Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

પંજાબ વિધાનસભાની ચૂંટણી માટેખેડૂતોના સંગઠનોના સંયુક્ત સમાજ મોરચા’ના 10 ઉમેદવારોની યાદી જાહેર

સમરાલા બેઠક પરથી ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલ ઝુકાવશે :ખેડૂત નેતા પ્રેમ સિંહ ભાંગુ ઘનૌરથી, હરજિન્દર સિંહ ટાંડા ખડૂર સાહિબથી, રવનીત સિંહ બ્રાર મોહાલીથી અને ડૉ. સુખમનદીપ સિંહ તરનતારનથી ચૂંટણી લડશે

નવી દિલ્હી :પંજાબ વિધાનસભાની ચૂંટણી લડવા માટે વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા રચાયેલ રાજકીય ‘સંયુક્ત સમાજ મોરચા’ (સંયુક્ત સમાજ મોરચા)એ  તેમના 10 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી. આ યાદીમાં સમરાલા વિધાનસભા બેઠક પરથી ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. રાજેવાલ સંયુક્ત સમાજ મોરચા (SSM)નું નેતૃત્વ કરી રહ્યા છે. પંજાબ એસેમ્બલી માટે 14 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે.

યાદી અનુસાર, ખેડૂત નેતા પ્રેમ સિંહ ભાંગુ ઘનૌરથી, હરજિન્દર સિંહ ટાંડા ખડૂર સાહિબથી, રવનીત સિંહ બ્રાર મોહાલીથી અને ડૉ. સુખમનદીપ સિંહ તરનતારનથી ચૂંટણી લડશે. આ સિવાય કરતારપુરથી રાજેશ કુમાર, ફિલૌરથી અજય કુમાર, જૈટોનથી રમનદીપ સિંહ, કડિયાનથી બલરાજ સિંહ અને મોગા વિધાનસભા સીટથી ડૉ.નવદીપ સિંહને મોરચાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા, રાજેવાલે આમ આદમી પાર્ટી સાથે કોઈપણ જોડાણને નકારી કાઢ્યું હતું, અને કહ્યું હતું કે તેઓ તેમના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે. પંજાબમાં વિવિધ ખેડૂત સંગઠનો, જેમણે ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલનમાં ભાગ લીધો હતો, ગયા મહિને તેમનો રાજકીય મોરચો શરૂ કર્યો હતો અને જાહેરાત કરી હતી કે તેઓ રાજ્યની વિધાનસભા ચૂંટણી લડશે. આ ત્રણેય કૃષિ કાયદા તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પાછા ખેંચવામાં આવ્યા હતા.

 બીજી તરફ પંજાબમાં પહેલીવાર મોટા ભાઈની ભૂમિકામાં વિધાનસભાની ચૂંટણી લડવા જઈ રહેલી ભાજપ રાજ્યની 117 બેઠકોમાંથી લગભગ 80 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. રાજ્યની બાકીની બેઠકો પર ભાજપના સહયોગી અમરિન્દર સિંહની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ અને સુખદેવ સિંહ ધીંડસાની પાર્ટી શિરોમણી અકાલી દળ (યુનાઈટેડ) ચૂંટણી લડશે.

(12:44 am IST)