Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

દર્દી કોરોના સંક્રમિત હોય તો પણ જો ઝેર પીને આત્મહત્યા કરી હોય અથવા અકસ્માતે મૃત્યુ થયું હોય તો તેને કોરોનાથી મૃત્યુ થયેલું નહીં ગણાય : ડોક્ટરે કોરોના સંક્રમણની પુષ્ટિ કરી હોય તો ડેથ સર્ટિફિકેટમાં કોરોનાથી મૃત્યુ થયાની નોંધ કરવા કેન્દ્ર સરકારનો આદેશ : સુપ્રીમ કોર્ટની સૂચના બાદ કેન્દ્ર સરકારની નવી ગાઈડ લાઈન જાહેર

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટની સૂચના બાદ કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR)એ નવી ગાઈડ   લાઈન જાહેર જાહેર કરી છે. જે મુજબ દર્દી કોરોના સંક્રમિત હોય તો પણ જો ઝેર પીને આત્મહત્યા કરી હોય અથવા અકસ્માતે મૃત્યુ થયું હોય તો તેને કોરોનાથી મૃત્યુ થયેલું નહીં ગણાય . ડોક્ટરે કોરોના સંક્રમણની પુષ્ટિ કરી હોય તો ડેથ સર્ટિફિકેટમાં કોરોનાથી મૃત્યુ થયાની નોંધ કરવા સૂચના આપી છે. આથી હવે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના ચોક્કસ આંકડાઓ જાહેર થઇ શકશે.

ગાઈડલાઈન પ્રમાણે, માત્ર એવા મોતને કોરોના સંબંધિત ગણવામાં આવશે, જેમાં દર્દીનો RT-PCR ટેસ્ટ, મોલિક્યૂલર ટેસ્ટ, રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાયેલો હોય તથા કોઈ હોસ્પિટલ અથવા ઘરમાં ડોક્ટરે તપાસ કરીને સંક્રમણની પુષ્ટિ કરી હોય. આવા દર્દીઓનું મોતનું કારણ કોરોના ગણીને ડેથ સર્ટિફિકેટમાં તેની જાણકારી આપવામાં આવશે.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામા અનુસાર ICMRના એક અભ્યાસ મુજબ, કોઈ વ્યક્તિના કોરોના સંક્રમિત થયાના 25 દિવસોમાં 95% મોત થઈ જાય છે. નિયમોમાં ફેરફાર કરીને કોરોના ટેસ્ટની તારીખ અથવા કોરોના સંક્રમિત થયાના 30 દિવસની અંદર થનારા મોતને કોરોના સંબંધિત મોત ગણવામાં આવશે, પછી ભલે દર્દીનું હોસ્પિટલમાં અથવા ઘરે મૃત્યુ થયું હોય.

ગાઈડલાઈનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જો કોઈ મૃત્યુના કિસ્સામાં મૃત્યુ પ્રમાણપત્ર ઉપલબ્ધ ન હોય, અથવા મૃત્યુ પ્રમાણપત્રમાં આપવામાં આવેલા મૃત્યુના કારણથી મૃતકના પરિવારને સંતોષ ન થાય અને જેઓ ઉપરોક્ત ધોરણો દ્વારા આવરી લેવામાં આવતા નથી, તો રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો જિલ્લા સ્તરે રચાયેલી સમિતિને જાણ કરી શકશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:04 pm IST)