Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ગુજરાત પણ યુપીના માર્ગે ? લાવશે જનસંખ્યા નિયંત્રણ કાયદો !

ગુજરાત સરકાર હાલ યુપીના પોપ્યુલેશન કંટ્રોલ બિલનો બારીકાઇથી અભ્યાસ કરી રહી છે : ફાયદા - ગેરફાયદાનું વિશ્લેષણ : જો કાયદો લવાશે તો ચોમાસુ સત્રમાં બિલ રજુ થશે : બેથી વધુ બાળકો ધરાવતા દંપતિએ સરકારી નોકરીઓ - યોજનાઓના લાભ જતા કરવા પડશે : ચૂંટણીમાં પણ ઉભા રહી નહિ શકે

નવી દિલ્હી તા. ૧૩ : ઉત્તરપ્રદેશ સરકાર ટૂંક સમયમાં જ પ્રસ્તાવિત પોપ્યુલેશન કંટ્રોલ બિલ (જનસંખ્યા નિયંત્રણ બિલ)નો પહેલો ડ્રાફટ જાહેર કરવાની તૈયારીમાં છે. ત્યારે ગુજરાત સરકાર પણ તેમના પગલે ચાલી શકે છે. ગુજરાત સરકારે આ પ્રકારના કાયદાના ફાયદા-ગેરફાયદાનો અભ્યાસ શરૂ કરી દીધો છે.

રાજય સરકારમાં રહેલા મહત્વના સૂત્રોએ પુષ્ટિ કરતાં કહ્યું છે કે, ઉત્તપ્રદેશમાં રજૂ કરાયેલા પોપ્યુલેશન કંટ્રોલ બિલના ફાયદા અને ગેરફાયદાનો અભ્યાસ ગુજરાત સરકારે શરૂ કરી દીધો છે. 'અત્યાર સુધીમાં આ મામલે કોઈ ઔપચારિક નિર્ણય નથી લેવાયો પરંતુ સરકાર નિષ્ણાતો પાસેથી સલાહ-સૂચનો લેશે અને સામાન્ય નાગરિકોનો અભિપ્રાય પણ જાણશે,' તેમ સૂત્રોએ જણાવ્યું.

સૂત્રોએ આગળ જણાવ્યું, 'સરકાર ઉત્ત્।રપ્રદેશના પ્રસ્તાવિત પોપ્યુલેશન કંટ્રોલ બિલનો બારીકાઈથી અભ્યાસ કરી રહી છે. જો રાજય સરકાર આ પ્રકારનો કાયદો લાગુ કરવાનું વિચારે તો આગામી ચોમાસુ સત્ર દરમિયાન આ બિલ ગુજરાત વિધાનસભામાં રજૂ થઈ શકે છે. ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા પ્રસ્તાવિત બિલ જેવું જો ગુજરાત સરકાર લાવે તો ભાજપને રાજકીય દ્રષ્ટિએ ઘણો ફાયદો થઈ શકે છે.' તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશ પોપ્યુલેશન (નિયંત્રણ, સ્થિરતા અને કલ્યાણ) બિલ ૨૦૨૧નો ડ્રાફટ થોડા દિવસ પહેલા જ ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. ડ્રાફટ પ્રમાણે, જે દંપતીને બેથી વધુ સંતાનો હશે તેમને સ્થાનિક સ્વરાજયની ચૂંટણી લડવાથી માંડીને સરકારી નોકરીઓમાં અરજી કરવા પર રોક તેમજ સબસિડી સહિતના લાભ જતા કરવા પડશે.

'રાજય સરકાર જયારે પોપ્યુલેશન કંટ્રોલ બિલનો ડ્રાફટ તૈયાર કરવાનો નિર્ણય કરશે ત્યારે જુદા-જુદા વર્ગના હિતધારકો સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરશે. બેથી વધુ બાળક લાવનાર દંપતી સામે યૂપીમાં કાયદાની હદમાં રહીને શિક્ષાત્મક દંડ કરવાની તેમજ સરકારી યોજનાઓનો લાભ નહીં આપવાની જોગવાઈ કરવામાં આવી છે અને આ પ્રકારની સજા પર પણ ગુજરાત સરકાર વિચાર કરી શકે છે. જો રાજય સરકાર આ બિલને અપનાવશે તો બેથી વધુ બાળકો ધરાવતા વ્યકિતને સરકારી નોકરી નહીં આપવાની અને હોય તો કાઢી મૂકવાની કલમોનો પણ સમાવેશ કરી શકે છે,' તેમ સૂત્રોએ ઉમેર્યું.

રસપ્રદ બાબત તો એ છે કે, ગુજરાતમાં ૨૦૦૫થી એવો કાયદો છે કે, બેથી વધુ બાળકો ધરાવતા ઉમેદવારોને ચૂંટણી લડવાની મંજૂરી નથી. ૨૦૦૫માં ગુજરાત લોકલ ઓથોરિટીઝ એકટમાં સુધારો કરવામાં આવ્યો હતો, જે મુજબ બેથી વધુ બાળકો ધરાવતા ઉમેદવાર સ્થાનિક સ્વરાજય (પંચાયત, મ્યુનિસિપાલિટી અને મ્યુનિસિપલ કોર્પોરેશન)ની ચૂંટણીમાં ઊભા નથી રહી શકતા.

'લાંબા સમયથી ગુજરાતમાં ચૂંટણી લડવા માટે આ માપદંડ અમલી છે. હવે બધી જ સરકારી યોજનાઓ માટે લાગુ કરી શકાય છે. ટેકસ ભરનારા લોકોનો એક મોટો વર્ગ એવું માનતો આવ્યો છે કે, અન્યોને અપાતા યોજનાના લાભ માટે તેમણે નાણાં પૂરા પાડવા પડે છે. જો રાજય સરકાર પોપ્યુલેશન કંટ્રોલ કાયદો અમલમાં મૂકે તો વધુ સારી ગુણવત્ત્।ાની આરોગ્ય અને શિક્ષણની સેવા પૂરી પાડી શકે છે,' તેવો સૂત્રોનો અભિપ્રાય છે.

(10:14 am IST)