Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

કોરોના વેક્સિન લીધા બાદ ત્રણ દિવસ સેક્સથી દૂર રહો

રશિયાના સ્વાસ્થ્ય અધિકારીઓની લોકોને સલાહ : રશિયામાં પહેલાં પણ લોકોને આલ્કોહોલનું સેવન કરવું, ધુમ્રપાન કરવું, નાશ લેવાથી બચવાનું કહેવામાં આવ્યું હતું

મોસ્કો, તા.૧૦ : રશિયાના સ્વાસ્થ્ય અધિકારીઓએ લોકોને સલાહ આપી છે કે તેઓ કોરોના વેક્સિન લીધા બાદ ઓછામાં ઓછા ત્રણ દિવસ શારીરિક સંબંધ બાંધવાથી દૂર રહે. સેરાટોવ વિસ્તારના ઉપ સ્વાસ્થ્ય મંત્રી ડૉ.ડેનિસ ગ્રેફરનું કહેવું છે કે, રશિયાના લોકોએ શારીરિક સંબંધ બાંધ્યા બાદ વધેલાં શારીરિક તણાવથી દૂર રહેવું જોઈએ. રશિયામાં પહેલાં પણ લોકોને વેક્સિન લીધા બાદ તરત આલ્કોહોલનું સેવન કરવું, ધુમ્રપાન કરવું અને નાશ લેવાથી બચવાનું કહેવામાં આવ્યું હતું.

કોરોના વાઇરસની બે-બે વેક્સિન બનાવી ચૂકેલો રશિયા વિશ્વમાં સૌથી ઓછું વેક્સીનેશન ધરાવતા દેશોમાંનો એક છે. રશિયામાં માત્ર ૧૩ ટકા લોકોએ જ કોરોના વાઇરસની વેક્સનીના બે ડોઝ લીધા છે. જ્યારે બાકી યૂરોપીય દેશોમાં આ આંકડો એવરેજ ૩૦ ટકાની ઉપર છે. રશિયાને વેક્સીનેશનની ધીમી ગતિના કારણે ટિપ્પણીનો ભોગ પણ બનવું પડ્યું છે.

ડૉ.ડેનિસ ગ્રેફરે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, મારૂ માનવું છે કે અને દરેક લોકો આ વાત જાણે છે કે શારીરિક સંબંધ બાંધ્યા બાદ ખૂબ જ શારીરિક ઉર્જાનો વ્યય થાય છે. એટલા માટે અમે એવા લોકોને ચેતવણી આપીએ છીએ કે જેઓએ વેક્સિન લીધી હોય તેવા લોકોએ આનાથી દૂર રહેવું જોઈએ. રશિયાએ પોતાના નાગરિકોને સ્પુતનિક વી વેક્સિનનો ડોઝ ઉપલબ્ધ કરાવ્યા છે. આ વેક્સિન પણ એસ્ટ્રાજેનેકાની વેક્સિનની જેમ બે ડોઝવાળી છે. રશિયાની સ્પુતનિકને હજુ સુધી ડબલ્યુએચઓની મંજુરી મળી નથી. જો કે, અલગ અલગ દેશોમાં કરવામાં આવેલા સર્વેમાં આ વેક્સિન કોરોના વાઇરસ વિરૂદ્ધ કારગત સાબિત થઈ છે. રશિયાનો દાવો છે કે આ વેક્સિનને કોરોના વિરૂદ્ધ ૯૧.૬ ટકા કારગત છે. હજુ સુધી ભારત સહિત દુનિયાના ૬૭ દેશોએ આ વેક્સિનને પોતાની મંજુરી આપી ચૂક્યાં છે.

ગ્રેફર રશિયાના એક યોગ ચિકિત્સક હોવાની સાથે એક ઉચ્ચ રાજનેતા પણ છે. જો કે, તેઓના વેક્સીનેશન બાદ શારીરિક સંબંધ ના બાંધવાની સલાહને લઈને વરિષ્ઠ ચિકિત્સા અધિકારીએ ટિકા કરી છે. ગ્રેફરના બોસ ઓલેગ કોસ્ટિને વેક્સીનેશન બાદ શારીરિક સંબંધનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તમે આમ કરી શકો છો. પરંતુ તે કરતી વખતે સાવધાની રાખો. તેઓએ કહ્યું કે, રશિયાના લોકોને સામાન્ય સમજણ હોવી જોઈએ અને વધારે પડતા શારીરિક સંબંધ ના બાંઘવા જોઈએ.

(8:28 pm IST)