Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

સેન્સેક્સમાં ૧૪૫૭, નિફ્ટીમાં ૪૨૭ પોઈન્ટનો થયેલો કડાકો

શેરબજારમાં સપ્તાહનો પ્રથમ ટ્રેડિંગ દિવસ ખાસ રહ્યો : રોકાણકારોના છ લાખ કરોડનું ધોવાણ : મે મહિનામાં યુએસમાં મોંઘવારી વધવાની અસર યુએસના શેરબજારોની સાથે ભારતીય બજાર પર જોવા મળી

મુંબઈ, તા.૧૩ : સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજારની શરૂઆત ખરાબ રહી હતી અને બંને સૂચકાંકો ભારે ઘટાડા સાથે ખુલ્યા હતા. જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ આ ઘટાડો વધુ ખરાબ થતો ગયો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શેરો ધરાવતો સેન્સેક્સ ૧૪૫૭ પોઈન્ટ ઘટીને ૫૨,૮૪૭ પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૪૨૭ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫,૭૭૪ પર બંધ થયો હતો.

અગાઉ, બીએસઈ સેન્સેક્સ ૧૨૦૦ પોઈન્ટ તોડીને ખુલ્યો હતો, જ્યારે એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ ૧૬,૦૦૦ના સ્તરથી નીચે ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું. દિવસના કારોબાર દરમિયાન સેન્સેક્સ ૧૭૦૦ પોઈન્ટ સુધી તૂટી ગયો હતો. સોમવારે ઘટાડાને કારણે રોકાણકારોના છ લાખ કરોડથી વધુ રૂપિયા એક જ ઝાટકે ડૂબી ગયા હતા. આ અગાઉ, ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું અને અંતે મજબૂત ઘટાડા સાથે લાલ નિશાન પર બંધ થયું હતું. બીએસઈ સેન્સેક્સ ૧૦૧૭ પોઈન્ટ ઘટીને ૫૪,૩૦૩ પર બંધ થયો હતો, જ્યારે એનએસઈ નિફ્ટી ૨૭૬ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬,૨૦૨ પર બંધ થયો હતો.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આરબીએલ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે આર સુબ્રમણ્યકુમારની નિમણૂકને મંજૂરી આપ્યા બાદ સોમવારે ઈન્ટ્રા-ડે ટ્રેડમાં બેંકના શેરની કિંમત રૂ. ૮૭.૬૦ની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચી ગઈ હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) પર તેની કિંમત લગભગ ૨૩ ટકા ઘટી હતી.

મે મહિનામાં અમેરિકામાં ફરી એકવાર મોંઘવારી વધવાની અસર અમેરિકન શેરબજારોની સાથે ભારતીય બજાર પર પણ જોવા મળી છે. ડિસેમ્બર ૧૯૮૧ પછી અહીં મોંઘવારી સૌથી ઝડપી ગતિએ વધી છે. ફુગાવાના દરમાં થયેલા આ વધારાથી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધુ એક વધારાની શક્યતા પણ વધી છે અને તેની અસર રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પડી છે.

સોમવારે સવારે, એસએન્ડપી ૫૦૦ જૂન ફ્યુચર્સ ૪૭.૭૫ પોઈન્ટ અથવા ૧.૨૨ ટકા ઘટીને ૩,૮૫૧.૨૫ પર આવી ગયો હતો. શુક્રવારે, તે છેલ્લા નવમા સપ્તાહમાં ૨.૯ ટકા ઘટ્યો હતો. શુક્રવારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ ૨.૭ ટકા નીચે હતો, જ્યારે નાસ્ડેક કમ્પોઝિટ ૩.૫ ટકા નીચે હતો. યુએસ શેરોમાં નબળાઈએ સ્થાનિક સેન્ટિમેન્ટ પર ભાર મૂક્યો હતો.

અમેરિકી ડોલર સામે ભારતીય ચલણ રૂપિયાનું અવમૂલ્યન સતત થઈ રહ્યું છે.

સોમવારે પહેલીવાર રૂપિયો ૨૮ પૈસા તૂટ્યો અને ૭૮ની સપાટી વટાવી ગયો. ડૉલર સામે રૂપિયો ૭૮.૨૦ પર ખૂલ્યો અને સતત ઘટતો રહ્યો અને ટૂંક સમયમાં ૭૮.૨૯ના સ્તરે પહોંચી ગયો. આ સિવાય સ્થાનિક મોંઘવારીનું દબાણ પણ શેરબજાર પર જોવા મળી રહ્યું છે.

ચીનમાં કોરોનાના વધતા જતા કેસની અસર બજારો પર પણ જોવા મળી રહી છે. જણાવી દઈએ કે, બેઈજિંગના સૌથી વધુ વસ્તી ધરાવતા જિલ્લા ચાઓયાંગમાં અચાનક કોરોનાના કેસો મોટી સંખ્યામાં વધી ગયા છે અને ફરીથી લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે. કોરોનાના વધુ એક ફટકાએ વિકાસની ચિંતા વધારી છે, જેની અસર બજારો પર પડી રહી છે.

શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન બીએસઈ સેન્સેક્સ ૧૭૦૦ પોઈન્ટ ઘટીને ૫૨,૫૬૯.૫૭ પોઈન્ટ્સ પર આવી ગયો હતો. આ કેલેન્ડર વર્ષમાં તેણે ૫૪૦૦ થી વધુ પોઈન્ટ્સ ગુમાવ્યા છે. સોમવારના ઘટાડાથી રોકાણકારોને રૂ. ૬ લાખ કરોડનું નુકસાન થયું છે. પ્રશ્ન એ છે કે રોકાણકારોએ શું કરવું જોઈએ? શું તેઓએ આ પતનનો લાભ લેવો જોઈએ અથવા વધુ રાહ જોવી જોઈએ. નિષ્ણાતોનું માનવું છે કે યુએસ ફેડ રિઝર્વની બેઠકના પરિણામો બુધવારે આવવાના છે. ત્યાં સુધી બજારમાં ઘટાડો ચાલુ રહી શકે છે.

અમેરિકામાં મોંઘવારી ૪૦ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે અને ચીનમાં કોરોના ફરી એકવાર માથું ઉંચકી રહ્યું છે. જેના કારણે દેશમાં ફરી લોકડાઉન શરૂ થઈ ગયું છે. જેના કારણે રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. ડાયમેન્શન કોર્પોરેટ ફાઇનાન્શિયલ સર્વિસિસના સીઇઓ અજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે વૈશ્વિક ડાઉનટ્રેન્ડ હોવા છતાં ભારતીય બજાર વધુ પડતું અપેક્ષિત હોવાથી વેચાણ જરૂરી હતું. આ પ્રકારનું વેચાણ આપણે પ્રથમ વખત જોઈ રહ્યા છીએ. બજાર માટે આ સારી બાબત છે.

જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે નજીકના ગાળામાં બજારનું વલણ નબળું જોવા મળી રહ્યું છે. ઇક્વિટી જેવી જોખમી અસ્કયામતો માટે આ પ્રકારનું દૃશ્ય નકારાત્મક છે.

અમેરિકી બજાર સ્થિર થયા બાદ જ ભારતીય બજારમાં સ્થિરતા જોવા મળી શકે છે. તેથી રોકાણકારોએ વાદળો દૂર થાય તેની રાહ જોવી જોઈએ. ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીના રિસર્ચ હેડ આશુતોષ મિશ્રાએ જણાવ્યું હતું કે બજારમાં ઘટાડાને કારણે રોકાણકારોને તેમના પોર્ટફોલિયોમાં ફેરફાર કરવાની સારી તક છે. આવી ઘણી કંપનીઓ છે જેમનો વ્યવસાય આ મુશ્કેલ સમયમાં પણ યોગ્ય લાગે છે. આ ક્ષેત્રોની ટોચની કંપનીઓમાં રોકાણ કરવાની આ યોગ્ય તક છે.

સ્વસ્તિક ઇન્વેસ્ટમેન્ટના રિસર્ચ હેડ સંતોષ મીનાએ જણાવ્યું હતું કે ઘણા શેરો તેમની મૂળ કિંમત કરતાં વધુ ગયા છે. તેથી આ ઘટાડો તેમના સાચા મૂલ્યાંકન માટે વાજબી છે.

 તેમનું કહેવું છે કે નજીકના ગાળામાં બજારમાં અસ્થિરતા જોવા મળી શકે છે, તેથી હવે ખરીદી કરવી જોઈએ. નિષ્ણાતોનું કહેવું છે કે ઓએનજીસી, ભારત ઈલેક્ટ્રોનિક્સ, જુબિલન્ટ ફૂડવર્કસ અને ટોરેન્ટ પાવર જેવા શેરો પર દાવ લગાવી શકાય છે.

(12:00 am IST)