Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

બિહારના પરિણામ બાદ પ્રદેશ કોંગ્રેસનો અસંતોષ સામે આવ્યો

બિહારમાં કોંગ્રેસના રકાસ બાદ વિવાદ : શક્તિશાળી નેતાઓને નજરઅંદાજ કરીને અક્ષમ લોકોના હાથમાં ચૂંટણી કમાન સોંપાતા પક્ષે પરાજય વેઠવો પડ્યો

નવી દિલ્હી, તા. ૧૨ : બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નબળા પ્રદર્શનથી દેશની સૌથી જૂની પાર્ટીમાં ફરી એક વખત અસંતોષના સૂર છેડાયા છે. લગભગ છેલ્લા ચાર મહિનાથી વિરોધના તોફાન વચ્ચે પાર્ટીમાં ખૂબ જ એકતા હોય તેવું બતાવવામાં કોંગ્રેસ પાર્ટી સફળ રહી હતી. અસંતોષી ગ્રુપના સભ્ય રહેલા વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે, કોંગ્રેસના પ્રદર્શને સાબિત કરી દીધું છે કે તેજસ્વી યાદવના રાષ્ટ્રીય જનતા દળ અને વામ પાર્ટીઓના મહાગઠબંધનના કારણે પાછળ રહેવું પડ્યું.

અસંતોષી, કોંગ્રેસ પાર્ટીના આ નબળા પ્રદર્શનને અયોગ્ય વહીવટને જવાબદાર ગણાવ્યો. કોંગ્રેસ પાર્ટીના અસંતોષી વર્ગે કહ્યું કે, અમને પ્રચારમાંથી બહાર રાખવામાં આવ્યા હતા. બિહારમાંથી અમને અહેવાલ મળ્યો હતો કે રાજ્ય કોંગ્રેસના નેતાઓને સાઈડલાઈન કરીને અસક્ષમ લોકોને ચૂંટણીની લગામ સંભાળવા માટે દિલ્હીથી મોકલવામાં આવ્યા હતા. બિહારમાં કોંગ્રેસે ૭૦ બેઠકો પર ચૂંટણી લડી હતી પરંતુ ફક્ત ૧૯ બેઠકો પર જ માંડ માંડ વિજય મેળવી શકાયો, જ્યારે આરજેડી તરફથી ૧૪૪ બેઠક પર લડાયેલી ચૂંટણીમાંથી ૭૫ બેઠકોમાં વિજય મેળવ્યો છે. ગઠબંધનનો હિસ્સો રહેલી સીપીઆઈ-એમએલએ પણ ૧૯ બેઠકોમાંથી ૧૨ બેઠકો પર સફળતા મેળવી લીધી હતી. કોંગ્રેસના આ પ્રદર્શને તેને સ્ટ્રાઈક રેટના મામલામાં પછાત સાબિત કર્યો. બિહારના ચૂંટણીમાં જોવા મળેલા નેતાઓએ સત્તાકીય રીતે ટિકિટનું આડેધડ વિતરણ, એઆઈએમઆઈએમ ફેક્ટર અને ત્રીજા તેમજ નિર્ણાયક તબક્કામાં મતો માટેનું ધ્રુવીકરણને આ નબળા પ્રદર્શન માટે જવાબદાર ગણાવ્યું છે. કેટલાક અન્ય લોકોનું કહેવું છે કે કોંગ્રેસને આપવામાં આવેલી ૧૩ બેઠકો એવી છે કે જ્યાં તે બેઠકો પરથી કોંગ્રેસે ક્યારેય ચૂંટણી ન લડી હોય. પહેલા બે તબક્કાના મતદાનમાં તેનું પ્રદર્શન કંઈ ખાસ નહતું પરંતુ ત્રીજા તેમજ અંતિમ તબક્કામાં મતોનું ધ્રુવીકરણ શરૂ થઈ ગયું હતું.

(12:00 am IST)