'લેટ્સ ટોક' શોમાં જોડાયેલા યુવા સરકારના અભિનેતા લેખક હર્ષલ માંકડ, નિર્માતા નિલેષ કાત્રોડીયા, નિર્દેશક રક્ષિત વસાવડા (ઉપર) તથા નીચેની તસ્વીરમાં શો સંચાલક વિરલ રાચ્છ, અભિનેતા મેહુલ બુચ અને અભિનેત્રી આસ્થા મહેતા જોઇ નજરે પડે છે
રાજકોટ તા. ૧૩: લોકડાઉન પુરૂ થયા પછી સિનેમાઘરમાં સોૈ પ્રથમ આજ ૧૩મીથી અર્બન ગુજરાતી ફિલ્મ 'યુવા સરકાર' ૮૧ સ્ક્રીન પર રિલીઝ થઇ છે. રાજકોટમાં જ અને મોટા ભાગના રાજકોટના જ કલાકારોને લઇને બનાવવામાં આવેલી આ ફિલ્મના નિર્માણથી માંડીને રિલીઝ થઇ ત્યાં સુધીની અલક-મલકની વાતો 'અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ' આયોજીત 'ગુજરાત્રી'ના પ્લેટફોર્મ પર 'લેટ્સ ટોક' શો હેઠળ કરવામાં આવી હતી. આ શોમાં ફિલ્મના નિર્માતા, નિર્દેશક તથા કલાકારો જોડાયા હતાં અને તેમણે ફિલ્મ વિશેની વિસ્તૃત વિગતોની ચર્ચાઓ શોના સંયોજકો સાથે કરી હતી. ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના ખુબ જાણીતા અભિનેતા શ્રી મેહુલ બુચે કહ્યું હતું કે આ યુ-એ સર્ટિફિકેટ ધરાવતી એવી ફિલ્મ છે જે નાના-મોટા સોૈ કોઇ સપરિવાર સાથે બેસીને જોઇ શકે છે. આવો આપણે પણ જાણીએ અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ-ગુજરાત્રી આયોજીત 'લેટ્સ ટોક' શોની વિસ્તૃત માહિતી.
દેશનું યુવાધન સક્રિય રાજકારણને એમની કારકિર્દીનો હિસ્સો બનાવે અને દેશને વધુ મજબુત અને પ્રગતિશીલ બતાવે તેવો શુભ સંદેશ 'યુવા સરકાર' દ્વારા એમના સર્જકો -નિર્માતા સહુને પહોંચાડવા માંગે છે. દિવાળીના તહેવારમાં દરમિયાન ૮૧ જેટલા સીનેમાગૃહોમાં આ ફિલ્મ આજથી રિલીઝ થઇ ચુકી છે.
યુવા સરકાર ફિલ્મના નિર્માતા નિલેષ કાત્રોડીયા, નિર્દેશક રક્ષિત વસાવડા અને કલાકારો મેહુલ બુચ, હર્ષલ માંકડ તથા આસ્થા મહેતા સાથે 'લેટ્સ ટોક' શોનું સંચાલન ગુજરાત્રીના જાણીતા અને માનીતા સંચાલક વિરલ રાચ્છે કર્યુ હતું. સંયોજનમાં તેમની સાથે 'અકિલા ઇન્ડિયા ઇવન્ટ્સ-ગુજરાત્રી'ના કર્તાહર્તા શ્રી નિમિષભાઇ ગણાત્રા, મિલીન્દ ગઢવી અને હિરેન સુબા જોડાયા હતાં.
અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ-ગુજરાત્રી, અકિલા ન્યુઝ વતી તમામ મહાનુભાવોને આવકારતા સંચાલક વિરલ રાચ્છે જણાવ્યું હતું કે દર વખતની જેમ અકિલા ન્યુઝ પેજ પર ગુજરાત્રીના માધ્યમથી અમે દરેક વખતે નોખુ, અનોખું અને રસાળ સાહિત્ય, સંગીત કે કલાકારો પીરસતા રહ્યા છીએ. દિવાળીના દિવસોમાં અનલોક શરૂ થયા પછી 'અકિલા' યુવા સરકાર ફિલ્મની સમગ્ર ટીમ 'ગુજરાત્રી'ના પ્લેટફોર્મ પર લાવી છે. 'અકિલા' એ સોૈરાષ્ટ્રનું છાપુ છે, સોૈરાષ્ટ્રનો ધબકાર છે, સોૈરાષ્ટ્રનું હૃદય છે. અકિલા રાજકોટથી પ્રસિધ્ધ થાય છે ત્યારે મેઇડ ઇન સોૈરાષ્ટ્ર કહી શકાય તેવી 'યુવા સરકાર' ફિલ્મ અનલોકમાં વટથી રિલીઝ થઇ રહી છે તેને સપોર્ટ કરવા આ ફિલ્મની સમગ્ર ટીમને 'અકિલા ફેસબૂક લાઇવ-ગુજરાત્રી'ના પ્લેટફોર્મ પર અમે લાવ્યા છીએ.
અભિનેતા મેહુલ બુચ સાથે પ્રશ્નોતરી
આ ફિલ્મની ટીમ સાથે પહેલી જ વખત કામ કરવામાં આપને કેવું લાગ્યું? તેવા સવાલના જવાબમાં ગુજરાતી ફિલ્મો-તખ્તાના ખુબ મોટા કલાકાર શ્રી મેહુલ બુચે જણાવ્યું હતું કે-અનલોક પછી મારી, અમારી, આપણી ફિલ્મ પહેલીવહેલી આવે એ વાતનો ખુબ આનંદ છે. આ નવી ટીમ સાથે મને બધુ જ નવું લાગ્યું, મેં કયારેય નહોતું અનુભવ્યું એવું માણ્યું. નવી ટીમ એટલી બધી તૈયાર હતી કે એની મને કલ્પના નહોતી. આ નવી ટીમે મને ઘણુંબધુ શીખવી પણ દીધું છે અને આ વાત તદ્દન સાચી છે. જો કે આ ફિલ્મની રિલીઝ પછી આ ટીમ નવી નથી રહી. તેમની પાસે ખુબ સારો અનુભવ છે. થોડા દિવસ પછી કહીશ કે સફળ અનુભવ છે.
શુટીંગના પહેલા જ બાર કલાકમાં મારા અમુક બાબતોને લઇને જે ગણિત હતાં તે ખોટા પડ્યા, મારો ભય ખોટો પડ્યો. નિર્દેશક તરીકે રક્ષીત વસાવડા સીન સમજાવે ત્યારે કલાકારને સીનની લાઇટીંગ દેખાવા માંડે, નિલેષભાઇ જેવા પ્રોડ્યુસરે હાલના તબક્કામાં ફિલ્મ રિલીઝ કરવા હિમ્મત કરી તે માટે તેમને સલામ કરવી પડે. હર્ષલ અને આસ્થાએ સમગ્ર ફિલ્મમાં મહત્વની મુખ્ય ભુમિકા નિભાવી છે, હર્ષલે આખી ફિલ્મ પોતાના ખભે ઉચકી લીધી છે. તેનું પરિણામ પરદા પર દેખાશે. મને ખુબ મોજ પડી.
દિગ્દર્શક રક્ષીત વસાવડા સાથે વાર્તાલાપ
વિરલ રાચ્છે શોને આગળ વધારતાં ફિલ્મના યુવા દિર્ગ્દશક રક્ષીત વસાવડા સાથે વાતચીત આરંભી હતી. રક્ષીત પહેલા તો યુવા સરકારને નાટક સ્વરૂપે રજૂ કરવાના હતાં, પણ પછી ફિલ્મ બનાવવા સજ્જતા કેળવવા શું કર્યુ? આ સવાલનો ઉત્તર આપતા રક્ષીતે કહ્યું હતું કે-નાટક અને ફિલ્મની પરિભાષા સાવ જુદી હોય છે. નાટકોમાં બધુ અલગ હોય છે જ્યારે ફિલ્મ એ સુક્ષમતાનું માધ્યમ છે. અહિ એકસપ્રેશનથી માંડી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે. મારી આ પહેલી ફિલ્મ છે એટલે એ ખાસ ધ્યાન રાખ્યું છે કે નાટકને વેબ કેમેરાથી શુટ કરીને રજૂ કરી દેવામાં આવ્યું છે. અમે ફિલ્મ સિનેમેટીક બનાવી છે.
યુવા અભિનેતા અને લેખક હર્ષલ માંકડ
નાટક અને ફિલ્મમાં એક વસ્તુ કોમન છે અને એ છે વાર્તા. વિરલ રાચ્છે સ્ટોરી રાઇટર-ફિલ્મના હીરો હર્ષલ માંકડ સાથે ચર્ચા શરૂ કરી હતી. ફિલ્મની કહાનીનો વિષય કઇ રીતે સામે આવ્યો? તે વિશે પુછાતા હર્ષલે કહ્યું હતું કે હું દર વર્ષે યુવાઓ વિશે બૂક લખુ છું. આ વખતે યુવા સરકાર નામથી બૂક લખી હતી. રક્ષીતને આ વાત કરી અને નાટક રજૂ કરવાની વાત કરી. પણ તેણે આ તો ફિલ્મનો વિષય છે એમ કહ્યું હતું અને વાત ફિલ્મ સુધી પહોંચી હતી.
લેખક તો તમે હતા જ, ફિલ્મમાં મુખ્ય કલાકાર તરીકે અભિનય કરતાં કેવું લાગ્યું? એ સવાલનો જવાબ આપતાં હર્ષલે કહ્યું હતું કે રક્ષિતે કહાની સાંભળી પછી એ સ્પષ્ટ કહી દીધું હતું કે મુખ્ય પાત્ર કોઇ ભજવી શકે તો એ તમે જ છો. ફિલ્મમાં જે પાત્ર છે હીરો છે એ ખરેખર હીરો નથી, એક સરળ માણસ છે. એ પણ બીજા લોકોની જેમ રૂટીન લાઇફ જીવે છે. પણ મારા પાત્રને નિખારવામાં રક્ષિતભાઇ અને મેહુલભાઇએ ખુબ મોટો ભાગ ભજવ્યો છે.
આસ્થા હિરોઇન તરીકે કાસ્ટ કેવી રીતે થઇ? તેની માહિતી આપતાં રક્ષીત વસાવડાએ કહ્યું હતું કે તમે પહેલો જ પ્રોજેકટ હાથમાં લેતાં હોય ત્યારે એવી વ્યકિતઓ સામેલ હોવી જોઇએ જેને તમે સમજી શકો અને એ તમને સમજી શકે. હર્ષલ સાથે કેમેસ્ટ્રી બનાવવા અલગ-અલગ અભિનેત્રીઓને અજમાવવાની કોશિષ કરી હતી. જેમાં આસ્થા વધુ યોગ્ય લાગ્યા હતાં અને તેને આ રોલ અપાયો હતો.
અભિનેત્રી આસ્થા મહેતા
યુવા સરકારના મુખ્ય અભિનેત્રી-હીરોઇન આસ્થા મહેતા ભાવનગરના વતની છે. સ્ક્રીપ્ટ વિશે વાત કરતાં આસ્થાએ કહ્યું હતું કે અહિ બેઝીકલી કોઇ લવસ્ટોરી નથી, આખી સ્ટોરી હીરો પર છે. હીરો-હિરોઇન વચ્ચે કોઇ અંગત દ્રશ્યો નથી. પણ મારો રોલ જબરદસ્ત છે. કોઇ એકસ્ટ્રાઓર્ડીનરી કે બ્યુટીફુલ છોકરી છે એવું નથી. એક સામાન્ય ઘરની છોકરીનું મારું પાત્ર છે. મારી ઇમેજ જે છે એવી હું છું, પણ સ્ટોરી આગળ વધતાં સ્ત્રી સશકિતકરણની વાત પણ આવશે. મારુ પાત્ર મોટીવેશનલ પણ છે.
નિર્માતા નિલેષ કાત્રોડીયા
વિરલ રાચ્છે ટોક શોને આગળ વધારતાં કહ્યું હતું કે તમારી પાસે સારા દિગ્દર્શક હોય, અદ્દભુત કહાની હોય, ખુબ સારા કલાકારો હોય, મેહુલભાઇ જેવા કલાકાર કામ કરવા તૈયાર હોય તો પણ આ બધુ નકામુ થઇ જાય જો તમારી પાસે નિર્માતા ન હોય. નાણા વગર ફિલ્મ ન બને. અનેકના સપનાઓ નિર્માતા વગર અધુરા રહી જાય. નિર્માતા નિલેષભાઇને ફિલ્મ નિર્માણનો વિચાર કઇ રીતે આવ્યો તે અંગે તેમણે કહ્યું હતું કે- કોઇપણ સારા કાર્ય પાછળ હરિનો હાથ હોય. પહેલીવાર હું અને હર્ષલ મળ્યા અને કેબીસીમાં પણ સાથે ગયા હતાં. હર્ષલ દર વર્ષે એક પુસ્તક પણ લખે છે. ફિલ્મોની અસર સમાજ પર ખુબ હોય છે. સારી ફિલ્મો કોઇપણ માણસના વિચાર બદલી શકે છે. આથી મેં વિચારેલુ કે ભવિષ્યમાં એક સ્ટોરી પરથી શોર્ટ ફિલ્મ બનાવવી. મેં આ વાત હર્ષલને કહેતાં તેણે કહ્યું કે હું અને રક્ષીતભાઇ એક નવા જ વિષય પર ફિલ્મ બનાવી રહ્યા છીએ તો તમે એમાં જ જોડાઇ જાવ. મને કહાની ખુબ ગમી અને હું સામેલ થયો.
મેહુલ બુચ વન્સ મોર..
સંચાલક ફરી એક વખત સુવિખ્યાત અભિનેતા મેહુલ બુચ તરફ વળ્યા હતાં. આ ફિલ્મમાં એવું ખાસ શું છે? તે સવાલનો જાવબ આપતાં મેહુલભાઇએ કહ્યું કે ફિલ્મમાં સ્પેશિયલ એ છે કે ફિલ્મને યુ-એ સર્ટિફિકેટ મળ્યું છે. એટલે એનો બીજો કોઇ અર્થ નથી. આ એવી ફિલ્મ છે કે નાના-મોટા સોૈ કોઇ વડિલો, સ્વજનો સાથે બેસીને જોઇ શકે તેવી ફિલ્મ છે. આખી ફિલ્મમાં એક અદ્દભુત વાત કહી રહ્યા છીએ. યુવા સરકાર-એક વિચારનો વિચાર એટલો બધો સ્ટ્રોંગ છે કે યુવા પેઢી જોઇને સમજે તો છ મહિના પછીના યુવાઓના કેરીયર પ્રોફાઇલ અને ફયુચરની ચર્ચા હશે ત્યાં વધુ એક તક હશે. એ હશે રાજકારણમાં જોડાવાની તક.
ફિલ્મમાં કોઇ જગ્યાએ ઉપદેશ નથી, બહુ જ સરળ રીતે આખી વાત સમજાવવામાં, દેખાડવામાં આવી છે. મને મારું સ્વાર્થી પાત્ર અત્યંત ગમ્યું છે. માણસો ખુબ સારા મળી ગયા પછી શું જોઇએ?
ફિલ્મ નિર્માણમાં આ બધાનો મહત્વનો ફાળો
ફિલ્મનું નિર્માણ કઇ રીતે થયું? કોણ કોણ આમાં જોડાયેલું છે? તે સવાલનો જવાબ આપતાં નિર્દેશક રક્ષીત વસાવડાએ કહ્યું હતું કે ફિલ્મની સિનેમેટોગ્રાફી પવન ચોૈધરીએ કરી છે. પવન રાઝ, ક્રિએચર સહિતની બોલીવૂડની ફિલ્મોમાં તેણે આસીસ્ટન્ટ તરીકે કામ કર્યુ છે. પવનને અમે કહાની સમજાવી એ સાથે જ તે બધુ સમજી ગયા કે કઇ રીતે કયાં શું કરવાનું છે.
એડિટર નરેશભાઇ પરમારે સમગ્ર ફિલ્મને લાઇનઅપ કરી છે. ૨૫૦ મિનીટનું સમગ્ર લાઇનઅપ હતું. એ પછી મેં દરરોજ થોડા થોડા ફિલ્મના દ્રશ્યો જોવાનું શરૂ કર્યુ. એ પછી સમગ્ર સ્ક્રીનપ્લે બદલાયો.
ફિલ્મમાં હર્ષલ પંડ્યા અને કર્દમ શર્મા જોષી જેવા યંગસ્ટર્સએ સંગીત આપ્યું છે. ઓસમાણ મીરની પણ એક જબરદસ્ત કહાની છે. ગોંડલના કોરીયોગ્રાફર ચેતન જેઠવાની કૃતિ ગાંધીરાસ પણ છે. યુવા સરકારના માર્કેટીંગમાં અભિલાષભાઇ ધાડા અને તેમની ટીમે ખાસ ભાગ ભજવ્યો છે.
ફિલ્મની સ્ટોરી, પટકથા, સંવાદ રક્ષિણ વસવાડા અને હર્ષદ માંકડ ''હેયાન'' દ્વારા લખાયેલ છે. ગીતો શાંતિદુર્લભ, આનંદી આચાર્ય ઠાકર, ચેતન જેઠવા, હર્ષલ માંકડ ''હેયાન'' ના લખેલ છે. સંગીત યુવા સંગીતકાર બેલડી હર્ષલ-ર્કદમશર્મા જોશીનું છે તથા બેક ગ્રાઉન્ડ મ્યુઝીક ''તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'' ફેઇમ સુનિલ પટણીએ આપેલ છે. ગીતોને સ્વર સોલીકાપરીયા, ઓસમાણ મીર, નીકીતા વાઘેલા, મયુર ચૌહાણ, સુજલ હલચલ બોય, પ્રદીપ ગઢવી, હર્ષલ પંડયા, કર્દમશર્મા જોશી જેવા નામી ગાયકોનો સાંપડેલ છે. 'યુવા સરકાર'માં પ્રસિધ્ધ ગાયક શ્રી ઓસમાણ મીરની કવ્વાલી પણ છે.