Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

રામરાજ્‍ય અને જયશ્રી રામનો નારો લગાવનારા મુની નથી પણ રામાયણના કાલનેમિ રાક્ષસ છેઃ કોંગ્રેસના નેતા રાશિદ અલદીનું હિન્‍દુઓને લઇને વિવાદીત નિવેદન

કોંગ્રેસના વિચારોમાં ઝેર ભર્યુ છેઃ ભાજપ આઇટી સેલના પ્રમુખ અમિત માલવીયેના પ્રહારો

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ બાદ હવે રાશિદ અલ્વીએ હિન્દુઓને લઇને વિવાદિત નિવેદન આપ્યુ છે. કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ જય શ્રી રામના નારા લગાવનારાઓની તુલના રામાયણના કાલનેમિ રાક્ષસ સાથે કરી છે, તેમણે કહ્યુ કે રામરાજ્ય અને જય શ્રી રામનો નારો લગાવનારા મુનિ નથી પણ રામાયણ કાળના કાલનેમિ રાક્ષસ છે. ભાજપ આઇટી સેલના પ્રમુખ અમિત માલવીયે તેની પર પલટવાર કર્યો છે.

અમિત માલવીયે રાશિદ અલ્વીના નિવેદનનો વીડિયો ટ્વીટ કરતા લખ્યુ, “સલમાન ખુર્શીદ પછી હવે કોંગ્રેસના નેતા રાશિદ અલ્વી જય શ્રી રામ કહેનારાઓને નિશાચર (રાક્ષસ) કહી રહ્યા છે. રામ ભક્તો પ્રત્યે કોંગ્રેસના વિચારોમાં કેટલુ ઝેર છે.

ઉત્તર પ્રદેશના જનપદ સંભલમાં આયોજિત એક કાર્યક્રમમાં પહોચેલા કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ કહ્યુ, અમે પણ ઇચ્છીએ છીએ કે આ દેશમાં રામ રાજ્ય હોવુ જોઇએ પરંતુ જે રાજ્યમાં બકરી અને વાઘ એક ઘાટ પર પાણી પીતા હોય ત્યા નફરત કેવી રીતે હોઇ શકે છે. રાશિદ અલ્વીએ ભાજપ તરફ ઇશારો કરતા કહ્યુ કે આ દેશમાં જય શ્રી રામના નારા લગાવીને લોકોને જે લોકો ગુમરાહ કરે છે, આવા લોકોથી સાવધાન રહેવુ જોઇએ.

રાશિદ અલ્વીએ ભાજપ પર નિશાન સાધતા જય શ્રી રામના નારા લગાવનારાઓની તુલના રામાયણના કાલનેમિ રાક્ષસ સાથે કરતા કહ્યુ કે જ્યારે લક્ષ્મણ મૂર્છિત થઇને પડી ગયા હતા તો વૈધના કહેવા પર હનુમાનજી હિમાલયથી સંજીવન બૂટી લેવા ગયા હતા, તે સમયે રાક્ષસ નીચે બેસીને જય શ્રી રામના નારા લગાવી રહ્યો હતો. જય શ્રી રામના નારા સાંભળીને હનુમાનજી નીચે ઉતરી આવ્યા હતા. રાક્ષસે હનુમાનજીનો કિંમતી સમય ખરાબ કરવા માટે જય શ્રી રામના નારા લગાવ્યા પહેલા સ્નાન કરવા મોકલી દીધા હતા, ત્યારે અપ્સરાએ હનુમાનજીને જણાવ્યુ હતુ કે તમને સ્નાન કરવા માટે મોકલનારો કોઇ મુનિ નથી પણ રાક્ષસ છે. માટે તમારે સમજવુ જોઇએ કે જય શ્રી રામના નારા લગાવનારા કોઇ મુનિ નથી પણ તે રાક્ષસ છે જેનાથી આપણે સાવધાન રહેવુ જોઇએ.

સલમાન ખુર્શીદે શું કહ્યુ હતુ

કોંગ્રેસના સીનિયર નેતા સલમાન ખુર્શીદે પુસ્તક સનરાઇઝ ઓવર અયોધ્યાનું વિમોચન કરી એક નવો રાજકીય વિવાદ ઉભો કરી દીધો છે. પુસ્તકમાં અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવવામાં આવ્યો છે પણ હિન્દુત્વવાદીઓની તુલના ISIS અને બોકો હરામ જેવા આતંકી સંગઠનોના જિહાદી ઇસ્લામ ધરાવતા વિચાર સાથે કરવામાં આવી છે. આ પુસ્તકના વિમોચન પ્રસંગે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમ પણ હાજર રહ્યા હતા.

(5:07 pm IST)