Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

બેન્કોના કર્મચારીઓનો ૧૫ ટકા પગાર વધારો થઈ શકશે

આઈબીના બેન્કો સાથે ૧૧મા દ્વિપક્ષીય કરાર : પગાર વધારાનો લાભ સરકારી, કેટલીક જૂની પ્રાઈવેટ અને અનેક વિદેશી બેન્કોના કર્મચારીઓને મળી શકશે

મુંબઈ, તા. ૧૨ : બેંકોના કર્મચારીઓના પગારમાં ૧૫ ટકાનો વધારો થવા જઈ રહ્યો છે. ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (આઈબીએ) દ્વારા બેંકોના પ્રતિનિધિઓ સાથે ૧૧મા દ્વિપક્ષીય કરાર પર સહી કરવામાં આવી છે. પગારવધારાનો લાભ સરકારી, કેટલીક જૂની પ્રાઈવેટ બેંકો અને કેટલીક વિદેશી બેંકોના કર્મચારીઓને મળશે.

પોતાના નિવેદનમાં આઈબીએ દ્વારા જણાવાયું છે કે સ્પર્ધા તેમજ પર્ફોમન્સનું વળતર આપવાના કોન્સેપ્ટને ધ્યાનમાં રાખી પર્ફોમન્સ લિંક્ડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) પહેલીવાર લોન્ચ કરવામાં આવી છે. આ સ્કીમ આ જ નાણાંકીય વર્ષથી અમલી બનશે.

પીએલઆઈ  સ્કીમ સરકારી બેંકોમાં જે-તે બેંકના ઓપરેટિંગ અથવા નેટ પ્રોફિટ આધારિત રહેશે. જ્યારે પ્રાઈવેટ અને વિદેશી બેંકો માટે તે વૈકલ્પિક છે.

બેંકોના કર્મચારીઓના પગારમાં સુધારા-વધારા કરવામાટે દર પાંચ વર્ષે વાટાઘાટકરવામાં આવે છે. આ ઉપરાંત, તેમાં વિવિધ લાભો, સર્વિસ કંડિશનમાં ફેરફાર અંગે પણ ચર્ચા કરાય છે. જેમ કે, ૯૦ના દાયકામાં બેંકોનું કમ્પ્યુટરાઈઝેશન આ માધ્યમથી જ કરવામાં આવ્યુંહતું.

છેલ્લે જે કરાર કરાયો તેની મર્યાદા ૨૦૧૭માં પૂરી થઈ ગઈ હતી, પરંતુ કર્મચારીઓ અને પ્રતિનિધિઓ વચ્ચેના નેગોશિએશન્સ અને કોરોનાને કારણે આ વખતે આખરી કરાર થવામાં ઘણું મોડું થઈ ગયું હતું.

બેંક વેજ એગ્રીમેન્ટ એલઆઈસી, અન્ય સરકારી વીમા કંપનીઓ, આરબીઆઈ, સરકારી નાણાંકીય સંસ્થાના કર્મચારીઓ માટે પણ ખૂબ જ મહત્વનો છે. સરકાર આ સંસ્થાઓના કર્મચારીઓના પે-સ્કેલમાં બેંક યુનિયન્સ સાથે થયેલા કરાર અનુસાર જ સુધારો-વધારો કરે છે.

(9:19 pm IST)