Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

પૈગોંગ સરોવરથી બંને દેશની સેનાઓ પાછળ હટી છેઃ ચીન

સરહદે લાંબા સમયથી ચાલતા સંઘર્ષમાં હળવાશના ચિહ્નો : બંને દેશો વચ્ચે યુએનએસસીના એજન્ડા પર બેઠક થઈ, ચીનના નિવેદન ઉપર ભારતે કોઈ જ પ્રતિક્રિયા ન આપી

બેંઇજિંગ, તા. ૧૦ : એલએસી પર ભારત-ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી સંઘર્ષભરી સ્થિતિમાં હળવાશના ચિહ્નો મળી રહ્યા છે. આ અંગે બુધવારે ચીનના રક્ષા મંત્રાલયે કહ્યું હતું કે પૈંગોંગ સરોવરથી બંને દેશોની સેનાઓ પાછી ખસવા લાગી છે, મંગળવારે બંને દેશો વચ્ચે યૂનાઇટેડ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ એજન્ડા પર બેઠક થઇ હતી. જોકે ચીનના રક્ષા મંત્રાલયના પ્રવક્તા કર્નલ વૂ કિયાન અને ચીનના સરકારી મીડિયા દ્વારા આપવામાં આવેલા નિવેદન પર ભારત તરફથી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

 

આ પહેલા વૂ કિયાને તેમના એક નિવેદનમાં કહ્યું હતું કે ચીન અને ભારત વચ્ચે કમાન્ડર સ્તરની વાર્તા નવમાં તબક્કે પહોંચી અને સર્વસંમતિ મુજબ ચીની અને ભારતીય સશસ્ત્ર દળોની ટૂકડીઓએ ૧૦ ફેબ્રુઆરીથી પૈંગોંગ સરોવરના ઉત્તર અને દક્ષિણ ભાગથી પીછેહટ શરુ કરી હતી.

નોંધનીય છે કે, મંગળવારે બંને દેશો વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના એજન્ડા પર મહત્વની બેઠક યોજાઇ હતી. મે ૨૦૨૦માં ચીની સૈનિકોની ઘૂસણખોરી પછી બંને દેશો વચ્ચે સહયોગને લઇને થતી તમામ બેઠકો રદ કરી દેવામાં આવી હતી.

(9:03 pm IST)