Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મના શૂટિંગ દરમિયાન આમિર ખાન પર લાગ્યો પ્રદૂષણ ફેલાવવાનો આરોપ : વીડિયો વાયરલ

મુંબઇ તા. ૧૩ : બોલીવૂડ અભિનેતા આમિર ખાન પોતાની મોસ્ટ એવેઇટેડ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની શૂટિંગમાં વ્યસ્ત છે. આમિર તેને ક્રિસમસ પર રિલીઝ કરવા માંગે છે, તેના કારણે એકટર તેનું શૂટિંગ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા માંગે છે. હાલ તેઓ લદ્દાખમાં શૂટિંગ કરી રહ્યા છે. આ દરમિયાન આમિર અને તેમની ટીમ પર પ્રદૂષણ ફેલાવવાનો આરોપ લાગ્યો છે. તે માટે તેમને સોશિયસ મીડિયામાં ભારે ફટકાર પણ લગાવાઇ રહી છે.

હાલમાં જ એક યૂઝરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લદ્દાખના વાખા ગામનો વીડિયો શેર કર્યો છે. જેમાં જોઇ શકાય છે કે ગામને ખરાબ રીતે પ્રદુષિત કરવામાં આવ્યું છે. આમિરની ટીમે દરેક જગ્યાએ કચરો ફેલાવ્યો છે. વીડિયો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું છે કે, આ લદ્દાખના વાખા ગ્રામજનો માટે બોલીવૂડ સ્ટાર આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા તરફથી ભેટ છે. આમિર ખાન પોતે સત્યમેવ જયતેમાં પર્યાવરણની સફાઇની મોટી મોટી વાતો કરે છે, પરંતુ જયારે પોતાની વાત આવે છે તો આવું જ થાય છે. આમિરની ટીમની આ હરકતથી ત્યાંના લોકો હેરાન અને નિરાશ છે.

હાલમાં જ એકટર નાગા ચૈતન્યએ ટ્વિટર પર આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢાનો સેટથી એક તસવીર શેર કરી. ચૈતન્ય ફિલ્મ સાથે જોડાયા છે. ફોટોમાં તેમની સાથે આમિર ખાન અને કિરણ રાવ છે. કપલના પ્રશંસકો તેને સાથે જોઇને ચોંકી ગયા છે, જેમણે હાલમાં જ સહમતિથી છૂટાછેડા લીધા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચૈતન્યને એકટર વિજય સેતુપતિની જગ્યાએ ટીમમાં સામેલ કરાયા છે. ચૈતન્ય ફિલ્મમાં આમિર ખાનના નજીકના મિત્રની ભૂમિકા નિભાવી રહ્યા છે. તેઓ આ ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહ્યા છે.

ફિલ્મને આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ કરવાની યોજના છે, જેમાં કરીના કપૂર પણ મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન અદ્વૈત ચંદન કરી રહ્યા છે. ફિલ્મમાં શાહરૂખ ખાન અને સલમાન ખાને પણ કેમિયો કર્યો છે.

(3:21 pm IST)