Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્‍યમંત્રી દિગ્વિજય સિંહે ભાજપાને મજબૂત અને કોંગ્રેસને નબળી પાર્ટી ગણાવી

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે જાણતા-અજાણતા ભારતીય જનતા પાર્ટીને મજબૂત અને કોંગ્રેસ પાર્ટીને નબળી ગણાવી બેઠા છે. તેમણે ગુરૂવારે સવારે એક ટ્વીટમાં લોકતંત્ર બચાવવા માટેની અપીલ કરતા કહ્યું કે જો સરકાર મજબૂત હશે અને વિપક્ષ નબળું હશે તો લોકતંત્ર લાંબા સમય સુધી નહીં બચી શકે. નોંધનીય છે કે મધ્ય પ્રદેશ અને કેન્દ્ર બંનેમાં ભાજપની સરકાર છે તેમજ કોંગ્રેસ વિપક્ષનો ભાગ છે.

દિગ્વિજય સિંહે પોતાના ટ્વીટમાં લખ્યું કે, જો નબળી સરકાર છે અને મજબૂત વિપક્ષ છે તો લોકતંત્ર બચી શકે છે પર જો સરકાર મજબૂત હોય અને વિપક્ષ નબળું હોય તો લોકતંત્ર લાંબા સમય સુધી ન બચી શકે. લોકતંત્ર બચાવો. તેમણે આ જ વાત અંગ્રેજીમાં પણ ટ્વીટ કરી છે.

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહના આ ટ્વીટ બાદ હજી સુધી ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી પરંતુ રાજકારણમાં એવું માનવામાં આવે છે કે પાર્ટીના દિગ્ગજ નેતાઓના નિવેદનની પાર્ટીના કાર્યકર્તાઓના મનોબળ પર બહું મોટી અસર પડતી હોય છે. એવામાં જો દિગ્વિજય સિંહે ખુલ્લા મંચ પર કોંગ્રેસને નબળી પાર્ટી ગણાવશે તો સ્વાભાવિક છે કે તેનાથી કોંગ્રેસના ગ્રાઉન્ડ લેવલ વર્કર્સના મનોબળ પર અસર પડશે અને તે કોંગ્રેસને ભારે પડી શકે છે.

(1:28 pm IST)