Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

હવાઇ મુસાફરી માટે આવ્યાં સારા સમાચાર

એરલાઈન્સને ૭૦ ટકાની ક્ષમતા સાથે ફલાઈટસ ઓપરેટ કરવાની મંજૂરી

નવી દિલ્હી, તા.૧૨: ડોમેસ્ટીક હવાઈ મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેને જોતા કેન્દ્ર સરકારે હવે ઈન્ડિયન એરલાઈન્સને વધારે ફ્લાઈટ્સની મંજૂરી આપી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ડોમેસ્ટીક એરલાઈન કંપનીઓને કોરોના સંકટ પહેલા ૭૦ ટકાની ક્ષમતા સાથે ઉડાડવાની મંજૂરીની જાહેરાત કરી છે. હાલ તો ડોમેસ્ટીક એરલાઈન ૬૦ ટકાની ક્ષમતા સાથે ફ્લાઈટ્સને ઓપરેટ કરવાની મંજૂરી આપી છે.

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છેકે, ૨૫ મેના રોજ ૩૦,૦૦૦ યાત્રિકોની સાથે ડોમેસ્ટીક ફ્લાઈટ ઉડવાની શરૂ કરવામાં આવી હતી. પુરીએ કહ્યું કે ૮ નવેમ્બર ૨૦૨૦ના ડોમેસ્ટીક હવાઈ મુસાફરી કરનારા યાત્રિકોની સંખ્યા ૨.૦૬ લાખ પર પહોંચી ગઈ છે. જણાવી દઈએ કે, પાછલા સપ્તાહે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું હતું કે, ડોમેસ્ટીક એરલાઈન્સ કંપનીઓ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી કોરોના સંકટ પહેલા જ ૬૦ ટકા ક્ષમતા સુધી ઓપરેટ કરી શકે છે. હવે સરકારે વધતી માંગને ધ્યાને રાખીને આ સીમાને વધારીને ૭૦ ટકા કરી દીધી છે.

કેન્દ્રના ૭૦ ટકા ક્ષમતા સાથે ફ્લાઈટ ઓપરેટ કરવાની છુટ મળ્યા બાદ હવે એરલાઈન્સને આશા છે કે, સરકાર જલ્દી આ છુટને વધારશે અને ડોમેસ્ટીક ફ્લાઈટો કોરોના સંકટ પહેલા જ સામાન્ય સ્થિતિમાં આવી જશે. વિસ્તારાને આશા છે કે એપ્રીલ ૨૦૨૧માં કંપની ૧૦૦ ટકાની ક્ષમતા સાથે ફ્લાઈટને ઓપરેટ કરવા લાગશે. આ સમયે વિસ્તારા આશરે ૫૫ ટકાની ક્ષમતા સાથે ફ્લાઈટ્સને ઓપરેટ કરી રહી છે. તો સ્પાઈસજેટ ૫૨ ટકાની ક્ષમતા સાથે ઓપરેટ કરી રહી છે. તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ અસ્થાઈ રૂપે રદ્દ કરી દેવામાં આવી છે.

(10:49 am IST)