈએ અને આઈબીના આ સિક્રેટ મિશનનો પહેલીવાર ખુલાસો થયો હતો. આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ આની ચર્ચા થઈ હતી. આ પછી તત્કાલીન વડા પ્રધાન મોરારજી દેસાઇએ સંસદમાં આ મિશનની પુષ્ટિ કરવી પડી. ત્યારથી સતત ચર્ચા થઈ રહી છે કે હિમાલયમાં કોઈ રેડિયોએક્ટિવ ડિવાઇસનો ઉપયોગ ન કરવો જોઇએ, કેમ કે તે ક્યારેય પણ વિનાશક આપત્તિને જન્મ આપી શકે છે. હવે રૈણી ગામના લોકોએ આશંકા વ્યક્ત કરી છે કે, ૧૯૬૫માં નંદા દેવીમાં ખોવાયેલા રેડિયોએક્ટિવ ડિવાઈસ દ્વારા ઉત્પન્ન થતી ગરમીને કારણે ગ્લેશિયર ફાટ્યું છે. આવી સ્થિતિમાં, આ વાત પર વધારે આશંકા સેવાઈ રહી છે કે, ૧૯૬૫નું સિક્રેટ મિશન તો આ પ્રલય માટે જવાબદાર નથી ને?

(7:25 pm IST)