Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

કોંગ્રેસ નેતા સચિન પાઇલટે કહ્યું - આજે દેશમાં વાસ્તવિક મુદ્દાઓ પર રાજનીતિ થતી જ નથી

સચિન પાયલોટે કહ્યું -અમે ચિંતન શિબિરમાં દેશના આર્થિક, સામાજિક તેમજ ખેડૂતોને લગતા મુદ્દા પર ચર્ચા કરીશું અને તેના માધ્યમથી દેશની સરકારને સવાલો પૂછવામાં આવશે

રાજસ્થાનમાં કોંગ્રેસની ચિંતન શિબિર પહેલા રાજસ્થાનના ઉપ મુખ્યમંત્રી સચિન પાઈલટે કહ્યું હતું કે પાર્ટીની ચિંતન શિબિર યોગ્ય સમયે થઈ રહી છે. તેમણે એમ પણ કહ્યું કે આજે દેશમાં વાસ્તવિક મુદ્દા પર રાજનીતિ નથી થતી. કોંગ્રેસની ચિંતન શિબિરમાં દેશના આર્થિક, સામાજિક તથા ખેડૂતોના મુદ્દા પર ચર્ચા થશે. રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસ પાર્ટીએ 13 મેના રોજથી 15મી મે સુધી ચિંતન શિબિરનુંનું આયોજન કર્યુ  છે. આ અંગે કોંગ્રેસના રણનીતિકારોનું કહેવું છે કે પાર્ટીની દશા અને દિશા પર મંથન કરવામાં આવશે.

રાજસ્થાન ઉપરાંત ગુજરાત, હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તેમજ વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે. એવામાં ચિંતન શિબિર કોંગ્રેસ પાર્ટી માટે મહત્વની માનવામાં આવી રહી છે. કોંગ્રેસની ચિંતન શિબિર યોજાય તે પહેલા રાજસ્થાનના ઉપ મુખ્યમંત્રી  સચિન પાઇલટે જણાવ્યું હતું કે આજે દેશમાં વાસ્તચવિક મુદ્દાઓ ઉપર રાજનીતિ થતી જ નથી. અમે ચિંતન શિબિરમાં દેશના આર્થિક, સામાજિક તેમજ ખેડૂતોને લગતા મુદ્દા પર ચર્ચા કરીશું અને તેના માધ્યમથી દેશની સરકારને સવાલો પૂછવામાં આવશે.

ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી ગેહલોત બધી જવાબદારી સંભાળી રહ્યા છે. ઉદયપુર ચિંતન શિબિરમાં 6 સત્ર આયોજિત કરવામાં આવશે. જેમાં દેશની આર્થિક પરિસ્થિતિ અને આગામી ચૂંટણી આવી રહી છે તેવા રાજ્યોમાં રાજકીય પાર્ટીઓના ગંઠબંધન પર ચર્ચા થશે. પાર્ટીના આ નવસંકલ્પ ચિંતન શિબિરમાં કોંગ્રેસના આશરે 400 નેતા સામેલ થશે.

સચિન પાઇલટે જણાવ્યું હતું કે શિબિરમાં આવનારા બધા ડેલિગેટ્સમાં અડધાની ઉંમર 40 વર્ષ કરતાં ઓછી છે. એવામાં પાર્ટીના યુવાનોની ભૂમિકાના મુદ્દા પર પણ મંથન કરવામાં આવશે. તેમણે કહ્યું કે આગામી સમયમાં કોંગ્રેસના રોડમેપ અને સંગઠનમાં પરિવર્તન પર પણ મહત્વની ચર્ચા કરવામાં આવી. પાઇલટે એમ પણ કહ્યું કે યુવાનો માટે પાર્ટી હંમેશાં ગંભીર રહી છે. આ માટે એક સમિતિ બનાવીને નિર્ણય કરવામાં આવશે.

સચિન પાઈલટે એમ પણ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી તરફથી વિવિધ મુદ્દે કમિટી બનાવવામાં આવી છે. જેમાં પ્રસ્તુત વિષયો પર ચર્ચા કરવામાં આવશે. તેમણે કહ્યું કે દેશભરમાં કોંગ્રેસની વાપસી થાય તે માટે અમે રણનીતિ બનાવીશું. નોંધનીય છે કે ઉદયપુરમાં ચિંતન શિબિરની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન મુખ્યમંત્રી અશોક ગેહલોત બુધવારથી 6 દિવસ ઉદયપુરમાં જ રોકાશે અને ચિંતન શિબિર બાદ 16 મેના રોજ બાંસવાડામાં સોનિયા ગાંધીની એક સભા યોજાશે.

(8:42 pm IST)