Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

એક પેગ્‍વિને ૩૦૦૦ કિલોમીટરનો પ્રવાસ ખેડી ન્‍યુઝીલેન્‍ડ સુધીની યાત્રા કરી આશ્‍ચર્ય સર્જયુ હતું: એન્ટાર્કટિકાથી ન્‍યુઝીલેન્‍ડ સુધી પેંગ્વિન ગયુ હોય તેવી ત્રીજી ઘટના

ઠંડા વાતાવરણના સજીવ લાંબુ અંતર કેમ કાપ્‍યુ હશે તે કોયડો

નવી દિલ્‍હી : એન્ટાર્કટિકાના એક પેંગ્વિને ૩૦૦૦ કિલોમીટરનો પ્રવાસ ખેડીને છેક ન્યૂઝીલેન્ડ સુધીની સફર ખેડીને આશ્વર્ય સર્જ્યું હતું. એન્ટાર્કટિકાથી ન્યૂઝીલેન્ડ સુધી પેંગ્વિન પહોંચ્યું હોય એવું આ માત્ર ત્રીજી ઘટના છે. જવલ્લે જ આવું બનતું હોય છે. એ પેંગ્વિનને રેસ્ક્યૂ કરીને મેડિકલ તપાસ કરવામાં આવી હતી.

એન્ટાર્કટિકાના રોઝ સી નામના સ્થળેથી ન્યૂઝીલેન્ડના બર્ડલિંગ ફ્લેટ ટાપુ સુધીનો પ્રવાસ કરીને પેંગ્વિને આશ્વર્ય સર્જ્યુ છે.

આ અંતર લગભગ ત્રણ હજાર કિલોમીટર જેટલું થાય છે. એન્ટાર્કટિકાનું પેંગ્વિન ન્યૂઝીલેન્ડમાં પહોંચ્યું હોય એવું ઈતિહાસમાં માત્ર ત્રીજી વખત બન્યું હોવાનું નિષ્ણાતોએ કહ્યું હતું.
એકદમ ઠંડા વાતાવરણમાં રહેવા ટેવાયેલું આ સજીવ કેવી રીતે તરીને ત્રણ હજાર કિલોમીટર દૂર પહોંચ્યું હશે તે આશ્વર્ય અને સંશોધનનો વિષય છે એવું વાઈલ્ડલાઈફ એક્સપર્ટ્સે કહ્યું હતું. ન્યૂઝીલેન્ડના એ ટાપુનું પાણી ગરમ હોવાથી એ પેંગ્વિન પાણીની બહાર કાંઠે પહોંચી ગયું હતું. ફરીથી અંદર જવાનું ટાળતું હતું એ વખતે જ સ્થાનિક લોકોના ધ્યાનમાં એ આવી ગયું હતું.
એ પેંગ્વિનને તુરંત રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું અને તેના લોહીના પરીક્ષણો પણ કરવામાં આવ્યા હતા. ન્યૂઝીલેન્ડના કાંઠે પેંગ્વિન તરીને આવ્યું છે તેની જાણ બર્ડલિંગ ફ્લેટના લોકોને થતાં આ નાનકડા ટાઉનના લોકો એને જોવા કાંઠે ઉમટી પડયા હતા. વિજ્ઞાાનિકોએ આશ્વર્ય સાથે ચિંતા વ્યક્ત કરી હતી કે આ વાતાવરણમાં આવેલા પરિવર્તનની નિશાની છે. એન્ટાર્કટિકાનું વાતાવરણ ગરમ બની રહ્યું હોવાથી પેંગ્વિનને પૂરતો ખોરાક મળતો નથી. ખોરાકની તલાશમાં એ વધારે આગળ આવી જાય છે અને પછીથી પાણીમાં તણાઈને દૂર સુધી ફંગોળાઈ જાય છે.
સ્થાનિક પર્યાવરણ વિભાગની નોંધ પ્રમાણે અગાઉ ૧૯૬૨માં એન્ટાર્કટિકાથી એક પેંગ્વિને ન્યૂઝીલેન્ડ સુધીનો પ્રવાસ કર્યો હતો. એ પછી ૧૯૯૩માં બીજી વખત એક પેંગ્વિને ન્યૂઝીલેન્ડ સુધીની સફર પૂરી કરી હતી. એ સિવાય આટલા વર્ષોમાં બીજો એકેય કિસ્સો નોંધાયો ન હતો.

(11:45 pm IST)