Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

દોઢ વર્ષમાં ૧૦ લાખ લોકોને મળશે નોકરી

રોજગાર મામલે મોદી સરકાર એકશન મોડમાં : યુવા વર્ગ માટે સારા સમાચાર : વડાપ્રધાને તમામ મંત્રાલયો અને વિભાગોમાં માનવ સંશાધનની કરી સમીક્ષા : PMOએ આપી માહિતી

નવી દિલ્‍હી તા. ૧૪ : રોજગારના મુદ્દે અવારનવાર પ્રશ્નોનો સામનો કરતી મોદી સરકાર સંભવતઃ હવે આ સંકટને દૂર કરવા માટે એક યોજના તૈયાર કરી રહી છે. ભ્‍પ્‍બ્‍ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આગામી દોઢ વર્ષમાં કેન્‍દ્ર સરકારના તમામ વિભાગોમાં ૧૦ લાખ પદો પર ભરતી કરશે. પીએમઓ ઈન્‍ડિયા એકાઉન્‍ટમાંથી આ સંબંધમાં માહિતી આપતાં ટ્‍વિટ કરવામાં આવ્‍યું છે કે,  ‘પીએમ નરેન્‍દ્ર મોદીએ તમામ મંત્રાલયો અને વિભાગોમાં માનવ સંસાધનોની સમીક્ષા કરી છે. આ સાથે તેમણે સરકારને આદેશ આપ્‍યો છે કે આગામી દોઢ વર્ષમાં મિશન મોડમાં કામ કરવામાં આવે અને ૧૦ લાખ લોકોની ભરતી કરવામાં આવે.'
મોદી સરકારનો આ નિર્ણય રોજગાર ઈચ્‍છતા યુવાનો માટે મોટા સમાચાર છે. પટના, અલ્‍હાબાદ જેવા શહેરોમાં યુવાનોએ રેલ્‍વેમાં ભરતી માટે પ્રદર્શન કર્યું છે. મોદી સરકાર પર પ્રહારો કરતા અનેકવાર આરોપ લગાવી ચૂક્‍યા છે કે તે રોજગાર આપી શકતી નથી. ખાસ કરીને નોટબંધી, GST અને પછી કોરોનાના સમયગાળા દરમિયાન અર્થવ્‍યવસ્‍થાના વિકાસ દરમાં મંદીના કારણે ખાનગી ક્ષેત્રમાં નોકરીની તકો વધુ બહાર આવી રહી નથી. આવી સ્‍થિતિમાં મોદી સરકારની આ જાહેરાત સરકારી નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે.
ગયા વર્ષે, કેન્‍દ્રીય પ્રધાન જિતેન્‍દ્ર સિંહે રાજયસભામાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે ૧ માર્ચ, ૨૦૨૦ સુધીમાં, કેન્‍દ્ર સરકારના વિભાગોમાં ૮.૭૨ લાખ જગ્‍યાઓ ખાલી હતી. આવી સ્‍થિતિમાં, સ્‍પષ્ટ છે કે હાલમાં આ આંકડો વધીને ૧૦ લાખની નજીક પહોંચી ગયો હશે, જેના પર પીએમ નરેન્‍દ્ર મોદીએ ભરતીનો આદેશ આપ્‍યો છે.
જિતેન્‍દ્ર સિંહે જણાવ્‍યું હતું કે કેન્‍દ્ર સરકારના તમામ વિભાગોમાં કુલ ૪૦ લાખ ૪ હજાર પદો છે, જેમાંથી લગભગ ૩૧ લાખ ૩૨ હજાર કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ રીતે ૮.૭૨ લાખ જગ્‍યાઓ પર ભરતીની જરૂર છે. એટલું જ નહીં, ૨૦૧૬-૧૭ થી ૨૦૨૦-૨૧ દરમિયાન ભરતીના આંકડા આપતા જિતેન્‍દ્ર સિંહે કહ્યું હતું કે SSCમાં કુલ ૨,૧૪,૬૦૧ કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. આ સિવાય RRBએ ૨,૦૪,૯૪૫ લોકોને એપોઇન્‍ટમેન્‍ટ આપી છે. જયારે યુપીએસસીએ પણ ૨૫,૨૬૭ ઉમેદવારોની પસંદગી કરી છે.

 

(10:41 am IST)