Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

રાજસ્થાનમાં કબૂતરોના નામે કરોડો રૂપિયાની સંપત્તિ ૪૦ વર્ષ પહેલા કરાઇ હતી કબૂતરાન ટ્રસ્ટની સ્થાપના

માણસોની કરોડોની પ્રોપર્ટીની વાત તો સાંભળી હશે પરંતુ પશુ-પક્ષીના નામે કરોડોની પ્રોપર્ટીની વાત નહીં સાંભળી હોય

નવી દિલ્હી,તા.૧૦: માણસોના નામની કરોડોની પ્રોપર્ટીની વાત તો સાંભળી હશે પરંતુ પશુ-પક્ષીઓના નામે કરોડોની પ્રોપર્ટીની વાત નહીં સાંભળી હોય. અહીં અમે તમને કરોડપતિ કબૂતરો વિશે જણાવીશું. કરોડપતિ કબૂતર સાંભળવામાં તમને કદાચ વિચિત્ર લાગશે પરંતુ આ સાચુ છે. રાજસ્થાનના નાગૌર જિલ્લાના જસનગર ગામમાં આ કબૂતરોના નામે કરોડો રૂપિયાની સંપત્તિ છે.

જેમાં દુકાનો, અનેક વીઘા જમીન અને કેશ પણ છે. કબૂતરોના નામે ૨૭ દુકાનો, ૧૨૬ વીઘા જમીન અને બેંક ખાતામાં લગભગ ૩૦ લાખ રૂપિયા કેશ છે. એટલું જ નહીં આ કબૂતરોની ૧૦ વીઘા જમીન પર ૪૭૦ ગાયોની ગૌશાળા પણ સંચાલિત થઈ રહી છે. ૪૦ વર્ષ પહેલા પૂર્વ સરપંચ રામદીન ચોટિયાના નિર્દેશો અને ગુરુ મરુધર કેસરી પાસેથી પ્રેરણા લઈને ગ્રામીણોના સહયોગથી અપ્રવાસીય ઉદ્યોગપતિ સ્વર્ગીય સજ્જનરાજ જૈન તથા પ્રભુસિંહ રાજપુરોહિત દ્વારા કબૂતરાન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. ભામાશાહોએ કબૂતરોના સંરક્ષણ તથા નિયમિત દાણા પાણીની વ્યવસ્થા માટે ટ્રસ્ટના માધ્યમથી કસ્બામાં ૨૭ દુકાનો બનાવડાવી અને તેમને કબૂતરોના નામે કરી દીધી. હવે આ કમાણીથી ટ્રસ્ટ છેલ્લા ૩૦ વર્ષથી રોજ ૩ બોરી અનાજ આપી રહ્યું છે. કબૂતરાન ટ્રસ્ટ દ્વારા રોજ લગભગ ચાર હજાર રૂપિયાના ખર્ચે ૩ બોરી ધાનની વ્યવસ્થા કરાય છે. ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગૌશાળામાં જરૂર પડ્યે ૪૭૦ ગાયોના ચારાપાણીની વ્યવસ્થા કરાય છે. દુકાનોથી ભાડા તરીકે લગભગ ૮૦ હજાર કુલ માસિક આવક છે. લગભગ ૧૨૬ વીઘા કૃષિ જમીનની અચલ સંપત્તિ છે. કમાણીમાંથી કબૂતરોના સંરક્ષણમાં ખર્ચ થયા બાદની બચત ગામની જ એક બેંકમાં જમા કરી દેવાય છે. જે આજે ૩૦ લાખ રૂપિયા જેટલી છે. ટ્રસ્ટના સચિવ પ્રભુસિંહ રાજપુરોહિતે જણાવ્યું કે કસ્બામાં અનેક ભામાશાહે કબૂતરોના સંરક્ષણ માટે દિલ ખોલીને દાન આપ્યું હતું. આજે પણ દાન આપે છે. આ દાનના રૂપિયાનો યોગ્ય ઉપયોગ થાય અને ક્યારેય કબૂતરોના દાણા પાણીમાં કોઈ સંકટ ન આવે તે માટે ગ્રામીણો તથા ટ્રસ્ટના લોકોએ મળીને દુકાનો બનાવી. આજે આ દુકાનોથી લગભગ ૯ લાખ રૂપિયાની વાર્ષિક આવક થાય છે. જે કબૂતરોના દાણા પાણી માટે ખર્ચ કરાય છે.

(3:12 pm IST)