Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

રાજકોટમાં કોરોનાએ આજે વધુ ૨૬નો ભોગ લીધો

શહેરમાં ૧૪, જીલ્લામાં ૬ તથા અન્ય જીલ્લામાં ૬ દર્દીઓનાં મોતઃ છેલ્લા ચાર દિવસમાં ૧૧૦ના મોત : સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એક પણ મોત નથી જ્યારે શહેરમાં માત્ર ૨ મૃત્યુ નોંધાયા છેઃ આજ દિન સુધીમાં કુલ મૃત્યુ ૮૦ થયા

રાજકોટ, તા. ૧૦ :  વૈશ્વિક મહામારી કોરોનાએ રાજકોટમાં કાળો કેર વર્તાવ્યો છે. સતત થઇ રહેલા મૃત્યુ વચ્ચે આજે એક જ રાતમાં અધધધ ૨૬ દર્દીઓનો ભોગ લેવાઇ જતાં હાહાકાર મચી ગયો છે. શહેરમાં ૧૪, જીલ્લાનાં ૬ તથા અનય જીલ્લાનાં ૬ સહિત કુલ ૨૬ દર્દીઓના મોત થયા છે. તે સાથે છેલ્લા ચાર  દિવસમાં મૃત્યુઆંક ૧૧૦ થઇ ગયો છે.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એક પણ મોત નથી જ્યારે શહેરમાં માત્ર ૨ મૃત્યુ નોંધાયા છેઃ આજ દિન સુધીમાં કુલ મૃત્યુ ૮૦ થયા

તંત્ર દ્વારા જાહેર કરાયેલ સત્તાવાર યાદીમાં તા.૮ના સવારે ૮ વાગ્યાથી તા.૯સપ્ટેમ્બર સવારે ૮ વાગ્યા સુધીમાં શહેર અને ગ્રામ્યના ૩૦ તેમજ તા.૯ના સવારે ૮ વાગ્યાથી આજે તા.૧૦ના સવારે ૮ વાગ્યા સુધીમાં ૨૬ દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મોત થયા છે.

રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ છેલ્લા ૨૪ કલાકમાં શહેર - જિલ્લાના ૨૬ દર્દીઓએ દમ તોડી દીધા હતો. આ સાથે છેલ્લાચારજ દિવસમાં કોરોનાએ ૧૧૦ લોકોની જિંદગી છીનવી લીધી હતી. દરેક સરકારી તંત્રો કોરોનાને મ્હાત કરવામાં વામણા સાબિત થઇ રહ્યા છે અને બીજી તરફ લોકોના જીવ તાળવે ચોટી ગયા છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે. યુવાન અને આધેડ પણ કોરોનાને કારણે કાળનો કોળીયો બની રહ્યા છે. પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. લોકોએ જાતે જ સાવચેત રહેવું જરૂરી બન્યું છે.

 આમ છતાં રાજકોટ સિવિલમાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુનો આંક ઓછો થતો ન હોઇ લોકોમાં જબરો ફફડાટ વ્યાપી ગયો છે.

(11:08 am IST)