Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

ચાર મંત્રી કેબિનેટ બેઠકમાં ન પહોંચતા હોબાળો મચ્યો

મમતા બેનરજી સામે બળવાની શરૂઆત : ભારતીય જનતા પાર્ટીનું મિશન બિહાર પૂરું થઈ ગયું છે બિહારમાં વિજય બાદ પશ્ચિમ બંગાળ પર ભાજપની નજર

નવી દિલ્હી,તા.૧૨ : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી વિરુદ્ધ બળવાની શરૂઆત થઈ ગઈ છે. ગઈ કાલે કેબિનેટ બેઠકમાં ચાર મંત્રીઓ પહોંચ્યા નથી. કેબિનેટ બેઠક કાલે બપોરે સાડા ત્રણ વાગે બોલાવવામાં આવી હતી. ગોતમ દેબ, રબિન્દ્રનાથ ઘોષ બેઠકમાં પહોંચ્યા નહતા. બંને કોરોનાથી સંક્રમિત છે. સુવેન્દુ અધિકારી, રજીબ બેનરજી પણ બેઠકમાં પહોંચ્યા નથી એવું જાણવા મળ્યું છે. સુવેન્દુ અધિકારી અનેક મહિનાથી બેઠકમાં સામેલ થયા નથી અને બળવાખોર વલણ અપનાવેલું છે. રજીબ બેનરજી બેઠકમાં કેમ પહોંચ્યા નથી તે હજુ સુધી જાણી શકાયું નથી. ભારતીય જનતા પાર્ટીનું મિશન બિહાર પૂરું થઈ ગયું છે. બિહાર વિજય બાદ પશ્ચિમ બંગાળ પર ભાજપની નજર છે. તેનો સંકેત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહાર વિજય બાદ આપેલા ભાષણમાં આપી દીધો. નામ લીધા વગર પીએમ મોદીએ પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકરોની હત્યા પર નિશાન સાધ્યું. હવે તમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણમાં પશ્ચિમ બંગાળના ઉલ્લેખનો અર્થ સમજો. બિહાર વિજયથી સમગ્ર દેશમાં ભાજપના કાર્યકરોનો ઉત્સાહ ચરમસીમાએ છે.

પશ્ચિમ બંગાળમાં પણ ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી અને પ્રધાનમંત્રીના નિવેદનથી સંદેશ પશ્ચિમ બંગાળના ભાજપના કાર્યકરોની સાથે સાથે પશ્ચિમ બંગાળની જનતા સુધી પણ પહોંચ્યો છે. તૃણમૂલ કોંગ્રેસને પણ પ્રધાનમંત્રીનું નિવેદન ખટક્યું છે. આથી તૃણમૂલ તરફથી પણ સ્પષ્ટતા કરાઈ. પશ્ચિમ બંગાળને લઈને ભાજપ કેટલો ગંભીર છે તેનો અંદાજો વાતથી પણ લગાવી શકાય કે ભાજપના ચાણક્ય ગણાતા ગૃહમંત્રી અમિત શાહે પોતે મિશન પશ્ચિમ બંગાળની કમાન સંભાળી છે. જે પ્રકારે ભાજપ પશ્ચિમ બંગાળમાં પોતાની તાકાત લાગવી રહ્યો છે તે જોતા વખતે ચૂંટણીનો મુકાબલો રસપ્રદ થવાનો છે.

(7:42 pm IST)