Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

કોરોના મામલે ગ્રહો પર ખૂબ મોટી અસર જોવા મળશે

વૃષભ અને મિથુનમાં ગ્રહોનો જમાવડો : ૧૪ મે થી સૂર્યના વૃષભમાં ગોચર સાથે કોરોના સંકટ વધુ ઘેરૂ બનશે, વૃષભ, મિથુન, ધનરાશિના જાતકો શિકાર બનશે

નવી દિલ્હી,તા.૧૦: જ્યોતિષ શાસ્ત્રમાં મેષ રાશિથી મીન રાશિ સુધીની તમામ રાશિને માનવ શરીરના કેટલાક ભાગનું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. મેષ રાશિથી માથું, વૃષભ રાશિથી ગળું અને નાક, મિથુન રાશિથી કાન અને શ્વાસની નળી, કર્ક રાશિથી ફેફસાં, સિંહ રાશિથી હૃદય વગેરે. મેદિની જ્યોતિષમાં કહેવામાં આવ્યા મુજબ જુદી જુદી રાશિમાં જુદા જુદા ગ્રહોના ગોચરથી દેશ અને વિશ્વમાં વિવિધ રોગોના વિસ્તરણ અને ફેલાવાને લઈને વિચાર પ્રગટ કરવામાં આવ્યા છે તેમજ તેના આધારે આગાહીઓ કરવામાં આવી છે. ૨૬ ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ સૂર્યગ્રહણ સમયે રાહુ મિથુન રાશિમાં હતો, જેના પર ધન રાશિમાંથી ૬ ગ્રહોની દ્રષ્ટી પડી રહી હતી.

તેવામાં શ્વસન માર્ગને સંબંધિત મિથુન રાશિના પીડાત થતા જ કોરોના વાયરસએ વિશ્વભરમાં મહામારીનું સ્વરૂપ લેવાનું શરૂ કરી દીધું હતું. તાજેતરમાં જ ફેબ્રુઆરી મહિનાના અંતમાં મંગળે વૃષભ રાશિમાં પ્રવેશ કરીને રાહુ સાથે સંયોગ રચ્યો હતો. જેના કારણે ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર લોકોના જીવનને ખૂબ અસર કરી છે. વૃષભ રાશિ ગળા અને નાક સાથે સંબંધિત છે જ્યાંથી આ વાયરસ પ્રથમ પ્રવેશ કરે છે. તેવામાં હવે ૧૪ મેના રોજ સૂર્ય રાત્રે ૧૧. ૨૫ વાગ્યે વૃષભ રાશિમાં આવશે અને રાહુ સાથે યુતિ કરશે જ્યાં શુક્ર અને બુધ પણ ગોચર કરી રહ્યા છે. તે સમયે મિથુન રાશિમાં મંગળ અને ચંદ્ર રહેશે. તેવામાં એ શક્યતા પૂરે પૂરી છે કે કોરોનાની બીજી લહેર આ સમય દરમિયાન તેના સૌથી વધુ જુવાળ પર હશે. વૃષભ સંક્રાંતિની કુંડળીમાં સૂર્ય, શુક્ર, રાહુ અને બુધનો સંયોગ પાંચમા ભાવમાં રચાય છે, જે રોગચાળાને કાબૂમાં લેવાની સરકારની નીતિઓમાં મોટા પરિવર્તનની નિશાની છે. તેમજ કુંડળમાં છઠ્ઠા સ્થાને એટલે કે રોગ ભાવમાં ચંદ્ર અને મંગળનો યોગ છે, જેના કારણે આ રોગચાળાની બીજી લહેરની અસર હજુ આગામી કેટલાક મહિનાઓ સુધી રહી શકે છે.

તેમજ છઠ્ઠા ભાવમાં રહેલા મંગળ ગ્રહની આઠમી દ્રષ્ટિ લગ્ન ઘરમાં બેઠા શનિ પર પડી રહી છે તે પણ કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક મોટા પગલાં ભરવાના સંકેત આપી રહ્યા છે. વૃષભ રાશિથી અસરગ્રસ્ત બિહાર અને ઝારખંડમાં અને મિથુન રાશિથી પ્રભાવિત બંગાળમાં કોરોનાના પ્રકોપમાં હજુ પણ થોડો વધારો થઈ શકે છે, લોકોને અહીં વધુ જાગૃત અને સાવચેત રહેવાની જરૂર છે. કોરાનાના નિયમોમાં બેદરકારીથી ખૂબ જ સાવધ રહો. ધન રાશિથી પ્રભાવિત ઉત્તર પ્રદેશમાં મોટી વહીવટી ઉથલપાથલ પણ થઈ શકે છે.

(3:12 pm IST)