Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

આજે સાંજથી જ પવન અને વરસાદ શરૂ થયો: આવતીકાલે શનિવારે દ્વારકા, ભાવનગર પંથકમાં હળવા વરસાદની સંભાવના: રવિવારે જુનાગઢ પોરબંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ પંથકમાં વરસાદ પડવાની ધારણા: ૧૭મીએ સૌરાષ્ટ્રના સાગરકાંઠે ભારે વરસાદની સંભાવના: ૧૮ અને ૧૯ ધમધોકાર વરસાદની આગાહી

રાજકોટ: આવતીકાલ શનિવારથી સૌરાષ્ટ્રના  વાતાવરણમાં વધુ પલટો જોવા મળશે. આજે સાંજથી જ હવામાન પલટયું હતું અને સખત પવન સાથે અનેક સ્થળે વરસાદ પંડ્યાના વાવડ મળે છે. તૌકતે વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે જેથી  વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.

આવતીકાલે ૧૫ તારીખે દ્વારકા, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી..

૧૬ તારીખે રવિવારે  જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ પંથકમાં વરસાદની શક્યતા છે.

આ ઉપરાંત અમરેલી અને કચ્છ, તાપી, આહવા, દાદરાનગર હવેલીમાં પણ હળવો વરસાદ પડી શકે છે.

૧૭ તારીખે સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે ૧૮ અને ૧૯ તારીખે સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.

દરમિયાન ખેડૂતો માટે સારા સમાચાર છે. આગામી ૩૧ મેથી કેરળમાં ચોમાસાનો પ્રરંભ  થઈ શકે છે.  

હવામાન વિભાગનું માનીએ તો ૩૧ મેથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસા(નૈઋત્યના)નો પ્રારંભ થઈ શકે છે. કેન્દ્રીય હવામાન વિભાગે વરસાદની આગાહી કરતાં કહ્યું હતું કે, આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે. તેમણે કહ્યું કે આ વર્ષે દેશમાં ૯૬થી ૧૦૪ ટકા વરસાદ રહેવાનું અનુમાન છે.

વાવાઝોડાનું સંકટ મંડરાઇ રહ્યું છે.  જેને લઇ રાજ્યના અનેક જિલ્લામાં હાઇએલર્ટ આપી દેવામાં આવ્યું છે.  પોરબંદરના બંદર પર ૧ નંબરનું સિગ્નલ લાગવાયું છે. અમરેલીના જાફરાબાદ લાઈટહાઉસ વિસ્તારમાં પણ ૧ નંબર સિગ્નલ લગાવી દેવાયું છે. રાજકોટ-મોરબી નજીક નવલખી બંદર ઉપર ૨ નંબરનું સિગ્નલ લગાવાયું છે.

દેવભુમિ દ્વારકા જિલ્લાનું તંત્ર પણ અલર્ટ બન્યું છે. સંભવિત વાવાઝોડાના પગલે કલેકટરે અધિકારીઓ સાથે ઓનલાઈન બેઠક કરી ચર્ચા કરી હતી.જેમાં દરિયાકાંઠાના ગામોનો સર્વે કરાયો હતો. સંભવિત વાવાઝોડાને પગલે પાણી, ફૂડપેકેટ અને અન્ય વ્યવસ્થાનું આયોજન કરી દેવા તમામ અધિકારીઓને કલેક્ટરે સૂચના આપી દીધી છે.

(11:27 pm IST)