Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

જહાજ મંત્રાલય હવે જળમાર્ગ મંત્રાલય તરીકે ઓળખાશેઃ નવુ નામકરણ કરતા મનસુખ માંડવીયા

રાજકોટ, તા.૧૩: કેન્દ્રીય બંદરો, જહાજ પરિવહન અને જળમાર્ગ તેમજ અને રસાયણ અને ખાતર રાજયમંત્રી (સ્વતંત્ર પ્રભાર) મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હી ખાતે મંત્રાલયના નવા નામકરણની તકિતનું અનાવરણ કર્યું હતું.

જહાજ મંત્રાલયનું નામ બદલીને હવે બંદરો, જહાજ પરિવહન અને જળમાર્ગ મંત્રાલય રાખવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ૮ નવેમ્બર ૨૦૨૦ના રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતમાં હજીરા અને ઘોઘા વચ્ચે રો-પેકસ ફેરી સેવાના શુભારંભ પ્રસંગે આપેલા સંબોધન દરમિયાન જહાજ મંત્રાલયના નવા નામકરણની જાહેરાત કરી હતી.

આ ઐતિહાસિક જાહેરાત કરતી વખતે શ્રી મોદીએ જણાવ્યું હતું કે, 'હવે આ મંત્રાલય બંદરો, જહાજ પરિવહન અને જળમાર્ગ મંત્રાલયના નવા નામથી ઓળખાશે. હવે તેનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. મોટાભાગના વિકસિત અર્થતંત્રોમાં જહાજ મંત્રાલય દ્વારા જ બંદરો અને જળમાર્ગોની જવાબદારી પણ સંભાળવામાં આવે છે. ભારતમાં, જહાજ મંત્રાલય દ્વારા બંદરો અને જળમાર્ગો માટે સંખ્યાબંધ કાર્યો કરવામાં આવ્યા છે. હવે, તેના નામમાં જ વધુ સ્પષ્ટતા કરવામાં આવી હોવાથી તેના કામકાજોમાં પણ વધારે સ્પષ્ટતા આવશે.

પ્રધાનમંત્રી દ્વારા મંત્રાલયના નવા નામકરણની જાહેરાત કર્યા પછી તાકીદના ધોરણે જ આ સંબંધિત તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે મંત્રાલય સક્રિય થયું હતું. તમામ ઔપચારિકતાઓ કામકાજના માત્ર બે દિવસમાં જ પૂર્ણ કરવામાં આવી હતી અને નામ બદલવા અંગે સત્તાવાર અધિસૂચના ૧૦ નવેમ્બર ૨૦૨૦ના રોજ ભારતના રાજપત્રમાં પ્રકાશિત કરવામાં આવી હતી.

આજે તકિત અનાવરણના ઔપચારિક કાર્યક્રમ દરમિયાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, આ ખરેખર દ્યણી ગૌરવની વાત છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની દૂરંદેશી સાથે દેશ સર્વાંગી અને લાંબા ગાળાની મલ્ટી-મોડલ કનેકિટવિટી સાથે આગેકૂચ કરી રહ્યો છે. તેમણે ઉમેર્યુ હતું કે, બંદરો, જહાજ પરિવહન અને જળમાર્ગોની વાત છે ત્યાં સુધી તેમના કાર્યક્ષેત્રમાં વિસ્તરણ અંગેની પ્રધાનમંત્રીની દીર્દ્યદૃષ્ટિ માટે હું ખરેખર તેમના પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના વ્યકત કરું છું.

બંદર, જહાજ પરિવહન અને જળમાર્ગ મંત્રાલયના સચિવ શ્રી સંજીવ રંજન અને અધિક સચિવ શ્રી સંજય બંદોપાધ્યાય, IWAIના ચેરમેન ડો. અમિતા પ્રસાદ, જહાજ પરિવહનના મહાનિદેશક શ્રી અમિતાભ કુમાર, IPAના ચેરમેન શ્રી ટી.કે. રામચંદ્રન તેમજ તમામ મુખ્ય બંદરોના ચેરમેન અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

(12:35 pm IST)