Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

મણીપુરના ચુરાચંદમાં શનિવારે થયેલ હુમલામાં સેનાના કર્નલ, પુત્ર, પત્‍ની આસામ રાઇફલ્‍સના ચાર જવાન શહિદ થયા

રાહુલ ગાંધીએ સરકાર પર આકરાર પ્રહાર કર્યા

નવી દિલ્‍હી  :  મણિપુરના ચુરાચંદપુરમાં શનિવારે થયેલા હુમલામાં ભારતીય સેનાના કર્નલ, તેની પત્ની અને આઠ વર્ષનો પુત્ર અને આસામ રાઈફલ્સના ચાર જવાન શહીદ થયા હતા. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને તેને દેશની રક્ષા કરવામાં અસમર્થ ગણાવી છે. પાર્ટીના નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે આતંકવાદીઓના આ કાયરતાપૂર્ણ કૃત્ય સામે આખો દેશ એકજૂટ છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘મણિપુરમાં સેનાના કાફલા પર આતંકવાદી હુમલો ફરી એકવાર સાબિત કરે છે કે મોદી સરકાર દેશની રક્ષા કરવામાં અસમર્થ છે. શહીદો પ્રત્યે મારી સંવેદના અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના. દેશ તમારા બલિદાનને યાદ રાખશે.

પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું, ‘મણિપુરમાં સેનાના કાફલા પર આતંકવાદી હુમલાના દુઃખદ સમાચાર. શહીદ સૈનિકોને મારી નમ્ર શ્રદ્ધાંજલિ અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના. શહીદોના બલિદાનને દેશ હંમેશા યાદ રાખશે. આતંકવાદીઓના આ કાયરતાપૂર્ણ કૃત્ય સામે સમગ્ર દેશ એકજૂટ છે. જય હિંદ.’

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરીને કહ્યું કે, મણિપુરના ચુરાચંદપુરમાં આસામ રાઈફલ્સના કાફલા પરનો કાયરતાપૂર્ણ હુમલો અત્યંત દુઃખદ અને નિંદનીય છે. દેશે 46 આસામ રાઈફલ્સના CO સહિત પાંચ બહાદુર સૈનિકો અને તેમના પરિવારના બે સભ્યો ગુમાવ્યા છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. ગુનેગારોને જલ્દી જ ન્યાય અપાશે.

મણિપુરના મુખ્યપ્રધાન એન બિરેન સિંહે ટ્વિટ કર્યું, 46 AR કાફલા પરના આજના કાયરતાપૂર્ણ હુમલાની સખત નિંદા કરીએ છીએ જેમાં CO અને તેમના પરિવાર સહિત કેટલાક જવાન માર્યા ગયા છે… રાજ્ય દળો અને અર્ધલશ્કરી દળો આતંકવાદીઓને પકડવાનો પ્રયાસ કરી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલામાં અન્ય ચાર ઘાયલ થયા હતા. આ ઘટના મ્યાનમાર સરહદે આવેલા ચુરાચંદપુર જિલ્લામાં બની હતી. અત્યાર સુધી કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.

(9:36 pm IST)