Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

દેશમાં કોરોના સંકટ હજુપણ ટળ્યું નથી : સ્વાસ્થ્ય મંત્રાલય

૧૦ લાખ લોકોમાં કોરોનાના ૭૫૯૩ કેસ : દેશોના નાગરિકોને બીમારીથી સતર્ક રહેવા અને કોરોના પ્રોટોકોલનું સતત પાલન કરવા મંત્રાલયની અપીલ કરી

નવી દિલ્હી, તા. ૧૨ : દેશમાં કોરોના વેક્સીનેશનનું અભિયાન ૧૬ જાન્યુઆરીથી શરૂ થવાનું છે. તે પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ લોકોને આ બીમારીથી સતર્ક રહેવા અને કોરોના પ્રોટોકોલનું સતત પાલન કરવાની અપીલ કરી છે.

દિલ્હીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મંત્રાલયે કહ્યું કે, કોરોનાની સ્થિતિ સમગ્ર વિશ્વમાં ચિંતાજનક છે. ભારતમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યાં છે. તેમ છતાં આપણે બેદરકાર દાખવી નહીં અને સતત સાવચેત રહેવું જોઈએ. મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં પ્રતિ ૧૦ લાખ લોકો પર કોરોના સંક્રમણના હાલ ૭૫૯૩ કેસ છે. જ્યારે મોત મામલે પ્રતિ ૧૦ લાખ પર ૧૦૯ છે. દેશમાં ગત સપ્તાહ મોતનો દર ૧.૨ ટકા હતો. ભારતમાં કોરોના સંક્રમણ પર સારી સ્થિતિના કારણે અહીં કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સારો સમન્વ્ય થઈ રહ્યો છે. તમામ લોકોએ આ સમન્વયને બનાવી રાખવાનો છે.

મંત્રાલયએ કહ્યું કે, વેક્સીન અને દવાઓ માટે ૨૦૨૦માં ટાસ્ક ફોર્સ બનાવી હતી. આ કારણ છે કે, કોરોના વેક્સીન સામેના જંગમાં ભારત મજબૂત સ્થિતિ પર છે. દેશમાં અત્યારે કોવિશીલ્ડ અને કોવેક્સીનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. આ બંને રસી તમામ માપદંડો પર ખરી ઉતરી છે. આ ઉપરાંત ઝાયડસ કડિલા વક્સીનને ફેઝ ૩ ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે અને સ્પુટનિકની ફેઝ ૩ ટ્રાયલ દેશમાં ચાલી રહી છે. તેના કારણે આગામી થોડા મહિનામાં દેશના ઘણી નવી કોરોના વેક્સીન મળી જશે.

(12:00 am IST)