Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

“વૅક્સિન લે કે મુગેમ્બો ખુશ હુઆ”: દાહોદમાં રસી અંગે જાગૃતિ લાવવા દુકાનોમાં આવતા ગ્રાહકોને રમુજી પેમ્પલેટનું વિતરણ

લોકોને વૅક્સિન માટે જાગૃત કરવા માટે રમૂજી પોસ્ટરની મદદ લેવાઈ

દાહોદ :કોરોનાની બીજી લહેરમાં રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધુ સંક્રમણ ફેલાયું હતું. આથી હવે કોરોના સંક્રમણને કાબૂમાં કરવા માટે ગ્રામીણ વિસ્તારમાં વધારે ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે. જો કે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વૅક્સિનને લઈને લોકોમાં વિવિધ પ્રકારની ગેરસમજો, અફવા અને અંધ વિશ્વાસ જોવા મળી રહ્યો છે. જેને દૂર કરવા માટે વિવિધ સંસ્થાઓ અને સરકાર દ્વારા અનેક પગલા ભરવામાં આવી રહ્યાં છે

દાહોદ જિલ્લામાં આદિવાસીઓની બહુમતી છે અને અહીંના લોકોમાં કોરોનાને લઈને અનેક ગેરસમજ છે. અહીંના લોકો વૅક્સિન લેવા માટે જલ્દી તૈયાર નથી થઈ રહ્યાં. આથી અહીંના લોકોને વૅક્સિન માટે જાગૃત કરવા માટે રમૂજી પોસ્ટરની મદદ લેવામાં આવી રહી છે. જેમાં સ્થાનિક દુકાનોમાં આવતા ગ્રાહકોને પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવે છે.

દાહોદના વિવિધ વિસ્તારોમાં વૅક્સિન અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે રમૂજી પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં ફિલ્મી ડાયલોગને વૅક્સિનેશન સાથે સાંકળીને લોકોને વૅક્સિન લેવા માટે જાગૃત કરવામાં આવે છે. જે અંતર્ગ શહેનશાહ ફિલ્મના લોકપ્રિય ડાયલોગ “રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ, નામ હૈ વૅક્સિન” ઉપરાંત મિસ્ટર ઈન્ડિયાના ફેમસ ડાયલોગ “વૅક્સિન લે કે મુગેમ્બો ખુશ હુઆ” જેવા પોસ્ટરો થકી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે.

(12:00 am IST)