Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

ચિરાગ પાસવાનનું બિહારમાં અલગ થઇને ચૂંટણી લડવી એ ભાજપની રણનીતિનો એક ભાગ હતો ? નીતિશકુમારથી નારાજ લોકોના મત વહેંચવા લગાવેલુ તીર નિશાના ઉપર લાગ્‍યુ ?

પટણાઃ શું ચિરાગ પાસવાનનું બિહારમાં અલગ થઈને વિધાનસભા ચૂંટણી લડવું એ ભાજપની રણનીતિનો એક ભાગ હતો. શું નીતિશકુમારથી નારાજ લોકોના મત વહેંચવા માટે આ તીર ચલાવવામાં આવ્યું હતું. જે સીધુ નિશાને લાગ્યું? બિહાર ચૂંટણી પરિણામના હાલ જે ટ્રેન્ડ છે તે તો લગભગ આવો જ કઈંક ઈશારો કરી રહ્યા છે.

પ્રી પ્લાન હતું ચિરાગનું નીતિશ વિરુદ્ધ ઉતરવું?

રાજકીય પંડિતો મુજબ સતત 15 વર્ષ લાંબા શાસનના કારણે બિહારની જનતામાં નીતિશકુમારની સરકાર પ્રત્યે એન્ટી ઈન્કમ્બન્સીની લહેર જોવા મળી રહી હતી. જેને ભાજપ અને જેડીયુએ ગત વર્ષે જ સૂંઘી લીધી હતી. NDA ગઠબંધને અનેક આંતરિક સર્વે કરાવ્યા જેમાં જાણવા મળ્યું કે આવનારા દિવસોમાં હારજીતનું અંતર ખુબ ઓછું રહેશે. આવામાં સરકારથી નારાજ લોકોના મત વહેંચવા અને RJDને પછાડવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી. આ રણનીતિના ખાસ પાત્ર હતા LJPના અધ્યક્ષ ચિરાગ પાસવાન. યોજના મુજબ તેમને બિહારમાં નીતિશકુમાર વિરુદ્ધ ઊભા કરાયા અને તેઓ તે માટે તૈયાર પણ થઈ ગયા.

નીતિશ પર નિશાન સાધીને વિરોધીઓના મતનો સફાયો કર્યો

રાજનીતિક વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ ચિરાગ પાસવાને રણનીતિ પર કામ કરતા જબરદસ્ત અંદાજમાં નીતિશ પર નિશાન સાધવા માંડ્યું. આ સાથે જ તેઓ પોતાની જાતને પીએમ મોદીના હનુમાન પણ ગણાવતા રહ્યા. આ દરમિયાન લોક જનશક્તિ પાર્ટીના સંસ્થાપક અધ્યક્ષ રામવિલાસ પાસવાનનું અવસાન પણ થયું. ત્યારબાદ ભાજપે તેમના અંતિમ સંસ્કાર માટે રાજકીય સન્માનની જાહેરાત કરી. જેનાથી બિહારમાં વંચિત તબક્કા ખાસ કરીને પાસવાન અને મુસહર જાતિમાં ચિરાગ અને ભાજપ પ્રત્યે સહાનુભૂતિ વધી.

RJDથી છટકીને ચિરાગ સાથે જોડાતા ગયા મતદારો

જેમ જેમ ચૂંટણીનો દોર આગળ વધ્યો તેમ તેમ ચિરાગની રેલીઓમાં પણ હજારોની ભીડ ઉમટવા લાગી હતી. તેઓ દરેક રેલીમાં નીતિશકુમાર પર આકરા પ્રહાર કરતા રહ્યા. આ સાથે જ લોકોને અપીલ કરતા હતા કે નીતિશને પાઠ ભણાવવા માટે તેઓ તેમને જ મત આપે. તેઓ એમ પણ કહેતા રહ્યા કે જો કોઈ સીટ પર એલજેપીના ઉમેદવાર ન હોય તો ત્યાં ભાજપને તેઓ મત આપે. ચિરાગની આ અપીલ અસરકારક રહી અને મોટી સંખ્યામાં નીતિશથી નારાજ લોકોના મત ભેગા કરવામાં તેઓ સફળ રહ્યા. જેનું નુકસાન RJDને સહન કરવું પડ્યું.

શું સત્તા માટે હજુ પણ RJD એ જોવી પડશે રાહ?

અત્યાર સુધી મળતી માહિતી મુજબ એનડીએ 128 બેઠકો પર આગળ છે. જ્યારે મહાગઠબંધન 104 બેઠકો પર અને અન્ય 11 પર આગળ છે. ભાજપ સૌથી વધુ 73 બેઠકો પર આગળ છે. જ્યારે આરજેડી 66 બેઠકો પર આગળ છે. જેડીયુ 49 અને કોંગ્રેસ 20 બેઠકો પર આગળ છે. એલજેપી 2 બેઠકો પર લીડ ધરાવી રહી છે.

(5:19 pm IST)