Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ભારતની પ્રતિષ્ઠાને ખરડવા તૂર્કીએ ઘઉં પાછા મોકલ્યા

તુર્કીએ ઘઉંના જથ્થાને ઠુકરાવાનો મામલો ચર્ચામાં : ભારતના ઘઉંમાં રૂબેલા વાયરસ હોવાની વાત દંતકથા છે, જે તુર્કી દ્વારા ઘડવામાં આવી હોવાનો અધિકારીનો દાવો

નવી દિલ્હી, તા.૧૩ : ભારતથી તુર્કી અને ઈજિપ્તમાં મોકલવામાં આવેલ ઘઉંના જથ્થાને ઠુકરાવાનો મામલો સતત ચર્ચામાં રહ્યો છે. તુર્કીએ ભારતના ઘઉંમાં રૂબેલા વાયરસ હોવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ ઘઉંનો આ માલ ઈઝરાયલના બંદરો પર પણ ફસાયો હોવાનો રિપોર્ટ આવ્યો હતો.

આ ઘઉંને તુર્કી મોકલનારી કંપની આઈટીસીના એગ્રોબિઝનેસ વિભાગના સીઈઓનું નિવેદન આવ્યું છે જેમાં તેમણે ઘઉં ખરાબ હોવાની ખબરોનો ઈનકાર કર્યો છે. કંપનીના એગ્રોબિઝનેસ વિભાગના સીઈઓ રજનીકાંત રાયે જણાવ્યું કે, ઘઉંનો જે જથ્થો તુર્કી મોકલવામાં આવ્યો હતો. તે ક્વોલિટિના માપદંડ પર ખરો ઉતર્યો છે. તેમણે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, ૫૫,૦૦૦ ટન ઘઉંનો આ જથ્થો ડચની એક કંપની ઈટીજી કમોડિટીઝને વેચવામાં આવ્યો હતો. આ ડચ કંપનીએ ઘઉંની ક્વોલિટિ ટેસ્ટ માટે એક સ્વિસ કંપની એસજીએસને પસંદ કરી રહી હતી.

રાયે જણાવ્યું કે, આટીસીએ ક્વોલિટિ ઘઉંની ડિલિવરી કરી હતી અને આ જથ્થાને મેના મધ્યમાં રવાના કરવામાં આવ્યો હતો. અમને પાછળથી જાણવા મળ્યું કે, ઈટીજીએ આ જથ્થો ટૂર્કીના એક ખરીદદારને વેચી દીધો હતો. મેના અંતમા અમને ખબર પડી કે તુર્કીએ આ ઘઉંના જથ્થાને ઠુકરાવી દીધો છે. આઈટીસી અને ઈટીજી બંનેને આ ડિલ માટે વળતર આપવામાં આવી ચૂક્યું છે.

તેમણે કહ્યું કે, ઘઉંના જથ્થાને ઠુકરાવાનું કારણ અમને કે ઈટાલીને કોઈને જાણવા નથી મળ્યું. ઘઉંમાં રૂબેલા વાયરસ હોવો, ઘઉંમાં પ્રોટીનની માત્રા ઓછી હોવી અથવા તુર્કી કે ઈજિપ્ત દ્વારા તેને ઠુકરાવાની ખબરો માત્ર અફવાહ છે. એક આતંરરાષ્ટ્રીય કમોડિટી ટ્રેડિંગ કંપનીના અધિકારીએ જણાવ્યું કે, તેની પાછળ વ્યવસાયિક અથવા ભૂરાજકીય (જિયો પોલિટિકલ) કારણો હોઈ

શકે છે. ઘઉંની ગુણવત્તાનો મુદ્દો ઉઠાવતા લાગે છે કે, વૈશ્વિક અનાજ સપ્લાયર તરીકે ભારતની પ્રતિષ્ઠાને ધૂમિલ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

એક ટ્રેડ એનાલિસ્ટ એસ. ચંદ્રશેખરનએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, યુરોપના કેટલાક મુઠ્ઠીભર ટ્રેડર્સ મધ્યપૂર્વ અને આફ્રિકાના બજારોના ઘઉંના વેપારને નિયંત્રિત કરે છે.

તેમણે કહ્યું કે ભારતના ઘઉંમાં રૂબેલા વાયરસ હોવાની વાત એક દંતકથા છે, જે તુર્કી દ્વારા ઘડવામાં આવી છે. રાયના જણાવ્યા પ્રમાણે આઈટીસીએ ૨૦૨૧-૨૦૨૨માં લગભગ ૧૮ લાખ ટન ઘઉંની નિકાસ કરી હતી. કંપનીએ આ વર્ષે મે મહિનામાં ૧૩ લાખ ટન ઘઉંની નિકાસ કરી હતી. તેમણે કહ્યું કે, કોઈ પણ જથ્થામાં સમસ્યાની ફરિયાદ નથી આવી. તુર્કીમાં જે ઘઉં મોકલવામાં આવ્યા હતા તે ઉત્તમ ક્વોલિટિના હતા. તે મધ્યપ્રદેશના ઘઉં હતા. જેમાં પ્રોટીનની માત્રા ૧૪% છે.

ભારતમાં વિશ્વમાં ઘઉંના વેપારનો મહત્વપૂર્ણ હિસ્સો રહ્યો છે. હાલનો ઘઉં સંકટ ભારત માટે એક અવસર તરીકે સામે આવ્યો છે. તુર્કી યુક્રેનના ઓડેસા પોર્ટ પર ફસાયેલા ઘઉંના જથ્થાને હાંસલ કરવા માંગે છે. આવું કરીને તુર્કી વૈશ્વિક ઘઉં બજાર પર નિયંત્રણ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

 જો યુક્રેન, રશિયા અને તુર્કી વચ્ચે ચાલી રહેલી વાતચીત સફળ થાય છે તો મોટી માત્રામાં યુક્રેનમાં ફસાયેલા ઘઉં નિયંત્રિત રીતે વૈશ્વિક બજારો સુધી પહોંચશે. તેમણે કહ્યું કે, એટલા માટે તુર્કી ભારતન ઘઉં ઠુકરાવી રહ્યું છે.

ભારતના ઘઉં ઠુકરાવીને તે બજારને સંકેત આપવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે, ટૂંક સમયમાં મોટી માત્રામાં ઘઉંની સપ્લાઈ થશે અને તુર્કી તેનું ટ્રાન્સપોર્ટેશન કરશે.

આ પ્રક્રિયામાં ભારત શક્તિશાળી ટ્રેડ લોબી અને વૈશ્વિક જિયો પોલિટકલનો શિકાર બની શકે છે.

(8:09 pm IST)