Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહીની રાજ્યોને સુચના

કોરોનાના નિયમો ભંગ કરવાના મુદ્દે કેન્દ્રનું કડક વલણ : નિયમોના પાલન કરાવા પર પ્રશાસનનો કોઇ અધિકારી બેદરકાર રહે તો એની સામે પણ કાર્યવાહીનો નિર્દેશ

નવી દિલ્હી, તા.૧૪ : દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા અને અનેક રાજ્યોમાં કોરોના નિયમોના ભંગ કરવાના મુદ્દે હવે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવતાં રાજ્યોને એડવાયઝરી જારી કરી છે. કેન્દ્રીય ગૃહ સચિવે રાજ્યોને જારી કરેલા પત્રમાં કોરોના નિયમોનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે બીજી લહેર નબળી પડતાં હિલ સ્ટેશનો અને પ્રવાસન સ્થળો પર લોકોની જામી રહેલી ભીડ અને કોરોના નિયમોના ભંગ પર ચિંતા વ્યક્ત કરી છે.

કેન્દ્રએ જાહેર કરેલી એડવાયઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કોરોના નિયમોના કડક પાલન કરાવા પર પ્રશાસનનો કોઇ અધિકારી બેદરકાર રહે તો એની સામે પણ કાર્યવાહી કરવી. રાજ્ય સરકારોને સ્પષ્ટ પણ કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં જિલ્લા સ્તરે કોરોના નિયમોના ફરજિયાત પાલનની જવાબદારી જે-તે અધિકારીની રહેશે.

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા તરફથી મોકલવામાં આવેલી એડવાયઝરી મુજબ, રાજ્યસ્તરે કોઇ સંસ્થા, બજાર વિસ્તાર વગેરે સ્થળોમાં કોરોના નિયમોનું પાલન કરવામાં આવતું ના હોય તો કોરોના સંક્રમણ ફેલાવતાં આવા વિસ્તારો અને સ્થળો પર ફરીથી પ્રતિબંધો લાગુ કરવાની જવાબદારી રાજ્ય સરકારની રહેશે. એવામાં નિયમોના પાલન નહીં કરનારા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવે.

પહેલા હિલ સ્ટેશનો અને પ્રવાસન સ્થળો પર વધી રહેલી ભીડ પર પીએમ મોદી પણ ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. વડાપ્રધાને કહ્યું હતું કે, પ્રવાસન સ્થળો, હિલ સ્ટેશનો અને બજારોમાં મોટી સંખ્યામાં લોકો માસ્ક પહેર્યા વગર અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન નહીં કરનારી ભીડ ચિંતાનો વિષય છે. તેમણે જણાવ્યું હતું કે, કોરોના જેવી બીમારી એમ નથી આવતી. કોઇ જઇને લઇ આવે તો આવે છે માટે આપણે સાવચેતી રાખીશું તો ત્રીજી લહેરને અટકાવી શકીશું.

(7:44 pm IST)