Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

કોરોના નેગેટિવ છતાં મોત થતાં મહિલાનું પીએમ કરાયું

પત્નીનાં મોતનું કારણ જાણવા સાયન્ટિસ્ટ પતિનું પગલું : મહિલાના પીએમ રિપોર્ટમાં જણાવાયું હતું કે તેમના ફેફસા સોફ્ટ અને ૮૫૦ ગ્રામ જેટલું વજન ધરાવતા હતા

બેંગલુરુ , તા. ૧૪ : માર્ચ મહિનામાં કોવિડ પોઝિટિવ આવેલી એક મહિલાનું એપ્રિલમાં અવસાન થયું હતું. જોકે, મહિલાનું મોત થયું તે પહેલા તેઓ કોરોના નેગેટિવ થઈ ચૂક્યા હતા. તેવામાં તેમના મોતનું સાચું કારણ જાણવા માટે તેમના પતિએ તેમનું પોસ્ટમાર્ટમ કરાવવાનો નિર્ણય લીધો હતો. મહિલાને કોરોના થયો ત્યારે તેના લક્ષણો હળવા હોવાથી ઘરે જ સારવાર આપવામાં આવી રહી હતી.

હોમ આઈસોલેશનમાં રહેલી મહિલાને ૧૨ દિવસ બાદ શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેમને પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્યાં તેમનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ ૫ એપ્રિલના રોજ તેઓ મોતને ભેટ્યાં હતાં. મહિલાના પતિ અમેરિકામાં સ્પેસ સાયન્ટિસ્ટ તરીકે કાર્યરત છે. તેમણે પોતાની પત્નીના મોતનું સાચું કારણ જાણવા માટે પીએમ કરાવવાનો આગ્રહ રાખ્યો હતો.

મૃતકનું પીએમ બેંગલુરુમાં આવેલી ઓક્સફોર્ડ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં ૭ એપ્રિલના રોજ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે કોરોના ફેફસાંને સૌથી વધુ ડેમેજ કરતો હોય છે. જોકે, મહિલાના પીએમ રિપોર્ટમાં જણાવાયું હતું કે તેમના ફેફસાં સોફ્ટ અને ૮૫૦ ગ્રામ જેટલું વજન ધરાવતા હતા. નવાઈની વાત એ છે કે, આ જ હોસ્પિટલમાં ઓક્ટોબર ૨૦૨૦માં કોરોનાથી મોતને ભેટેલી અન્ય એક મહિલાનું પીએમ કરાયું હતું, જેમાં તેના ફેફસાં ટેનિસ બોલ જેવા સખ્ત થઈ ગયા હોવાનો પીએમ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ બંને પીએમ કરનારા ફોરેન્સિક એક્સપર્ટ ડૉ. દિનેશ રાવના જણાવ્યા અનુસાર, મહિલાને માત્ર કોરોનાની સારવાર અપાઈ હતી, જ્યારે તેની હાર્ટ પ્રોબ્લેમને અવગણાઈ હતી. તેમનું મોત કોરોનાથી નથી થયું. તેમને જે કોમોર્બિડિટી હતી તે કોરોનાની ટ્રીટમેન્ટ દરમિયાન વધુ ગંભીર બની, અને તેમનું અવસાન હાર્ટ અટેકને કારણે થયું હતું. ડૉ. રાવે એમ પણ જણાવ્યું હતું કે મહિલાની કિડની પર સોજો અને ડાબી કોરોનરી આર્ટરીમાં લોહીના ગઠ્ઠા જોવા મળ્યા હતા.

આ હોસ્પિટલમાં થયેલા કોરોનાના બે દર્દીઓના પીએમની સરખામણી કરતાં ડૉ. રાવે જણાવ્યું હતું કે બંનેની સ્થિતિ ખૂબ જ અલગ હતી. પહેલા કરતા બીજા પીએમમાં મગજમાં થયેલા ફેરફાર નોંધપાત્ર હતા. જોકે, ફેફસાંની સ્થિતિ બંનેની ખૂબ જ અલગ હતી. પહેલા પીએમમાં આરટીપીસીઆર પોઝિટિવ હતો, જ્યારે બીજા કેસમાં ક્લિનિકલી તેમજ પીએમ સ્વેબ્સમાં પણ આરટીપીસીઆર નેગેટિવ આવ્યો હતો.

જોકે, બંને પીએમમાં સૌથી મોટો ફરક એ હતો કે બીજા કેસમાં મૃતકના મગજ પર કોરોનાની અસર જોવા મળી હતી. જે પહેલા કેસમાં ઝીરો હતી. ડૉ. રાવે જણાવ્યું હતું કે વાયરસનો નેચર સમજવા માટે આવા કેસમાં જેનોમિક સિક્વન્સિંગ અને વાયરોલોજિકલ કલ્ચર થવું જ જોઈએ. મગજમાં જેની હાજરી જોવા મળી તે કોઈ અજાણ્યો વાયરસ હતો કે કોરોનાનો કોઈ મ્યૂટન્ટ હતો તેના પર રિસર્ચ થવું જરુરી છે. ડૉ. રાવે આ રિપોર્ટ પીએમ મોદી અને કેન્દ્રિય આરોગ્ય મંત્રીને પણ મોકલી આપ્યો છે.

(7:38 pm IST)