Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ચાલુ વર્ષે ૮૦૦૦ સુપર રિચ ભારતીયો દેશ છોડશે

ભારતમાં ‘સુપર રિચ'ની સંખ્‍યા ૧૦ વર્ષમાં ૮૦ ટકા વધશે : દેશ દર વર્ષે સ્‍થળાંતરને કારણે જેટલા ધનાઢયો ગુમાવે છે તેની તુલનામાં ભારતમાં મોટી સંખ્‍યામાં નવા લખપતિઓ બને છે

નવી દિલ્‍હી,તા. ૧૪ : ચાલુ વર્ષે ઓછામાં ઓછા ૮૦૦૦ ‘સુપર રિચ' અથવા અતિસમૃધ્‍ધ લોકો ભારતમાંથી સ્‍થળાંતર કરશે એવો અંદાજ એક અભ્‍યાસમાં રજૂ કરાયો છે. હેન્‍લી ગ્‍લોબલ સિટિઝન્‍સ રિપોર્ટમાં જણાવ્‍યા અનુસાર સ્‍થળાંતર મુખ્‍ય કારણ વધુ વિકસિત દેશનો પાસપોર્ટ મેળવવાની ઇચ્‍છા છે.

હેન્‍લી ગ્‍લોબલ સિટિઝન્‍સ રિપોર્ટ વિશ્વભરમાં ધનાઢયોની સંપતિ અને રોકાણના સ્‍થળાંતર અંગેના ટ્રેન્‍ડ પર નજર રાખે છે. અહેવાલમાં જણાવ્‍યા અનુસાર ટેકનોલોજી ક્ષેત્રના યુવા ઉદ્યોગ સાહસિકોમાં બિઝનેસ અને રોકાણની વૈશ્વિક તકોનો લાભ લેવા માટે દશે બદલવાનું પ્રમાણ વધી રહ્યુ છે. અહેવાલમાં રજૂ કરાયેલા અન્‍ય એક અભ્‍યાસ મુજબ ભારતમાં અમેરિકન ડોલરની રીતે લખપતિ અને અબજપતિઓની સંખ્‍યા આગામી ૧૦ વર્ષમાં ૮૦ ટકા વધશે. સમાન ગાળામાં અમેરિકામાં આ આંકડો માત્ર ૨૦ ટકા તેમજ ફ્રાન્‍સ, જર્મની, ઇટલી અને બ્રિટનમાં ૧૦ ટકા રહેવાનો અંદાજ છે. જો કે, અમેરિકન ડોલરની રીતે ભારતમાં લખપતિઓની ચોખ્‍ખી આવક અને જાવક (ભારતમાં આવનાર અને ભારત બહાર જનારા ‘સુપર રિચ' વચ્‍ચેનો તફાવત) ના ૨૦૨૨ના તાજેતરમાં અંદાજમાં ચાલુ વર્ષે ભારતમાં લગભગ ૮૦૦૦નું ચોખ્‍ખુ નુકસાન થશે.

અહેવાલમાં જણાવાયું છે કે, ‘ભારત માટે આ નુકસાન બહુ ચિંતાજનક નથી. કારણે દેશ ભર વર્ષે સ્‍થળાંતરને કારણે જેટલા ધનાઢયો ગુમાવે છે તેની તુલનામાં ભારતમાં મોટી સંખ્‍યામાં નવા લખપતિઓ બને છે. ઉપરાંત, સમૃદ્ધ લોકો ભારત પરત ફરી રહ્યા હોવાનો પણ ટ્રેન્‍ડ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં દેશના જીવન ધોરણમાં વધુ સુધારો નોંધાશે તો અમારા અંદાજ પ્રમાણે સંપત્તિવાન લોકો મોટી સંખ્‍યામાં દેશ પરત ફરશે.'

ન્‍યુ વર્લ્‍ડ વેલ્‍થના રિસર્ચ હેડ એન્‍ડ એમોલિસે જણાવ્‍યુ હતુ કે, ‘ભારત માટે સંપતિના અંદાજ ઘણા મજબૂત છે. ૨૦૩૧ સુધીમાં દેશમાં હાઇ નેટવર્થ ઇન્‍ડિવિજ્‍યુઅલ્‍સ અથવા અતિધનાઢય લોકોની સંખ્‍યા ૮૦ ટકા વધશે. તે ભારતને વિશ્વનું સૌથી વધુ ઝડપે વધતુ ‘વેલ્‍થ માર્કેટ' બનાવશે. 

(10:31 am IST)