Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

કોરોનાએ તો ભારે કરી! રિકવર થયેલા દર્દીને થઈ વિચિત્ર બીમારી : ભોજનમાંથી આવે છે કચરાની વાસ

ગમે તેટલી સ્વાદિષ્ટ વાનગી કેમ ન હોય, આ યુવકને તેમાંથી આવે છે ગટર જેવી વાસઃ મંદિરમાં ધૂપની સુગંધ પણ તેને કોહવાયેલા પ્રાણી જેવી લાગે છે : કોરોનાથી સાજા થયેલા દર્દીઓ અન્ય બીમારીઓનો શિકાર બને છેઃ નાગપુરનો યુવક બન્યો પેરોસ્મિયા જેવી વિચિત્ર બીમારીનો શિકાર

નાગપુર, તા.૧૧: કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં જે સમસ્યાઓ જોવા મળે છે તેમાં એક છે પેરોસ્મિયા. પેરોસ્મિયા એક એવી બીમારી છે જેના વિષે દ્યણાં ઓછા લોકો જાણતા હોય છે અને કોરોના પછી પણ ભાગ્યે જ કોઈ દર્દીમાં તે જોવા મળે છે. પેરોસ્મિયામાં દર્દીની ગંધની ક્ષમતા પ્રભાવિત થાય છે. સરળ શબ્દમાં કહીએ તો, દર્દીને જે વસ્તુ સામે હોય તેની નહીં, અન્ય કોઈ વસ્તુની ગંધ આવતી હોય છે.

નાગપુરમાં રહેતો ૨૪ વર્ષીય રિષિ દુબે પાછલા સાત મહિનાથી આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. કોરોના થયા પછી તેના શરીરમાં આ સમસ્યા ઉભી થઈ હતી. ઋષિ કોઈ પણ વાનગી આરોગી નથી શકતો. વાનગી ગમે તેટલી સ્વાદિષ્ટ કેમ ન હોય, રિષિને તે ભોજનમાંથી સડી ગયેલા શાકની ગંધ આવે છે, જેના કારણે તે ખાઈ નથી શકતો. ઋષિ કોઈ રેસ્ટોરાં કે હોટલની મુલાકાત પણ નથી લઈ શકતો. હોટલમાં જમવાનું બનતું હોય છે તે સુગંધ તેને ગટર અથવા તો કચરા જેવી આવે છે. આટલુ જ નહીં, ઋષિ માટે સુગંધી પદાર્થો પણ દુર્ગંધ સમાન છે. ઋષિ લાંબો સમય સુધી મંદિરમાં પણ નથી રહી શકતો, કારણકે ત્યાં કરવામાં આવતી ધૂપની સુગંધ તેના માટે દુર્ગંધ છે, તેને લાગે છે જાણે કોઈ કોહવાયેલુ પ્રાણી પડ્યું હોય

ઋષિ જણાવે છે કે, કોરોનાની બીજી લહેર દરમિયાન એપ્રિલ, ૨૦૨૧માં મારા પિતા કોરોના સંક્રમિત થયા હતા. તેમના માટે હોસ્પિટલમાં પથારી શોધવા માટે મારી દ્યણી મહેનત કરવી પડી હતી. આ સમય દરમિયાન મેં પણ સ્વાદ અને સુગંધની ક્ષમતા ગુમાવી હતી. તમામ લક્ષણો કોરોનાના હોવાને કારણે મેં પોતાની જાતને આઈસોલેટ કરી લીધો હતો. દ્યરે જ સારવાર મેળવીને ઋષિ સાજો તો થઈ ગયો, પરંતુ તેની સ્વાદની અને ગંધની ક્ષમતા પાછી ન આવી. ધીરે ધીરે ઋષિની ગંધની ક્ષમતા તો શરુ થઈ પરંતુ સુગંધિત વસ્તુઓમાંથી પણ તેને ગંધ આવતી હતી. સ્વાદમાં પણ આ જ અનુભવ થતો હતો.

ઋષિ જણાવે છે કે, લગભગ એક મહિના સુધી તો મને કોઈ જ પ્રકારનો સ્વાદ નહોતો અનુભવાતો. આજે પણ જો હું કોઈ તીખી અથવા મીઠી વસ્તુ મોઢામાં નાખું તો મને જાણે કચરા જેવો સ્વાદ આવે છે. હું તે ખાઈ જ નથી શકતો. આ તકલીફને કારણે ઋષિએ લોકોને હળવામળવાનું પણ છોડી દીધું છે અને તેનું વજન પણ દ્યટી ગયું છે. ઋષિ માત્ર સાદા દાળ-ભાત અને રોટલી ખાઈ શકે છે. અન્ય કોઈ પણ વસ્તુ જોઈને જ તેને ઉબકા આવે છે. ઋષિએ આ માટે અનેક નિષ્ણાંત તબીબોની મુલાકાત પણ કરી. મેડિકલમાં આ બીમારીની ઓળખ તો છે, પરંતુ સંપૂર્ણ ઈલાજ નથી.

અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને તબીબોએ જણાવ્યું કે, લાંબો સમય સુધી કોવિડ-૧૯ વાયરસ શરીરમાં રહ્યો હોવાને કારણે પેરોસ્મિયા થઈ શકે છે. SARS-CoV-2 સંક્રમણને કારણે તે ગંધને લગતા ટિશ્યુને પ્રભાવિત કરે છે. હેડ એન્ડ નેક સર્જન ડોકટર વૈભવ ચંદનખેડે જણાવે છે કે, આ બીમારી સમયની સાથે જતી રહે છે. પાછલા થોડા મહિનામાં આવા દ્યણાં કેસ અમારી સામે આવ્યા છે. પેરોસ્મિયાને ઠીક થવામાં સમય લાગે છે. કોરોનાને કારણે પેરોસ્મિયાનો શિકાર બનેલા લોકો માટે સ્મેલ ટ્રેનિંગનો ઉપયોગ કરી શકાય છે.

ડોકટર આગળ જણાવે છે કે, અમે તેને ઓલફેકટરી ટ્રેનિંગ કહીએ છીએ. તેમાં એક પ્રકારની ગંધને ૨૦ સેકન્ડ સુધી સૂંદ્યવાનું કહેવામાં આવે છે. લગભગ ૩ મહિના સુધી દિવસમાં બે વાર આ પ્રક્રિયા કરવામાં આવે છે. આ સિવાય દર્દીની જીવનશૈલીમાં પણ પરિવર્તન લાવવું પડે છે. જેમ કે ડુંગળી, ઈંડા, માંસ જેવી વસ્તુઓની સુગંધને ટાળવી. ન્યૂરોસર્જન ડોકટર નિનદ શિખાંડે જણાવે છે કે, કોરોનાની બીજી લહેર પછી આના કેસ વધી ગયા છે. આ જવલ્લે જ જોવા મળતી બીમારી છે. પરંતુ પાછલા છ મહિનામાં દ્યણાં કેસ સામે આવ્યા છે. આના માટે કોઈ ખાસ દવા પણ નથી. સમયની સાથે જ દર્દી સાજા થાય છે. એક મહિલા દર્દીનો કેસ એવો પણ સામે આવ્યો હતો જે પાછલા એક વર્ષથી આનો શિકાર છે અને હજી સમસ્યાનું નિરાકરણ નથી આવી શકયું.

(3:44 pm IST)