Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

મોહાલી હુમલા બાદ પોલીસ એલર્ટ :હુમલામાં વપરાયેલ ગ્રેનેડ લોન્ચર મળ્યા : અનેક શંકાસ્પદની અટકાયત

બ્લાસ્ટ બાદ એક સ્વિફ્ટ કાર મોહાલીથી ડેરાબસ્સી તરફ ગઈ,પછી કાર ત્યાંથી અંબાલામાં પ્રવેશી. પોલીસને આ કાર પર શંકા ગઈ અને કારમાં સવાર એક શકમંદને કસ્ટડીમાં લેવાયો

પંજાબના મોહાલીના સેક્ટર 77માં સ્થિત ઈન્ટેલિજન્સ યુનિટના હેડક્વાર્ટર પર સોમવારે રાત્રે રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. સાહિબજાદા અજીત સિંહ નગરના જિલ્લા જનસંપર્ક અધિકારીએ કહ્યું કે, ઘણા શંકાસ્પદોને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે. હુમલામાં વપરાયેલ ગ્રેનેડ લોન્ચર પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યું છે. આ કેસમાં મળેલી તમામ કડીઓની કાળજીપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. હકીકતમાં, પોલીસે ચંદીગઢ-દિલ્હી નેશનલ હાઈવેને અડીને આવેલા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને 11 લોકોની અટકાયત કરી હતી. આ સિવાય પોલીસે મંગળવારે અંબાલાથી હુમલા સાથે સંબંધિત એક શકમંદની ધરપકડ કરી હતી.

જણાવવામાં આવ્યું છે કે, શહેરમાં બ્લાસ્ટ થયા બાદ એક સ્વિફ્ટ કાર મોહાલીથી ડેરાબસ્સી તરફ ગઈ હતી. આ પછી કાર ત્યાંથી અંબાલામાં પ્રવેશી. પોલીસને આ કાર પર શંકા ગઈ અને ત્યારબાદ કારમાં સવાર એક શકમંદને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. પોલીસ હવે શંકાસ્પદને મોહાલી લાવી રહી છે.

   પ્રતિબંધિત અલગતાવાદી સંગઠન અને ખાલિસ્તાન તરફી જૂથ શીખ ફોર જસ્ટિસ (SFJ) એ એક ઓડિયો સંદેશ જાહેર કરીને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જય રામ ઠાકુરને કહ્યું છે કે, તેઓ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પાસેથી પાઠ લે અને લડાઈ શરૂ ન કરે. રાજ્યના કેટલાક મીડિયા લોકોને મોકલવામાં આવેલા ઓડિયો સંદેશમાં, SFJ સભ્ય ગુરપતવંત સિંહ પન્નુને ઠાકુરને ધમકી આપી છે કે, જો તે ધર્મશાળામાં ખાલિસ્તાની ઝંડા ફરકાવવા સામે પગલાં લેશે તો હિંસા થશે. સોમવારે મોહાલીમાં પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ બ્યુરો હેડક્વાર્ટર પર RPG હુમલાનો ઉલ્લેખ કરતા પન્નુને કહ્યું કે, તે શિમલામાં પણ થઈ શકે છે.

   
(10:59 pm IST)