Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

મસાલાની પિચકારી સાફ કરવા રેલવેને કરોડોનો ખર્ચ

મસાલાની પિચકારી સાફ કરવા ૧૨૦૦ કરોડનો ખર્ચ : રેલવે સ્ટેશન અને ટ્રેનને સ્વચ્છ રાખવા થૂંકવા માટેનાં સ્પિટૂન પાઉચના વેંડિંગ મશીન મુકવામાં આવશે

નવી દિલ્હી,  તા.૧૦ : પાન-મસાલા ખાતાં લોકો ગમે ત્યાં પિચકારી મારીને ગંદકી ફેલાવતાં હોય છે. તેમાં રેલ્વે પણ બાકાત નથી. રેલ્વેમાં પાન-મસાલાની પિચકારીઓને ટ્રેનો લાલ રંગથી રંગાયેલી જોવા મળે છે. એક અંદાજ અનુસાર રેલવેને પાન અને મસાલાની પિચકારીઓ સાફ કરવા માટે દર વર્ષે અંદાજે ૧૨૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ આવે છે. અને સાથે જ હજારો લિટર પાણીનો વેડફાટ થાય છે. આ આંકડો જાણીને જરૂરથી તમારી આંખો પહોળી થઈ જશે. પણ હવે રેલવેદ્વારા પાન-મસાલાની પિચકારીઓ મારતાં લોકોથી ગંદકી થતાં અટકાવવા એક અનોખો પ્રયાસ કરવા જઈ રહી છે. જેમાં હવે રેલવે સ્ટેશન પર કિઓસ્ક મુકાશે, જ્યાં થૂંકવા માટેનાં પાઉચ મળશે. એટલે કે ગમે ત્યાં થૂંકવાને બદલે યાત્રી આ પાઉચમાં થૂંકી શકે છે.

રેલવે તંત્ર દ્વારા હવે ૪૨ રેલવે સ્ટેશનો પર સ્પિટૂન પાઉચ (થૂંકવા માટેનું પાઉચ)નાં વેંડિંગ મશીન કે કિઓસ્ક મૂકશે. આ માટે રેલ્વે તંત્ર દ્વારા પશ્ચિમ, ઉત્તર અને મધ્ય ઝોનમાં એક સ્ટાર્ટઅપ ઈઝીસ્પિટને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ મશીન પાસેથી યાત્રીઓને પાંચ કે દસ રૂપિયામાં સ્પિટૂન પાઉચ મળશે. આ પાઉચને લઈને યાત્રી ગમે ત્યાં થૂંકવાને બદલે પાઉચમાં જ થૂંકવાથી ગંદકી થતી અટકશે. આ પાઉચ પણ ખાસ ટેકનિકથી બનાવવામાં આવ્યા છે. પાઉચમાં મેક્રોમોલેક્યુલ પલ્પ ટેક્નોલોજી છે, અને તેમાં એક એવી સામગ્રી છે કે જે લારમાં રહેલાં બેક્ટેરિયા અને વાયરસની સાથે મળીને જામી જાય છે. એટલું જ નહીં, આ પાઉચ બાયોડિગ્રેડેબલ છે અને તેને ૧૫-૨૦ વખત ઉપયોગ કરી શકાય છે. આ પાઉચ થૂંકને શોષીને ઠોસ બનાવી દે છે. અને આ પાઉચના ઉપયોગ બાદ તેને માટીમાં ફેંકી દેવાથી તે માટીમાં ભળી જાય છે, અને તેનાથી વૃક્ષો કે છોડોની વૃદ્ધિમાં વધારો થાય છે.

ઈઝીસ્પિટ કંપનીએ મહારાષ્ટ્રના નાગપુર સ્થિતિ સ્ટેશનો પર પાઉચ માટેના સ્ટેશનો લગાવવાનું શરૂ કરી દીધું છે. અને આ ઉપરાંત નાગપુર કોર્પોરેશન અને ઔરંગાબાદ કોર્પોરેશન સાથે પણ કોન્ટ્રાક્ટ કર્યો છે. એટલે કે શહેરોમાં પણ આ મશીન ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. અને પાન-મસાલાની પિચકારીઓથી મુક્તિ મળી શકે છે.

(12:00 am IST)