Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

ચીન બાયોલોજિકલ, જિનેટિક હથિયારોથી સુસજ્જ થાય છે

કોરોના વાયરસ માટે શરૂઆતથી ચીન શંકાના ઘેરામાં : આમાં એક હથિયાર કોરોના પણ હોવાનો ઘટસ્ફોટ અમેરિકાના સંશોધકોના હાથમાં લાગેલા દસ્તાવેજો દ્વારા થયો

વોશિંગ્ટન,તા.૯ : કોરોના વાયરસ માટે શરૂઆતથી જ ચીન શંકાના ઘેરામાં છે. જોકે, હવે એક નવો ઘટસ્ફોટ થયો છે જે મુજબ ચીનના વૈજ્ઞાનિકો છેલ્લા છ વર્ષથી બાયોલોજિકલ અને જીનેટિક હથિયારો દ્વારા ત્રીજા વિશ્વ યુદ્ધની તૈયારીઓ કરી રહ્યું છે. આમાં એક હથિયાર કોરોના વાયરસ પણ છે. આ ઘટસ્ફોટ અમેરિકાના સંશોધકોના હાથમાં લાગેલા દસ્તાવેજો દ્વારા થયો છે. નવા પૂરાવાઓમાં જોવા મળે છે કે બેઈજિંગ ૨૦૧૫ની શરૂઆતથી જ સાર્સ કોરોના વાયરસનો મિલિટ્રી ઉપયોગમાં લેવાનું વિચારી રહ્યું હતું. ઘણા વૈજ્ઞાનિકો શરૂઆતથી જ કહી રહ્યા છે કે કોવિડ-૧૯ વાયરસ ચાઈનિઝ લેબમાંથી જ લીક થયો છે અને બાદમાં તેણે સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધું છે. ભારપૂર્વક જણાવ્યું છે કે પ્રથમ વિશ્વ યુદ્ધ કેમિકલનું હતું જ્યારે બીજુ વિશ્વ યુદ્ધ ન્યુક્લિયર હતું. જ્યારે ત્રીજુ વિશ્વ યુદ્ધ બાયોલોજિકલ હશે. બે અણુ બોંબે જાપાનને શરણાગતિ સ્વીકારવા મજબૂર કર્યું હતું અને આ સાથે જ બીજા વિશ્વ યુદ્ધનો અંત આવ્યો હતો. તેવી જ રીતે ત્રીજા વિશ્વ યુદ્ધને જીતવા માટે બાયોવેપન્સ મુખ્ય હથિયારો રહેશે. આ ડોક્યુમેન્ટમાં જૈવિક હથિયારનો ઉપયોગ કેવી રીતે કરવો જેથી કરીને વધારેમાં વધારે નુકસાન પહોંચાડી શકાય તેની સમજ પણ આપવામાં આવી છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે એકદમ સ્વચ્છ દિવસ હોય ત્યારે આ હથિયારનો ઉપયોગ કરવો જોઈએ નહીં કેમ કે વધારે પડતા સૂર્યપ્રકાશમાં પેથોજેન્સને નુકસાન થઈ શકે છે.

            જ્યારે વરસાદ કે પછી બરફ વર્ષ દરમિયાન તે વધારે અસરકારક રહેશે. હથિયારને પવનની સચોટ દિશા જોઈને રાત્રે, પરોઢીયે કે પછી વાદળછાયા વાતાવરણમાં છોડવા જોઈએ જેથી કરીને એરોસોલ હવા દ્વારા સચોટ ટાર્ગેટ સુધી પહોંચી શકે. આ દરમિયાન સંશોધનમાં તે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આવા હુમલાથી હોસ્પિટલમાં સારવારની જરૂર પડે તેવા દર્દીઓની સંખ્યા ઝડપથી વધશે. જેનાથી દુશ્મન દેશની મેડિકલ સિસ્ટમ ભાંગી પડે. કેમિકલ હથિયારોના નિષ્ણાત હમિશ ડી બ્રેટોન-ગોર્ડને જણાવ્યું હતું કે, ચીને તેની પ્રયોગશાળાઓને નિયમન અને પોલીસ બનાવવાના તમામ પ્રયાસોને નિષ્ફળ કર્યા છે જ્યાં આવા પ્રયોગો થઈ શકે. નોંધનીય છે કે ચીનની વુહાન ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીમાંથી કોરોના લીક થયો હોવાનું કહેવાય છે. ઘણા નિષ્ણાતોએ દાવો કર્યો છે કે આ લેબમાં વાયરોલોજિસ્ટ નવો વાયરસ બનાવી રહ્યા હતા જે વધારે ચેપી અને વધારે ઘાતક છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓને શંકા છે કે કોવિડ-૧૯ વુહાન લેબમાંથી જ લીક થયો છે પરંતુ તેમની પાસે હજી કોઈ પૂરાવા નથી કે તેને ઈરાદાપૂર્વક લીક કરવામાં આવ્યો છે કે નહીં. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તો કોરોના માટે ચીનને જ જવાબદાર ગણાવ્યું હતું. તેમણે કોરોના વાયરસને ચાઈનિઝ વાયરસ પણ કહ્યો હતો.

(12:00 am IST)