Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

મગજની બિમારીથી ઝઝૂમતા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ

ભારત સાથે તણાવ સર્જનાર ચીનના વડા જ તણાવમાં : જિનપિંગને સેલેબ્રલ એન્યુરિઝમ નામની બીમારીના કારણે ૨૦૨૧માં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા

બેઈજિંગ, તા.૧૧ : ભારત સાથે સતત તનાવની સ્થિતિ  સર્જનારા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ મગજની એક ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હોવાનુ સામે આવ્યુ છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને આ બીમારીના કારણે ૨૦૨૧માં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. તેમને સેલેબ્રલ એન્યુરિઝમ નામની મગજની બીમારી છે. જોકે ચીનના રાષ્ટ્રપતિને ડોકટરોએ ઓપરેશન કરવાની પણ સલાહ આપી છે પણ જિનપિંગ પારંપરિક ચીની દવાઓથી સારવાર કરવાનુ પસંદ કરી રહ્યા છે. આ પહેલા પણ જિનપિંગ અસ્વસ્થ હોવાની અટકળો થયેલી હતી.કારણકે કોરોનાની મહામારીની શરુઆત થઈ તે પછી બિજિંગમાં વિન્ટર ઓલિમ્પિક યોજાઈ ત્યાં સુધી તેમણે કોઈ વિદેશી નેતા સાથે મુલાકાત કરી નહોતી. માર્ચ ૨૦૧૯માં તેઓ ઈટાલી ગયા ત્યારે પણ દેખાયુ હતુ કે, જિનપિંગને હરવા ફરવામાં મુશ્કેલી પડી રહી છે.ફ્રાંસની મુલાકાત દરમિયાન તેમને બેસવામાં તકલીફ પડી રહી હતી અને એક તબક્કે તેમને ટેકો આપવામાં આવ્યો હતો.

જિનપિંગને સેલેબ્રલ એન્યુરિઝ્મ નામની જે બીમારી છે તેમાં માથાની અંદર એક ધમની પહોળી થતી રહે છે અને તેના કારણે તેની સપાટીને નુકસાન થાય છે. જો તે વધારે પહોળી થાય તો તે તુટી જવાનુ જોખમ રહે છે. આ બીમારીના કારણે દર્દીને માથાનો દુખાવો, જોવામાં તકલીફ થતી હોય છે.

 

 

 

(7:58 pm IST)